Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સળગેલ મગફળી સાથે માટી હતી કે કેમ? તે અંગે તપાસઃ ત્રિવેદી

શાપર-મગફળી અગ્નિકાંડમાં ઘટના સ્થળની મુલાકાત બાદ સીઆઇડીના ડીઆઇજી દિપાંકર ત્રિવેદીની પત્રકારો સાથે વાતચીત : જુનાગઢ કૃષિ વૈજ્ઞાનીકોને સાથે રાખી તપાસ કરાશેઃ સરકાર દ્વારા ગોડાઉનો ભાડે રખાય છે તેમાં સીસીટીવી કે સિકયુરીટી રાખવી તેવી કોઇ ગાઇડ લાઇન નથી : પાંચમાં દિવસે પણ આગના લબકારા ચાલુઃ એફએસએલ સેમ્પલ લ્યે તે બાદ જ તપાસ આગળ ધપશેઃ આગ લગાડી છે તેવા કોઇ તથ્ય મળતા નથી પણ વિજ કનેકશન વગરના ગોડાઉનમાં આગ કેમ લાગી? તે અંગે તપાસ

તસ્વીરમાં જયાં આગ લાગી હતી તે શાપર-વેરાવળ સ્થિત ગોડાઉન, બીજી તસ્વીરમાં ઘટના સ્થળે પોલીસ કાફલો, નીચેની તસ્વીરમાં પોલીસ અને એફએસએલ અધિકારીઓનો કાફલો, ત્યાર બાદ ગોડાઉન માલીક નરેન્દ્ર પટેલ અને અંતિમ તસ્વીરમાં સીઆઇડીજી દિપાંકર ત્રિવેદી પત્રકારોને માહીતી આપતા દ્રશ્યમાન થાય છે. બાજુમાં રૂરલ એસપી અંતરીપ સુદ તથા સીઆઇડીના ડીવાયએસપી ડી.પી.વાઘેલા નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૧૦: શાપર વેરાવળના મગફળી અગ્નિકાંડ બાદ ઘટના સ્થળની મુલાકાતે આવેલ. સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દિપાંકર ત્રિવેદીએ મગફળી અગ્નિકાંડમાં માં સળગી ગયેલ મગફળીના જથ્થા સાથે માટી હતી કે કેમ? તે અંગે જુનાગઢ કૃષિ વૈજ્ઞાનીકોને સાથે રાખી તપાસ કરાશે તેમ શાપર-વેરાવળ ખાતે   યોજાયેલ  પ્રેસ કોન્ફરસમાં જણાવ્યું હતું.

સીઆઇડીના ડીઆઇજી દિપાંકર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા મગફળી કે અન્ય જણસો માટે ગોડાઉન ભોડે રખાય છે. તેમાં સીસીટીવી કે સિકયુરીટી રાખવી તેવી કોઇ રાજય સરકારની ગાઇડલાઇન નથી અને અત્યાર સુધીમાં ભાડે રખાયેલ આવા ગોડાઉનોમાં સીસીટીવી કે સિકયુરીટી ન હોય તો તે અંગેના ગુન્હાઓ દાખલ કરાયા નથી. તેમજ શાપર  મગફળી અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં ગોડાઉન માલીક અને ગુજરાત વેર હાઉસીંગના અધિકારીઓ તથા સ્ટાફ સહિત ર૦ થી ર૧ વ્યકિઓના સીઆઇડી ક્રાઇમ દ્વારા નિવેદનો લેવાયા છે.

સીઆઇડી ક્રાઇમની તપાસમાં આગ લાગી છે કે હેતુ પુર્વકની લગાડાઇ છે. તે હજુ સ્પષ્ટ થયંુ નથી. તેમજ ગોડાઉનમાં જયાંથી મગફળીનો સ્ટોક આવ્યો હતો. તે સ્ટોક અંગે પણ તપાસ ચાલુ છે. આગ કઇ રીતે લાગી તે અંગે તપાસ કરવા વિવિધ દિશામાં તપાસ ચાલુ છે.

