Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

સ્વાઇન ફલૂથી કુંકાવાવના ૪૦ વર્ષના મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મોતઃ કુલ મૃત્યુઆંક ૩૬

રાજકોટ તા. ૧૨: સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના વધુ એક દર્દીનો ભોગ લેવાયો છે.  અમરેલીના કુંકાવાવ તાબેના બાંભણીયા ગામના ૪૦ વર્ષિય મહિલાએ ગત સાંજે સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો છે. આ મહિલાનો રિપોર્ટ પોઝિટીવ હતો. સ્વાઇન ફલૂથી ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૩૬ દર્દીના મોત નિપજ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં આજના દિવસે કુલ ૧૬ દર્દી સ્વાઇન ફલૂ વોર્ડમાં સારવાર હેઠળ છે. જેમાંથી ૧૨ના રિપોર્ટ પોઝિટીવ છે અને ૪ દર્દીના રિપોર્ટ આવવાના બાકી છે. શહેરની ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં કુલ ૪૨ દર્દી સારવાર લઇ રહ્યા છે. આરોગ્ય વિભાગના સુત્રોએ જાહેર કરેલા આંકડા મુજબ અગાઉ જે ૧૧ દર્દીના અલગ-અલગ દિવસે મૃત્યુ થયા હતાં તે તમામના મોત એચવનએનવનને કારણે થયાનો રિપોર્ટ આવતાં હવે કુલ મૃત્યુઆંક ૩૬ થયો છે.

ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ છે તેમાં જસદણ, જેતપુર, ઉપલેટા, રાજકોટ, વિછીયા, ગોંડલ, જામકંડોરણા, લોધીકા, કોટડાસાંગાણી, જુનાગઢ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગરના દર્દીઓનો સમાવેશ થાય છે.

(10:15 am IST)