Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

કેન્‍દ્ર-ગુજરાત સરકારના ઉપક્રમે ૧૭ થી ૨૬ એપ્રીલ દરમિયાન સૌરાષ્‍ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ : રાજકોટ સહિત ૫ શહેરો આવરી લેવાયા

તામિલનાડુના ૯ શહેરોમાં વસતા ૧૨ લાખ સૌરાષ્‍ટ્રીયન લોકોને આવકારવા રોડ-શો યોજાશે મુખ્‍ય કાર્યક્રમ સોમનાથ ખાતે થશે : ચેન્‍નાઇ ખાતે આરોગ્‍ય મંત્રીના હસ્‍તે લોગો - થીમ સોંગનું અનાવરણ

રાજકોટ તા. ૨૦ : કેન્‍દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્‍ત ઉપક્રમે ગુજરાતમાં આગામી ૧૭ થી ૨૬ એપ્રિલ દરમિયાન ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. વર્ષો પહેલા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્‍તારમાંથી સ્‍થળાંતર કરીને તમિલનાડુ રાજયમાં સ્‍થાયી થયેલા લોકોને સન્‍માનિત કરવા તેમજ બંને રાજયો વચ્‍ચેના ઐતિહાસિક અને સાંસ્‍કૃતિક સંબંધોની ઉજવણી કરી સંસ્‍કૃતિનું આદાન-પ્રદાન કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ચેન્નાઈ ખાતે કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયા, શ્રી અનુરાગ ઠાકુર, ડો. એલ.મુરુગ્‍ગન તેમજ ગુજરાતના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્‍થિતિમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમના લોગો, થીમ સોંગ અને રજીસ્‍ટ્રેશન પોર્ટલ saurashtra.nitt.edu નું અનાવરણ કરવામાં આવ્‍યું હતું.

કેન્‍દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ સૌરાષ્ટ્ર તમિલ સંગમને ‘સોમસુંદરેશ્વર મહાદેવનો સોમનાથ મહાદેવ સાથેનો સંગમ' ગણાવતા જણાવ્‍યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના ૧૦ દિવસ દરમિયાન બંને રાજયો વચ્‍ચે ઈતિહાસ, કલા, ભાષા અને સંસ્‍કૃતિનું જે આદાન-પ્રદાન થશે, તે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી નવી દિશા આપશે. આ સંગમ ઇતિહાસમાં બે રાજયો વચ્‍ચેનું સૌપ્રથમ અને સૌથી મોટું પુનઃમિલન હશે, જે આ બંને રાજયોના ઇતિહાસની મહત્‍વપૂર્ણ ઘટના બનશે.

ગુજરાત તરફથી રાજયનું પ્રતિનિધિત્‍વ કરી રહેલા મંત્રીશ્રીઓએ આ તકે સૌને ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ'માં જોડવા માટે અને ગુજરાતમાં પધારવા માટે આવકાર્યા હતા. તમિલનાડુમાં વસતા લગભગ ૧૨ લાખ જેટલા સૌરાષ્ટ્રીયન લોકોને આવકારવા માટે તા.૧૯, ૨૫ અને ૨૬ માર્ચના રોજ ચેન્નાઈ, મદુરાઈ, દીંડીગુલ, પરમકુડુ, સાલેમ, કુમ્‍બાકોનમ, થન્‍જાવુંર અને ત્રીચીમાં રોડ શો યોજાશે. રોડ શો દરમિયાન ગુજરાતના મંત્રીઓ સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ગુજરાત આવવા આમંત્રણ પાઠવવા જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્‍ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે. આ ઉપરાંત દ્વારકા, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી-એકતાનગર, રાજકોટ અને પોરબંદર સહિત રાજયના વિવિધ સ્‍થળો ખાતે પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

(5:52 pm IST)