દરમિયાન શાપર-વેરાવળના ગોડાઉનમાં રાજય સરકાર દ્વારા ખરીદાયેલ મગફળીના જથ્થામાં આગ લાગ્યાની ભેદી ઘટના અંગે રાજય સરકારે સીઆઇડી ક્રાઇમને તપાસનો હુકમ કરતા રાજકોટ સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી ડી.પી.વાઘેલા, પીઆઇ આર.જે.વાઘેલા તથા પીઆઇ કણજારીયાની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્યાર સુધીમાં સીઆઇડી ક્રાઇમની ટીમે ગોડાઉન માલીક નરેન્દ્ર પટેલ વેરહાઉસીંગ કોર્પોરેશનના અધિકારીઓ તથા સ્ટાફ અને આગની ઘટનાની સૌ પ્રથમ જાણ કરનાર જયેશ સહિત ર૦ થી ૨૧ વ્યકિતઓના નિવેદન લેવાયા છે. પરંતુ આગ કેવી રીતે લાગી? તે રહસ્ય હજુ અકબંધ જ છે.

શાપર-વેરાવળ સ્થિત મગફળી ભરેલા ગોડાઉનમાં સીસીટીવી કેમેરાની સુવિધા નથી કે ગોડાઉનમાં વિજ કનેકશનની સુવિધા નથી તેમજ સિકયુરીટીની પણ કોઇ વ્યવસ્થા નથી. વિજ કનેકશન નથી છતાં મગફળી ભરેલા ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી? તે રહસ્ય છે.

સીઆઇડી ક્રાઇમના ડીઆઇજી દિપાંકર ત્રિવેદી આજે શાપર-વેરાવળ સ્થિત ગોડાઉનમાં જયાં આગ લાગી તે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. આગનું રહસ્ય શોધવા સ્થાનીક અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સીઆઇડીની અત્યાર સુધી તપાસમાં આગ લગાડે તેવા કોઇ તથ્યો મળ્યા નથી પણ વિજ કનેકશન વગરના ગોડાઉનમાં આગ કેવી રીતે લાગી? તે અંગે તપાસ કરવા સ્થાનીક અધિકારીઓની જરૂરી સુચનાઓ અપાઇ હતી.

બીજી બાજુ આજે પાંચમાં દિવસે પણ શાપર સ્થિત ગોડાઉનમાં આગના લબકારા હજુ ચાલુ જ છે. આગ સંપુર્ણ કાબુમાં આવ્યા બાદ જ એફએસએલ સેમ્પલ લેશે. ત્યાર બાદ જ તપાસ આગળ વધી શકશે.

ગોડાઉન માલીક નરેન્દ્ર પટેલ કહે છે કે ડિસેમ્બરમાં મગફળીનો જથ્થો આવ્યો અને

ફેબ્રુઆરીમાં ભાડા કરાર કરાયો!!

રાજકોટ, તા., ૧૦: શાપર-વેરાવળના ગોડાઉનમાં રાજય સરકાર દ્વારા ખરીદાયેલ ૪ કરોડની મગફળી સળગી ગયાની ઘટનામાં ગોડાઉન માલીક નરેન્દ્ર પટેલે પત્રકાર સમક્ષ   એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેની માલીકીના  ભાડે અપાયેલ ગોડાઉનમાં ડિસેમ્બરમાં રાજય સરકાર દ્વારા ખરીદાયેલ મગફળીનો જથ્થો આવી ગયો હતો. જયારે ગુજરાત વેરહાઉસીંગ દ્વારા ગોડાઉનનો ભાડા કરાર ફેબ્રુઆરી માસમાં કરાયો હતો. વેર હાઉસીંગ ખાતાના અધિકારીઓ દ્વારા ગોડાઉનમાં સિકયુરીટી રાખવા પોતાને સુચના અપાઇ હતી. પરંતુ સિકયુરીટી રાખવાની જવાબદારી વેરહાઉસીંગ ખાતાની હોય છે તેવુ જણાવી મેં સિકયુરીટી રાખી નહોતી. પોલીસ દ્વારા કોઇ નિર્દોષને ફીટ ન કરે તે જોવું જોઇએ તેમ અંતમાં ગોડાઉન માલીક નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

(4:19 pm IST)