Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

રાજકોટ જિલ્લામાં સૂજલામ-સૂફલામમાં ૮૦ ટકા કામો પ્રગતિ હેઠળ : અમૃત સરોવરોમાં પ૭ ટકા કામગીરી પૂર્ણ કરાઇ

મુખ્‍ય સચિવની વીસીમાં કલેકટરે રીપોર્ટ કર્યો : દરરોજ ડેટા-અપડેટ કરવા સુચના

રાજકોટ, તા. ૧૮ : સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન, અમળત સરોવરો તથા હીટ વેવ અંગે રાજ્‍યના મુખ્‍ય સચિવશ્રી રાજ કુમારના અધ્‍યક્ષસ્‍થાને તમામ જિલ્લાઓ માટે વીડિયો કોન્‍ફરન્‍સ યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ જિલ્લાની જળ સંચયની કામગીરી અંગેની માહિતી રજૂ કરી હતી.

કલેકટરશ્રીએ રાજકોટ જિલ્લામાં સિંચાઇ, પાણી પુરવઠા,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે તળાવો ડા કરવા, જળાશયોનું રીપેરીંગ, ટાંકીઓ અને નહેરોની સાફસફાઇ, તળાવોના પાળા અને ખેત તલાવડીની મરામત જેવા કામગીરીને સમીક્ષા કરીને આવશ્‍યક સૂચનો આપ્‍યા હતા. તેમજ દરેક વિભાગ હેઠળ થયેલી રોજિંદી કામગીરીના અહેવાલ રજૂ કરવા તેમજ ઇ-સરકાર પોર્ટલ ઉપર દરરોજ ડેટા અપડેટ કરવા સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં સુજલામ્‌ સુફલામ્‌ જળ અભિયાન હેઠળ ૮૦્રુ કામો પ્રગતિ હેઠળ તથા અમળત સરોવરોની ૫૭્રુ કામગીરી પૂર્ણ થઈ છે. ત્‍યારે કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ ચોમાસાની ઋતુ અગાઉ જળ સંરક્ષણની કામગીરી સમયમર્યાદામાં પૂરી કરવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં અધિક જિલ્લા કલેકટરશ્રી કે. બી. ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી ધીમંત વ્‍યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામકશ્રી આર. એસ. ઠુમ્‍મર, સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેરશ્રી પ્રેક્ષા ગોસ્‍વામી, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના જનરલ મેનેજરશ્રી કિશોર મોરી, પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડના અધિક્ષકશ્રી અંકિત ગોહેલ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

(3:36 pm IST)