Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

ગુરૂવારે વિશ્વ જળ દિવસઃ જૈન સમાજ દ્વારા જળ બચાવવા અપીલ

રાજકોટ, તા.૨૦:યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ૨૨ માર્ચના રોજ દર વર્ષે વિશ્વ જળ દિન ઊજવવાનું જાહેર કર્યું,ત્યારથી ભારત આ દિવસને જળ દિન તરીકે ઉજવે છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે જળ બાબત સિમા ચિન્હરૂપ ચૂકાદો આપીને કહ્યું કે ગંગા - યમુના નદીઓને  'જીવીત વ્યકિતનો' દરજ્જો આપવામાં આવે છે.

 

રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અનિલભાઈ દેસાઈ તથા જૈન એડવોકેટ ફોરમના રાષ્ટ્રીય સદ્સ્ય કમલેશભાઈ શાહે જણાવ્યું કે  નામદાર કોર્ટે જે  ઐતિહાસિક ચુકાદો આપ્યો  કે સદરહુ નદી  'લિવીંગ એન્ટીટી' છે પરંતુ સુપ્રીમ ઓફ સુપ્રીમ એવા પ્રભુ મહાવીરે તો ૨૬૦૦ વર્ષ પહેલાં કહ્યું હતું કે જળમાં જીવ છે એમ નહીં પરંતુ જળ પોતે જ જીવ છે માટે અપકાય - પાણી ના જીવોની દયા પાળવી જોઈએ. ગોંડલ સ્થાનકવાસી સંપ્રદાયના અગ્રણી પ્રવિણભાઈ કોઠારી,ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશીએ સંયુકતપણે જણાવ્યું કે અનંતા તીથઁકર પરમાત્માએ દરેક બાબતોને પોતાના કેવળજ્ઞાનના માધ્યમથી સુક્ષમ રીતે સમજાવેલ છે જેને દરેકે અનુસરવુ જોઇએ. જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે તીથઁકર પરમાત્માના સદબોધનું પાલન કરીએ તો જીવદયા સાથે રાષ્ટ્રહીત પણ સમાઈ જાય છે.જૈનાગમ શ્રી જ્ઞાતા ધર્મ કથા સૂત્રનો આધાર આપીને કહ્યું કે 'ઉદક -પાણી' નામના બારમા અધ્યયનમાં આગમકાર ભગવંતોએ પાણીની શુધ્ધિકરણની સુંદર પ્રક્રિયા દ્રષ્ટાંત દ્રારા સમજાવેલ છે.જેનાથી તે સમયના રાજા - મહારાજાઓ પણ બાર વ્રતનો સ્વીકાર કરતા અને પાણીનો બચાવ કરી પ્રજાને રાહ ચિંધતા.

વુમેન્સ કલબના અગ્રણી પ્રફુલ્લાબેન મહેતા અને પગદંડી મુખપત્રના સંપાદિકા વીણાબેન શેઠે જણાવ્યું કે પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો રહેલા છે,જો આપણે પાણીની રક્ષા નહીં કરીયે તો આંખોમાંથી પાણી ટપકયા સિવાય કશું જ બચશે નહીં,માટે જ કહેવાય છે જલ હૈ તો કલ હૈ, વધુમાં બંને મહિલા અગ્રણીઓ જણાવ્યું કે ખાસ કરીને બહેનોને પાણી સાથે જ પનારો હોય છે જો બહેનો કાળજી અને સાવચેતી રાખે તો જળ પણ ઓછું વપરાય અને જીવદયાનું પાલન પણ થાય. જૈન સોશ્યલ ગ્રુપ ઈન્ટરનેશનલ ફેડરેશનના પૂર્વ પ્રમુખ હરેશભાઈ વોરા, જીવદયા પ્રેમી નટુભાઈ શેઠ તથા મનહર પ્લોટ સંઘના પ્રમુખ અને લાયન્સ કલબના અગ્રણી ડોલરભાઈ કોઠારીએ સંયુકતપણે જણાવ્યું કે પૃથ્વી,  પાણી, તેજ, વાયુ અને આકાશ વગેરે આપણને મળેલી અણમોલ ભેટ છે, જળ એ જ જીવન છે તેને વેડફવુ ન જોઈએ.

