Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

રૈયા ગામમાં દિનેશભાઇ વાળાની તેના જ ઘરમાંથી કોહવાઇ ગયેલી લાશ મળી

ગળાફાંસો ખાતાં સાડી તૂટી જતાં જતાં મોત થયા બાદ લાશ બે દિવસ સુધી પડી રહીઃ પિતા ગુજરી ગયા હોઇ પત્‍નિ પખવાડીયાથી માવતરે હતી

રાજકોટ તા. ૯: રૈયા ગામમાં સ્‍મશાન નજીક ખોડિયાર મંદિર સામે રહેતાં દિનેશભાઇ (પ્રવિણભાઇ) મુળજીભાઇ વાળા (વણકર) (ઉ.વ.૪૦) નામના યુવાનની કોહવાયેલી દુર્ગંધયુક્‍ત લાશ તેના જ ઘરમાંથી ગત રાતે મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી અને આસપાસમાં ચકચાર મચી ગઇ હતી.

ઘરમાંથી રાતે નવેક વાગ્‍યે પડોશીઓને દૂર્ગંધ આવતાં તપાસ કરતાં દરવાજો અંદરથી લોક કર્યા વગરનો હોઇ ખુલી જતાં પ્રવિણભાઇ નીચે પડેલા જોવા મળ્‍યા હતાં અને લાકડાની આડીમાં સાડી બાંધેલી દેખાઇ હતી. ગળાફાંસો ખાતી વખતે સાડી તૂટી જતાં નીચે પટકાતાં ઇજા થયા બાદ મોત નિપજતાં અને લાશ બે દિવસ સુધી પડી રહી હોવાથી દૂર્ગંધ આવવા માંડયાનું જણાયું હતું.

પડોશીઓએ નજીકમાં જ રહેતાં પ્રવિણભાઇ (દિનેશભાઇ)ના ભાઇ હસમુખભાઇ વાળાને જાણ કરતાં તેઓ દોડી આવ્‍યા હતાં અને ૧૦૮ને જાણ કરતાં ઇએમટી કરણભાઇ અને પાઇલોટ સુરેશભાઇ પહોંચ્‍યા હતાં. ઇએમટીની તપાસમાં તે મૃત જણાતાં પોલીસ કન્‍ટ્રોલ રૂમને જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્‍સ. અલ્‍પેશભાઇ સહિતે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર પ્રવિણભાઇ (દિનેશભાઇ) બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્રી છે. પોતે છુટક મજૂરી કરતાં હતાં અને નશો કરવાની આદત હોવાનું પરિવારજનોએ કહ્યું હતું. હાલતમાં તેના સસરા ભાણજીભાઇનું અવસાન થયું હોઇ પત્‍નિ જમુનાબેન પખવાડીયાથી ભગવતીપરામાં માવતરે હતાં. પ્રવિણભાઇ પણ ત્‍યાં આવ જા કરતાં હતાં અને બે દિવસ પહેલા ઘરે આવ્‍યા બાદ કોઇપણ કારણોસર ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો અને પડી જતાં ઇજા થયા બાદ મોત નિપજ્‍યું હતું. તેમ પરિવારજનોએ કહ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:56 am IST)