Gujarati News

Gujarati News

News of Monday, 13th December 2021

ABVP-NSUI યુવક કોંગ્રેસ યુવા ભાજપના કાર્યકરો સામેના કેસ પરત ખેંચવા ડો.નિદત બારોટની માંગ

ગુજરાત સરકાર કેસ પરત ખેંચવા આગળ વધી રહી છે ત્યારે મુખ્યમંત્રીને પત્ર પાઠવતા કોંગ્રસના ડો. નિદત બારોટ

રાજકોટ, તા., ૧૩:  ગુજરાત સરકાર કોર્ટ કેસ પોલીસ ફરીયાદ પરત ખેંચવા આગળ વધી રહી છે. ત્યારે કોંગ્રેસના અગ્રણી ડો. નિદત બારોટે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવી અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ, એન.એસ.યુ.આઇ. યુવક કોંગ્રેસ, જનતા યુવા ભાજપ મોરચાના કાર્યકરોના કોર્ટ કેસ પાછા ખેંચવા માંગ કરી છે.

ડો.નિદત બારોટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બે રાજકીય પક્ષો કાર્યરત છે. આ બંન્ને રાજકીય પક્ષોની વિદ્યાર્થી અને યુવાનો માટેની પાંખ અખીલ ભારતીય વિદ્યાર્થી પરીષદ એન.એસ.યુ.આઇ. યુવક કોંગ્રેસ અને ભારતીય જનતા યુવા મોરચો. આ યુવા પાંખોમાં જોડાયેલા કાર્યકર્તાઓ સમાજ જીવનના અને જાહેર જીવનના પ્રશ્નોની રજુઆત લોકશાહી ઢબે કરતા હોય છે. આપણી વ્યવસ્થા મુજબ આ કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્રો આપવા, ધરણા કરવા, બંધના એલાન આપવા, જુદી જુદી જગ્યાએ રજુઆતો કરવી, પુતળા દહન કરવુ વગેરે કાર્યક્રમો થતા રહે છે. આ કાર્યકર્તાઓની ઉંમર મહદઅંશે ૩૦ વર્ષથી ઓછી હોય છે. આ કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓના પ્રશ્નો, વિદ્યાર્થીઓને થતા અન્યાય, કેટલીક વખતે મોંઘવારી વિરૂધ્ધના આંદોલનો અથવા સમાજના મોટા ભાગને સ્પર્શતી મુશ્કેલીઓની વાચા આપવા માટે આંદોલનાત્મક કાર્યક્રમો કરવા પડતા હોય છે. કાયદો વ્યવસ્થાની પ્રક્રિયાને ધ્યાને લેતા આ કાર્યકર્તાઓ ઉપર સુલેહ શાંતીનો ભંગ, રાયોટીંગ, જાહેરનામાનો ભંગ સહીત જુદી જુદી કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવે છે. કેટલીક વખતે સતા પર બેઠેલી રાજકીય પાર્ટીઓ કિન્નાખોરી પુર્વક કાર્યકર્તાઓ સામે પોલીસ પર દબાણ લાવીને બીનજામીન લાયક કલમો  લગાડતા હોય છે. લોકોના પ્રશ્નો માટે ઝઝુમતા બંને પક્ષના કાર્યકર્તાઓ આવા અનેક કેસોમાં સમગ્ર ગુજરાતમાં કાયદાકીય પ્રક્રિયા હેઠળ  કોર્ટમાં ધકકા ખાતા જોવા મળે છે. આ કાર્યકર્તાઓની સરકારી નોકરી મેળવતી વખતે પોલીસના નો કલીયરન્સ સર્ટીફીકેટ મેળવવાના હોય એમાં પણ મુશ્કેલી અનુભવે છે અનેક કાર્યકર્તાઓના પાસપોર્ટ રીન્યુ કરવા માટેની પ્રક્રિયા ખોરંભે પડે છે. વિદેશ જવુ હોય તો પણ કોર્ટની મંજુરીની વિધિ કરવી પડે છે.

ડો.નિદત બારોટે પત્રમાં વધુમાં જણાવેલ કે, આપની સરકાર કોર્ટમાં પડતર જુદા જુદા પ્રકારના કેસ પાછા ખેંચવા આગળ વધી રહી છેે. ત્યારે મારી લાગણી છે કે સમગ્ર ગુજરાતના બંને રાજકીય પક્ષની ઉપરોકત ચારેય પાંચ ઉપરાંત  ભારતીય જનતા પક્ષ મહિલા પાંખ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મહિલા પાંખની મહિલા સામેના જુદી-જુદી કોર્ટમાં પડતર કેસને પણ પરત ખેંચવામાં આવે. આપણે સૌ જાહેર જીવનમાં આવી જ જુદી જુદી રાજકીય પાંખોમાંથી આગળ આવ્યા છીએ. આપણે પણ આવા આંદોલનો કરી પોલીસ કેસનો સામનો કરવો પડયો છે. ભાવી પેઢીના બંને રાજકીય પક્ષના કાર્યકર્તાઓને આપણે ભોગવી પડેલી મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આપની સરકાર નિમિત બને એવી અપેક્ષા છે. આશા છે કે અન્ય આંદોલનાત્મક કાર્યક્રમના કેસ પાછા ખેંચવામાં આવે ત્યારે તમામ સમાજ સાથે જોડાયેલા રાજકીય પક્ષના કાર્યકર્તાઓને પણ તેમની સામે થયેલા રાજકીય આંદોલનના કારણે થયેલા કોર્ટ કેસ અને પોલીસ ફરીયાદો પરત ખેંચવામાં આવે છે.

(2:46 pm IST)