જૈનમ ગ્રુપના જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, નિલેશભાઈ શાહ  તથા જૈન વિઝનના મિલનભાઈ કોઠારી, ધીરેનભાઈ ભરવાડા વગેરે યુવા અગ્રણીઓએ સંયુકતપણે કહ્યું કે જૈનો તો છકાયના રક્ષક હોય છે, પાણીને ઘી ની જેમ વાપરવુ જોઇએ, મહાવીરે તો ઠેર - ઠેર જીવદયા ની જ વાત કરી છે.  ચેમ્બરના પૂર્વ મંત્રી ઉપેનભાઈ મોદી તથા પૂર્વ પોલીસ અધિકારી સી.પી.દલાલ બન્નેએ જણાવ્યું કે જળનું જૈવિક, ભૌગોલિક, પર્યાવરણ એમ દરેક ક્ષેત્રે મહત્વ રહેલું છે. 

તપગચ્છ જૈન મૂર્તિ પૂજક સંઘના પ્રમુખ જીતુભાઈ દેસાઈ, જાગનાથ સંઘના દિનેશભાઈ પારેખ તથા આણંદજી - કલ્યાણજી પેઢીના અગ્રણી પંકજભાઈ કોઠારીએ જણાવ્યું કે જાહેર કાર્યક્રમોમાં કાર્યકર્તાઓએ પણ જળ વેડફાઈ નહીં તેનો બચાવ થાય તે માટે પ્રયત્નશીલ બનવું જોઈએ. ખ્યાતનામ ડો.અમીતભાઈ હપાણી તથા ગુજરાત સરકાર ચાઈલ્ડ રાઈટસ કમીશનના ડારરેકટર મયુરભાઈ શાહ,પાશ્રનાથ કો.ઓ.બેન્કના અગ્રણી પિયુષભાઈ મહેતાએ સંયુકતપણે જણાવ્યું કે દરેક સંસ્થાઓએ જળ રક્ષાના સંકલ્પ લેવા જોઇએ તથા તે માટેની પ્રેરણા કરવી જોઈએ.

જૈનો એકબીજા  મળે ત્યારે જય જિનેન્દ્ર બોલે છે ત્યારે સાથોસાથ જળ બચાવવાનો સંદેશો પણ વ્હેતો મૂકવો જોઈએ.જૈનચાલ સંઘના પ્રમુખ પરેશ સંઘાણી તથા તપસ્વી સુશીલભાઈ ગોડાએ કહ્યું કે પાણીમાંથી નીકળેલો જીવ ભાવીમાં કેવળી ભગવંત પણ બની શકે છે તેથી આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ જળની જતના કરવાથી કર્મ નિર્જ­­­રાનું જ કારણ છે.  ગ્રેટર ચેમ્બરના ધનસુખભાઈ વોરા, શીરીષભાઈ બાટવીયા તથા કિરીટભાઈ શેઠે કહ્યું કે ઉત્તરાખંડ હાઈકોર્ટે ગંગા - યમુના નદીઓને જીવીત વ્યકિતનો દરજ્જો આપ્યો પરંતુ મહાન વૈજ્ઞાનિક પ્રભુ મહાવીરે તો હજારો વર્ષપહેલાં જ કહ્યું હતું જળમાં જીવ છે એમ નહીં જળ પોતે જ જીવ છે.અડધો ગ્લાસ પાણી પીવું હોય તો અડધો ગ્લાસ જ લેવો જોઈએ.

 વિરાણી મૂક - બધિર સંસ્થાના પ્રમુખ રજનીભાઈ બાવીસી ,મહાવીરનગર સંઘના કાંતીભાઈ શેઠ, સુધીરભાઈ બાટવીયા, પ્રતાપભાઈ વોરા, નેમીનાથ - વીતરાગ સંઘના ભરતભાઈ દોશી, અજરામર સંઘના મધુભાઈ ખંધાર વગેરે અગ્રણીઓએ  સંયુકતપણે જણાવ્યું કે દુનિયામાં અનેક લોકોને પીવા પૂરતું પાણી પણ મળતું નથી તે સ્મરણમાં રાખવું જોઈએ અને જળને બચાવવું જોઈએ એ પણ પૂણ્ય ઉપાર્જનનું કાર્ય છે.જૈનો તો જીવદયાના હિમાયતી હોય છે.પૃથ્વી, પાણી,અગ્નિ,વાયુ,વનસ્પતિ અને હાલતા - ચાલતા જીવોની દયા પાળવાના સંસ્કાર જૈનોને ગળથૂથી માં જ મળે છે.આપણી આગવી આ ઓળખને આગળ ધપાવીએ અને જળનું જતન કરીએ.(૩૦.૭)

 

(4:06 pm IST)