Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ભાવનગર રોડ પર ગંજીવાડાના મનોજ પરમારને મુકેશ કોળીએ પાઇપથી માર માર્યોઃ એટ્રોસીટી

તારી છકડો રિક્ષા અહિ નહિ રાખવાની...કાલથી એકેય રિક્ષા ઉભી ન રાખતાં...તેવું કહી કોળી શખ્સે જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૯: ગંજીવાડાના છકડો ચાલક યુવાનને તે ભાવનગર રોડ પર જયનાથ પંપ નજીક પોતાની રિક્ષા લઇને ઉભો હતો ત્યારે તેના જ વિસ્તારના કોળી યુવાને તારે અહિ રિક્ષા રાખવી નહિ...તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો દઇ પાઇપથી માર મારતાં પોલીસે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

બનાવ અંગે થોરાળા પોલીસે ગંજીવાડા મેઇન રોડ પર શેરી નં. ૩૧માં રહેતાં છકડો ચાલક મનોજ જીવણભાઇ પરમાર (ઉ.૩૬)ની ફરિયાદ પરથી ગંજીવાડાના જ મુકેશ કોળી સામે ગુનો દાખલ કર્યો છે. મનોજના કહેવા મુજબ તે રવિવારે સાંજે ચારેક વાગ્યે ભાવનગર રોડ જયનાથ પંપ પાસે પોતાની છકડો રિક્ષા લઇને ભાડા કરવા માટે ઉભો હતો. આ વખતે મુકેશ કોળીએ આવી તારી છકડો રિક્ષા અહિ ઉભી નહિ રાખવાની તેમ કહી ઝઘડો કરી ગાળો ભાંડતા ગાળો દેવાની ના પાડતાં પ્લાસ્ટીકના પાઇપથી હુમલો કરી પગમાં ઇજા કરી હતી.

મારામારીના કારણે લોકો ભેગા થઇ જતાં પોતાને છોડાવ્યો હતો. જતાં જતાં મુકેશે હવે કાલથી અહિ એકેય છકડો રિક્ષા રાખતાં નહિ તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં શબ્દો પણ કહ્યાં હતાં. તેમ ફરિયાદમાં જણાવાતાં એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરીમાં તપાસ થઇ રહી છે.

(3:37 pm IST)