News of Thursday, 19th May 2022
રાજકોટઃ કોંગ્રેસ છોડ્યા પછી હાર્દિક પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે વળતો પ્રહાર કરતા કહ્યું કે, હાર્દિકભાઈ ભાજપની પ્રેસનોટ વાંચી ગયા છે. હવે જેને જનરલ ડાયર કહેતા તેને હવે ઈશ્વર કહેશે.
તેમણે જણાવ્યું કે, કોંગ્રેસને હાર્દિક પટેલ અને ભાજપ અંગેની પૂરી જાણકારી હતી. હાર્દિક પટેલનો પત્ર કમલમમાં લખાયો હતો. હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો મુદ્દો એ હતો કે તેના પર કેસ ચાલતો હતો. જેલમાં ન જાય તેના માટે તેણે પ્રયાસો કર્યા. કોંગ્રેસે હાર્દિક પટેલને હેલિકોપ્ટર, પ્લેન આપવા સહિતની વ્યવસ્થા કરી આપી હતી. તેમને પાંચ રાજ્યોમાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હતા.
જગદીશ ઠાકરે વધુમાં કહ્યું કે હાર્દિક પટેલ સમાજનો સારો ચહેરો બન્યો હતો. પણ હાર્દિકનો મુળ મુદ્દો એ હતો તેની સામે રાજદ્રોહનો કેસ ચાલતા હતા. પોતે જેલમાં ન જાય તે માટે હાર્દિકના પ્રયાસો હતા. હવે હાર્દિકના બધાને ફોન કરી ને કહે છે કે તમે પણ મારી સાથે કોંગ્રેસ છોડો. બાકી હાર્દિકના મોઢામાં શબ્દો મુકવામાં આવ્યા છે. કમલમમાંથી તમામ ભાષા આવી રહી છે.
કોંગીના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું કે, કોંગ્રેસમાં જેણે મજૂરી નથી કરી એ ભાજપમાં જઈને શું કરશે ? જેમણે મન બનાવી લીધું હોય તેમના વિશે કંઈ ન કહી શકાય. પ્રજાના પડખે ઊભા રહેવાની તૈયારી ન હોય. નામ બની જાય એટલે બધુ જ આપો એવું ન થઈ શકે. કોંગ્રેસ નહીં, તેને બીજે પણ ન નામ ન મળે અને સત્તા પણ ન મળે. બાકી જેમને ભાજપમાં જવું હોય એ જાય. ભાજપમાં ફક્ત ૧૦૦ લોકને જ જલસા છે, બાકી બધા મજૂર છે.
આ તકે કોંગી નેતા મનોજ પનારાએ કહ્યું હતું કે, અમે પણ પાટીદાર નેતા છીએ. અમે પણ કોંગ્રેસમાં છીએ. આજ સુધી અમારી સાથે કોઈ અન્યાય નથી થયો એકમાત્ર હાર્દિક પટેલને જ હવે ત્રણ વર્ષ બાદ એવું લાગી રહ્યું છે કે તેમની સાથે અન્યાય થયો છે. આ તેમનું આત્મઘાતી પગલું છે અને કોંગ્રેસ પર તેમણે લગાવેલા દરેક આક્ષેપો ખોટા છે.
શહેર કોંગ્રેસના અનેક આગેવાનો નારાજ : કારોબારી બેઠકમાં ભાગ ન લીધો
રાજકોટ : પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે બપોરથી હેમુ ગઢવી હોલ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી બેઠક આ લખાય છે ત્યારે ચાલુ છે. આ બેઠકમાં શહેર કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો, આગેવાનો, પાટીદાર સમાજના આગેવાનોએ ભાગ લીધો ન હોવાનું પૂર્વ કોર્પોરેટર વિજયભાઈ વાંકે જણાવ્યુ હતું. તેઓએ જણાવેલ કે અમોએ અમારી નારાજગી આગેવાનોને જણાવેલ, પરંતુ તેનો કોઈ ઉકેલ આવેલ નથી જેથી અમે આ બેઠકમાં ભાગ લેવાના નથી.
હેમુ ગઢવી હોલ નજીક કોંગ્રેસની ગાડીઓના ખડકલાઃ ટ્રાફીકજામ
રાજકોટ : પ્રદેશ કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં હેમુ ગઢવી હોલ ખાતે કારોબારીની બેઠક યોજાયેલ છે. આ બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસના અનેક આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોએ ભાગ લીધો હોય હેમુ ગઢવી હોલ નજીક અનેક ગાડીઓના ખડકલા હોય એક સમયે ટ્રાફીક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. પાર્કીંગના મામલે પણ શહેરના એક જાગૃત નાગરીકે તંત્રને ફરીયાદ કરી હોવાનું જાણવા મળે છે.