Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

વાહન ખરીદવા ફાયનાન્સ કંપનીમાંથી લોન લઇને આપેલ ચેકરિટર્ન કેસમાં આરોપીને ૧ વર્ષની સજા

આરોપી બે લાખ ૩૫ હજારનું વળતર ન ચુકવેતો વધુ સજાનો હુકમ

રાજકોટ તા.૧૭: શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી., રાજકોટમાંથી વાહન ઉપર લોન લઇ વાહનના હપ્તા નહી ભરતા કંપનીના અધિકારી દ્વારા રાજકોટની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ  ફરીયાદ દાખલ કરતા ત્હોમતદાર પ્રવિણ પ્રભુભાઇ પટેલને નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ એક વર્ષની સાદી કેદની સજા તથા રૂ.૨,૩૫,૮૬૭/-નો દંડ જે ફરીયાદીને વળતર પેટે ચુકવવો અને જો આરોપી દંડ (વળતરની રકમ) ભરવામાં કસુર કરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ફરમાવતી રાજકોટની અદાલતે ચુકાદો આપેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, ફરીયાદી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી., ઠે.: શ્રી રધુનાથ કોમ્પ્લેક્ષ પહેલામાળે નાનામવા મેઇન રોડ, ગ્રાન્ડ સેન્ટ્રલ મોલની બાજુમાં,૧૫૦ ફુટ રીંગ રોડ પાસે, રાજકોટવાળાએ પ્રવિણભાઇ પ્રભુભાઇ પટેલ (સરાડવા), રહેઃ પ્રજાપતિનગર શેરી ન.૧, ચાર મંદિર સામે, પેડક રોડ, રાજકોટવાળા વિરૂધ્ધ એવી મતલબની ફરીયાદ કોર્ટમાં કરેલ કે આરોપી પ્રવિણભાઇ પ્રભુભાઇ પટેલ (સરાડવા)એ શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી. પાસેથી વાહન નં.જીજે-૩ઝેડ ૯૧૦૩ ઉપર લોન કમ હાઇપોથીકેશન એગ્રીમેન્ટ કરી લોન લીધેલ હતી અને તે લોનના હપ્તા ભરપાઇ કરવામાં આરોપી નિષ્ફળ ગયેલ જેથી ફરીયાદી કંપની દ્વારા ત્હોમતદારને લોન ભરપાઇ કરવા જણાવેલ. જેથી ત્હોમતદાર દ્વારા ફરીયાદીને પોતાના ખાતાનો ચેક આપેલ ફરીયાદી દ્વારા સદરહું ચેક પોતાના ખાતામાં જમા કરાવતા સદરહું ચેક ''અપુરતા ફડના''ના શેરા સાથે પરત ફરેલ.

હાલના કેસમાં આરોપીને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એકટ હેઠળ લાભ આપવાનું પણ ન્યાયાલયને ન્યાયોચિત લાગેલ નથી અને આરોપી વિરૂધ્ધનો ગુન્હો આર્થિક વ્યવહારને લગતો છે. હોય અદાલતે ઉપરોકત તમામ પાસાઓ ધ્યાને લઇ આખરી હુકમ મુજબ આરોપી પ્રવિણભાઇ પ્રભુભાઇ પટેલ (સરાડવા)ને ધી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ વળતર પેટે ફરીયાદીને આપવાનો હુકમ કરેલ છે અને વળતરની રકમ ૩૦-દિવસમાં ફરીયાદીને ન ચુકવે તો આરોપીને વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.

ઉપરોકત કેસમાં ફરીયાદી શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી., રાજકોટ તરફથી એડવોકેટ તરીકે શ્રી મયંકકુમાર આર પંડ્યા, અનિતાબેન વાધેલા, સી.આર.ચાવડા, કૌશલ એમ. વ્યાસ, રીતેષ કલ્યાણી, કિશોરભાઇ પટેલ અને કલ્પેશ બી.સગપરીયા રોકાયેલા હતા.

(3:40 pm IST)