Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

દુંદાળા દેવને સત્કારવા રાજકોટે હ્ય્દય બીછાવ્યુ

''પધારો ગણરાજ .... સ્વાગતમ.... પાર્વતી પૂત્રના આગમનના હૈયાના હેતથી વધામણા'' :ડી.જે. અને ઢોલના ધબકારે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણપતિદાદાના સામૈયા : ગણેશ મહોત્સવનો પ્રારંભ

રાજકોટ તા. ૧૩ : પાર્વતી પૂત્ર ગણેશજીને ભાવથી ભજવાના મહામૂલા મહોત્સવનો આજે ગણેશ ચતુર્થીના પ્રારંભ થતા રાજકોટ ઓળઘોળ બન્યુ છે. દુંદાળા દેવને ભજવા જાણે હ્ય્દય બીછાવ્યુ હોય તેમ ઘરે ઘરે અને ચોકે ચોકે ડી.જે.ના તાલે અને ઢોલના ધબકારે અબીલ ગુલાલની છોળો વચ્ચે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યુ છે.

આજથી લગાતાર ૧૦ દિવસ સુધી દાદાના પૂજન, અર્ચન, આરતી અને ધૂન સત્સંગના કાર્યક્રમ ચાલતા રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર સાથે ભકિતભાવ ચરમસીમાએ પહોંચશે. પ્રસાદ અને મહાપ્રસાદ ગ્રહણ કરી ભાવિકો ધન્ય બનશે.

શહેરભરમાં આયોજીત ગણેશ મહોત્સવ નિમિતેના કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

શ્રીનાથજી હવેલીમાં ગૌરીનંદનનું સ્થાપન

લક્ષ્મીનગર મેઇન રોડના આંગણે આવેલ શ્રીનાથજી હવેલીમાં આઠમાઁ વર્ષે ગૌરીનઁદન ગણેશનું આગમન થયુ છે. વોર્ડ નં.૧૩ ના હાઉસીંગ કમ્યુનીટીના ચેરમેન જયાબેન ડાંગર સાથે પૂર્વ કોર્પોરેટર હરીભાઇ ડાંગર, યુવા મોરચાના હોદેદાર શૈલેષભાઇ ડાંગરના હસ્તે પ્રથમ મહાઆરતી ઉતારી ગણેશ ઉત્સવ ખૂલ્લો મુકાશે. દસ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો થશે. ધર્મપ્રેમીજનોએ લાભ લેવા મુખ્યાજીએ અનુરોધ કરેલ છે.

ગણેશ ઉત્સવ નિમિતે રાહત દરે હોલ બોડી ચેકઅપ

પંચવટી મેઇન રોડ ખાતે આવેલ શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલમાઁ ગણેશ મહોત્સવ નિમિતે તા.૧૪ થી ૨૦ સુધી રાહત દરે હોલ બોડી ચેક અપ કેમ્પ રાખવામાં આવેલ છે. રૂ.૩૫૦૦ ના પેકેજનો લાભ ફકત રૂ.૧૦૦૦ ના નજીવા દરે મળશે. બ્લડ ગ્રુપ, ડાયાબીટીસ, કીડની, લીવર, ફેફસા, હ્ય્દય, દાંત અને બી.એમ.આઇ. જેવા ટેસ્ટ પણ રાહત દરે કરી અપાશે. એમ.ડી. ફીઝીશ્યન ડો. અમીત પાંભર અને ડો. રીધ્ધી મહેતા સંપૂર્ણ તપાસ કરી આપશે. નામ નોંધાવવા હોસ્પિટલ કેમ્પસ ફોન ૦૨૮૧ ૨૪૫૦૫૫૧, મો.૭૦૬૯૭ ૫૮૫૮૨ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

છત્રપતિ શિવાજી ટાઉનશીપ મોરબીબાય પાસ, ર બીએચકે, એચ.-૧૦૭ ખાતે ઉદયભાઇ મધુસુદનભાઇ માણેકના નિવાસ સ્થાને ગણેશ ઉત્સવનું આયોજન કરાયુ છે. શુક્રવારે માતા પિતા પૂજન, શનિવારે ભાગવત પાઠ, રવિવારે છપ્પનભોગ દર્શન, સોમવારે આરતી સ્પર્ધા, મંગળવારે તુલસી કુડ સ્પર્ધા, બુધવારે બ્રહ્માકુમારી બહેનનું પ્રવચન, ગુરૂવારે સત્યનારાયણ ભગવાનની કથા,  શુક્રવારે ભજન કીર્તન અને શનિવારે વિસર્જન કરાશે.

(4:19 pm IST)