Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

રાજકુમાર કોલેજમાં ૧૪૯માં વાર્ષિકોત્સવની શાનદાર ઉજવણી

૧૨પ વિદ્યાર્થીઓનું સન્માનઃ કોલેજના ટ્રસ્ટીઓ-રાજવી પરિવારની ઉપસ્થિતિ

રાજકોટઃ ભારતની અગ્રીમ હરોળની પબ્લીક સ્કૂલ રાજકુમાર કોલેજ, રાજકોટ તેનાં ૧૪૯માં વર્ષના વાર્ષિક દિવસની ઉજવણી કરી રહી છે. દર વર્ષની માફક આ વર્ષે પણ સ્કૂલનાં વિદ્યાર્થીઓ દ્વારા સૃષ્ટિચક્રનાં અંગો 'પૃથ્વી, અગ્નિ, જલ, વાયુ અને આકાશ વિષય પર તૈયાર કરવામાં આવેલ ખાસ પ્રોજેકટસનું પ્રદર્શન 'પંચ મહાભૂત' સાથોસાથ સંતો અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રની સવર્ણિમ ગાથાને નૃત્યાત્મક રીતે સ્ટેજ પર ' સુવર્ણ સૌરાષ્ટ્ર' દ્વારા કંડારવામાં આવેલ હતી.

કોલેજનાં વાર્ષિક ઉત્સવની ઉજવણીની સાથો-સાથ વર્ષ દરમ્યાન વિવિધ શૈક્ષણિક, સંસ્કૃતિક, રમત-ગમત સ્પર્ધાઓમાં સ્કુલકક્ષા, રાજયકક્ષા તથા રાષ્ટ્રિયકક્ષા વિજેતા થયેલ ૧૨પ વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનશ્રીઓ દ્વારા ટ્રોફી, શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવેલ. જેમાં નિમંત્રિત મુખ્ય અતિથિશ્રી પ્રો.અશોક ચેટર્જી (ભૂતપૂર્વ એકઝિકયુટીવ ડાયરેકટર, નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ડિઝાઇન, અમદાવાદ), રાજકુમાર કોલેજ બોર્ડના પ્રમુખશ્રી દરબાર સાહેબ મહિપાલ વાલા ઓફ જેતપુર, બોર્ડ ટ્રસ્ટીશ્રીઓ, સ્થાપક રાજવી પરિવારો ઉપરાંત અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો જુસ્સો વધારેલ હતો.

કાર્યક્રમની શરૂઆત કોલેજ ગીતથી કરવામાં આવેલ ત્યારબાદ પ્રમુખશ્રી દરબાર સાહેબ મહિપાલવાલા ઓફ જેતપુર દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવેલ જેમાં રાજકુમાર કોલેજની ૧૪૯ વર્ષ પૂર્વેની ઐતિહાસિક પળોને યાદ કરવામાં આવેલ,  ૨૫ એપ્રિલ, ૧૮૬૮નાં અક્ષયતૃતિયાનાં શુભદિવસે કોલેજની સ્થાપના કરવામાં આવેલ હતી. ૧૬ ડિસેમ્બર ૧૮૭૦માં બોમ્બે ગવર્નરની હાજરીમાં ભારતની સૌપ્રથમ ચાર અગ્રિમ કોલેજ પૈકી રાજકુમાર કોલેજમાં કાઠિયાવાડ, સૌરાષ્ટ્રનાં રાજવી પરિવારોનાં કુમારોને અભ્યાસાર્થે પ્રવેશ આપવામાં આવેલ હતો. ૧૮૭૧-૭૨ માં ૧૬ કુમારોથી શરૂ થયેલી આ સંસ્થા આજે ૨૩૦૦ વિદ્યાર્થીઓ સાથેવૃક્ષ બની છે. કોલેજનાં પ્રિન્સિપાલ શંકરસિંહ અધિકારીએ વર્ષ દરમ્યાન કોલેજ દ્વારા સર કરવામાં આવેલ સિદ્વિઓ વર્ણાવી હતી. તદઉપરાંત મુખ્ય અતિથીશ્રીએ વિદ્યાર્થીઓની સિદ્વિઓનું શાબ્દિક સન્માન કરી તેઓશ્રીની વિશાળ કારર્કિદીનાં અનુભવોમાંથી વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપેલ હતું.

 અત્રે પધારેલ મહાનુભાવોએ કોલેજનાં અંદાજે ૭૫૦ વિદ્યાર્થીઓ દ્વારા 'પંચ મહાભુત' વિષય પર તૈયાર કરેલાં વિવિધ જીવંત પ્રોજેકટ, માહિતીઓનાં રસથાળ અને વિદ્યાર્થીઓના સંશોધનાત્મક કૌશલ્યનું નિદર્શન કરેલ હતું અને શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનાં આ સંશોધનાત્મક કૌશલ્યથી પ્રભાવિત થયેલ હતાં. અંદાજે ૩૦૦ વિદ્યાર્થીઓએ અથાગ મહેનત દ્વારા શ્રી શ્રધ્ધા રૂપાવટેની 'સુવર્ણ સૌરાષ્ટ્ર' પર તૈયાર કરવામાં આવેલ સ્ક્રિપ્ટ પર નૃત્ય દ્વારા પ્રસ્તુત કરેલ. જેનું સંપુર્ણ દિગ્દર્શન મુંબઇથી ખાસ ઉપસ્થિત શ્રી સુમિત નાગદેવ અને તેની ટીમ સર્વશ્રી સાશા નાગદેવ, નિરજ લોહની અને રેશ્મા શર્મા દ્વારા ભવ્યાતિભવ્ય બનાવવામાં આવેલ હતો. કોલેજના પ્રિન્સિપાલ શ્રી શંકરસિંહ અધિકારી, બર્સર શ્રી થોમસ ચાકોનાં ઝીણવટપૂવર્કના માર્ગદર્શન હેઠળ કોલેજનો સમગ્ર સ્ટાફ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

(3:39 pm IST)