Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

રાજારામ સોસાયટીમાં સોનલબેન ડવનો ફાંસો ખાઇ આપઘાતઃ બે સંતાન મા વિહોણા

પતિ બહારગામ ગયા હતાં: માવતર પક્ષના લોકો આટો મારવા આવ્‍યા ત્‍યારે દિકરી લટકતી મળીઃ હોસ્‍પિટલમાં ખસેડયા પણ જીવ ન બચ્‍યોઃ કારણ અકળ

રાજકોટ તા. ૨૦: સામા કાંઠે સંત કબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતાં સોનલબેન રણજીતભાઇ ડવ (ઉ.વ.૪૨) નામના મહિલાએ સાંજે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણ થતાં બી-ડિવીઝનના  હેડકોન્‍સ. જયદિપસિંહ અને હરપાલસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર સોનબલેનના લગ્ન વીસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં અઢાર વર્ષનો એક પુત્ર અને સોળ વર્ષની એક દિકરી છે. જે મા વિહોણા થતાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. પતિ રણજીતભાઇ ડ્રાઇવીંગ કરે છે. ગઇકાલે તે બહારગામ ગયા હતાં અને સંતાનો પણ બહાર હતાં ત્‍યારે સોનલબેને અકળ કારણે આ પગલુ ભર્યુ હતું.

તેમના માવતર મોરબી રહે છે. માવતર પક્ષના લોકો રાજકોટ પ્રસંગમાં આવ્‍યા હોઇ ત્‍યાંથી દિકરીના ઘરે આટો મારવા આવ્‍યા ત્‍યારે તેમણે જ દિકરીને લટકતી જોતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. તેણીને તુરત હોસ્‍પિટલે ખસેડવામાં આવી હતી. પરંતુ જીવ બચી શક્‍યો નહોતો. માતવર પક્ષ દ્વારા કોઇ આક્ષેપ કરવામાં આવ્‍યો નથી. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

(3:20 pm IST)