Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

આજીડેમ ચોકડીએ દૂધના વાહનની ઠોકરે મોપેડસ્વાર રતિભાઇ પરમારનું મોત

કુબલીયાપરાના દેવીપૂજક વૃધ્ધ કાળીપાટથી પાછા આવતા'તા ત્યારે બનાવઃ વાહન મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૧૬: આજીડેમ ચોકડીથી આગળ ભાવનગર રોડ પર ગુજરાત ટ્રાવેલ્સની ઓફિસ સામે દૂધના વાહનની ઠોકરે ટીવીએસ મોપેડ ચડી જતાં તેના ચાલક કુબલીયાપરાના વૃધ્ધનું ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ કુબલીયાપરા-૫માં રહેતાં રતુભાઇ માધાભાઇ પરમાર (ઉ.વ.૬૬) નામના દેવીપૂજક વૃધ્ધ ગઇકાલે સવારે પોતાનું મોપેડ નં. જીજે૦૩ડીપી-૫૧૫૪ હંકારીને જતાં હતાં ત્યારે દૂધના વાહન ટાટા ૪૦૭ નં. જીજે૦૩એએકસ-૮૯૭૯ના ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ૧૦૮ના ભાવેશભાઇ વાઢેરએ તેમને મૃત જાહેર કરતાં મૃતકના પુત્ર મોરબી રોડ જય જવાન જય કિસાન સોસાયટી મફતીયાપરામાં રહેતાં ભાવેશ રતુભાઇ પરમાર (ઉ.૨૮) સહિતના પહોંચ્યા હતાં અને આજીડેમ પોલીસને જાણ કરતાં એએસઆઇ નરેન્દ્રભાઇ ચાવડા અને કોૈશેન્દ્રસિંહએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસે ભાવેશ પરમારની ફરિયાદ પરથી દૂધના વાહનના ચાલક સામે ગુનો નોંધ્યો છે. ચાલક આ વાહન રેઢુ મુકી ભાગી ગયો હતો. મૃત્યુ પામનારને સંતાનમાં  ચાર પુત્ર અને બે પુત્રી છે. જેમાં ત્રણ પુત્ર હયાત નથી. ગઇકાલે રતિભાઇ કાળીપાટ કામ સબબ ગયા હતાં ત્યાંથી પરત આવતી વખતે અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(1:22 pm IST)