Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

મ્યુનિ. કોર્પોરેશન યોગ તથા એકવા યોગમાં ભાગ લેનારને પ્રમાણપત્ર આપશે

૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ સાથે મીટીંગ યોજાઇ : શહેરીજનોને યોગ કાર્યક્રમમાં જોડાવવા પદાધિકારીઓનો અનુરોધ

રાજકોટ તા. ૧૪ : ભારતના દુરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને યોગના વિચારો આપેલ. જેના અનુસંધાને યુનો દ્વારા દર વર્ષે ૨૧ જુનને 'વિશ્વ યોગ દિન' તરીકે જાહેર કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ છેલ્લા બે વર્ષથી યોગદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. તે અંતર્ગત ચાલુ સાલે પણ યોગ દિવસની શાનદાર ઉજવણી માટે તા.૧૩ જુનના રોજ ૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત જુદી જુદી સંસ્થાઓ સાથે મિટિંગ યોજાઈ. આ મિટિંગમાં મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, ડે. કમિશનર સી. કે. નંદાણી, જાડેજા, એકવા યોગા અંતર્ગત વંદનાબેન ભારદ્વાજ, અલ્પાબેન શેઠ તેમજ જુદી જુદી સંસ્થાઓના હોદેદારશ્રીઓ, અધિકારીઓ, વોર્ડ ઓફિસરશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેલ. આ મિટિંગમાં મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, જયમીનભાઇ ઠાકરે યોગા કાર્યકમ અંતર્ગત જુદી જુદી માહિતી આપેલ. 

રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ, નાના મવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, રણછોડદાસ આશ્રમ સામેનું ગ્રાઉન્ડ તથા પારડી રોડ પર કોમ્યુનિટી હોલ પાસે આવેલ મેદાન ખાતે ૨૧ જુનના રોજ સવારના ૬.૩૦ વાગ્યે થી ૭.૩૦ વાગ્યા સુધી યોગ નિર્દશનનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં, શહેરના બહોળી સંખ્યામાં યુવાનો/ યુવતીઓ, મહિલાઓ, સીનીયર સીટીઝન્સ, તબીબો, ઉદ્યોગપતિઓ સહિતના વિવિધ ક્ષેત્રના નાગરિકો તેમજ યોગા પ્રેમીઓ દ્વ્રારા યોગ કરવામાં આવશે.

યોગથી શારીરિક તંદુરસ્તી સાથે વિચારો તંદુરસ્ત અને મજબુત બનશે અને ભવિષ્યમાં મજબુત રાષ્ટ્રનું નિર્માણ થશે. જેથી આ યોગ દિવસની શાનદાર ઉજવણી થાય અને શહેરના તમામ ક્ષેત્રના નાગરિકો ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં જોડાય તે માટે પુષ્કરભાઈ પટેલ તથા જયમીનભાઈ ઠાકરે અપીલ કરતા જણાવેલ છે કે, ભારતના વડાપ્રધાનશ્રી દ્વ્રારા વિશ્વ યોગ ડે ઉજવવાનું નક્કી કરી, સમગ્ર વિશ્વ ભારત દેશની સંસ્કૃતિની નોંધ લે તેવું આયોજન કરેલ છે જે આપણા માટે ગૌરવની વાત છે.

લોકોનો ઉત્સાહ વધે તે હેતુસર ભારતભરમાં સૌ પ્રથમ વખત જાહેર સરકારી સંસ્થા તરીકે, રાજકોટ શહેરમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોગમાં તેમજ એકવા યોગમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે.

અંતમાં, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ વિશ્વ યોગ દિન નિમિતે સૌ નગરજનોને ઉત્સાહભેર ભાગ લેવા અપીલ કરેલ છે.

(4:27 pm IST)