Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

કોઠારીયા રોડ શ્રીનગરમાં મગફળીના વેપારી વૃધ્ધને પડોશીએ લાફો મારી ધમકી દીધી

વનમાળીભાઇ તન્નાએ પડોશી રામદેવસિંહને ગાળો બોલવાની ના પાડતાં ન ગમ્યું

રાજકોટ તા. ૧૦: કોઠારીયા રોડ શ્રીનગર રોડ પર રહેતાં મગફળીના વેપારી લોહાણા વૃધ્ધે પડોશી દરબાર શખ્સને ગાળો દેવાની ના પાડતાં લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

પોલીસે આ બારામાંકોઠારીયા રોડ પર શ્રીનગર મેઇન રોડ વિશાખા કોમ્પલેક્ષ સામે ગિતાંજલી સોસાયટી-૬માં રહેતાં વનમાળીભાઇ ગોપાલભાઇ તન્ના (ઉ.૬૫) નામના લોહાણા વૃધ્ધની ફરિયાદ પરથી ગિતાંજલી-૬ના ખુણે વિશાખા કોમ્પલેક્ષમાં ચોથા માળે રહેતાં રામદેવસિંહ જાડેજા સામે  ગુનો નોંધ્યો છે.

વનમાળીભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે કુવાડવા જીઆઇડીસીમાં રામદેવ ટ્રેડિંગ કંપની નામે મગફળીનો વેપાર કરે છે.   તા. ૮ના રાત્રે દસેક વાગ્યે પોતે ઘરે હતાં ત્યારે સામેના ભાગે આવેલા વિશાખા કોમ્પલેક્ષમાં ચોથા માળે રહેતાં રામદેવસિંહ જાડેજા જોર જોરથી ગાળો બોલતાં હોઇ ગાળો બોલવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઇ જઇ ગાલ પર લાફો મારી દીધો હતો. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં તેણે 'જો હવે મારી સામે બોલીશ તો જાનથી મારી નાંખીશ' કહી ધમકી આપી હતી અને તે ત્યાંથી નીકળી ગયેલ. તેની બીકને કારણે બે દિવસ ફરિયાદ કરી નહોતી. એ પછી શેરીના હિતેષભાઇ, દિનેશભાઇ, હર્ષદભાઇ, જયભાઇ સહિતને સાથે લઇ ગઇકાલે પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરી હતી.

(3:53 pm IST)