Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પરિવર્તન સંકલ્‍પ યાત્રાનું રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સ્‍વાગત

આ વખતે ગુજરાતમાં પરિવર્તન આવશે : યાત્રા થકી કોંગ્રેસનો એજન્‍ડા પ્રજાને માહિતગાર કરવાનો છે : પ્રદિપ ત્રિવેદી - સંજય અજુડિયા

રાજકોટ તા. ૮ : ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્‍ચે રાજયમાં ચૂંટણીનો માહોલ જામ્‍યો છે. આ વખતે રાજકીય સમીકરણો અને સ્‍થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહ્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ‘કોંગ્રેસનું કામ બોલે છે' સુત્રથી પ્રચાર કરી રહી છે. હવે કોંગ્રેસે રણનિતી અનુસાર પ્રચાર કરવા કમર કસી છે. ત્‍યારે કોંગ્રેસ મહતમ બેઠકો હાંસલ કરવા પરિવર્તન સંકલ્‍પ યાત્રા થકી સમગ્ર ગુજરાતમાં પ્રચાર કરી રહી છે.

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવ્‍યું છે કે તા. ૭ના રોજ રાજકોટ ખાતે પહોંચેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પરિવર્તન સંકલ્‍પ યાત્રા લઈ પધારેલ રાજય સભાના સાંસદ અને ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધપક્ષના નેતા શક્‍તિસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગના ચેરમેન ઘનશ્‍યામભાઈ ગઢવી આવેલ હતા.

આ તકે આગેવાનોએ જણાવેલ કે છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસન, ખોટી નીતિ અને અણઘડ વહિવટથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સમાજના તમામ વર્ગો પોતાના અસ્‍તિત્‍વ માટે લડાઈ લડી રહ્યાં છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીથી સામાન્‍ય જનતાનું જીવન અસહ્ય બન્‍યું છે. દિન-પ્રતિદિન આવશ્‍યક ચીજ-વસ્‍તુઓના ભાવમાં તોતિંગ વધારો, કથળેલી સ્‍વાસ્‍થ્‍ય સુવિધાઓ તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની ખાડે પડેલી પરિસ્‍થિતિમાં ગુજરાતની પ્રજા મુક્‍તિ મેળવવા કોંગ્રેસને વિજયતિલક કરવા થનગની રહી છે, ત્‍યારે સમગ્ર રાજકોટમાં અને રાજયમાં ચોમેરથી પ્રજામાં કોંગ્રેસની આ પરિવર્તન સંકલ્‍પ યાત્રા રાજકોટના વિવિધ મુખ્‍ય માર્ગો ઉપર પસાર થઇ સાથે મોટી સંખ્‍યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો બાઈક સાથે જોડાયા હતા અને પ્રજામાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

રાજકોટ ખાતે ગુજરાતની પરિવર્તન યાત્રા આવી પહોંચતા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરાયું હતું. ૧૨૫ ઉપરાંતની બેઠકો સાથે કોંગ્રેસ ગુજરાતની જનતાના દીલ જીતે લેશે એવો આત્‍મ વિશ્વાસ કોંગ્રેસના નેતાઓએ વ્‍યક્‍ત કર્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ વોરા અને સુરેશભાઈ બથવારે પરિવર્તન સંકલ્‍પ યાત્રાનું સ્‍વાગત કરતા જણાવ્‍યું હતું કે, ભાજપના મુળિયા સાફ થશે આ વખતે ગુજરાતમાં પરિવર્તન આવશે. જે કોંગ્રેસના ફરતા રથમાં ઉમટેલી માનવ મેદની તેની સફળતા બતાવે છે.આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, કાર્યકારી પ્રમુખ સંજયભાઈ અજુડિયા, રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, ઉમેદવાર હિતેશભાઈ વોરા, સુરેશભાઈ બથવાર તેમજ પ્રદેશ કોંગ્રેસ હોદેદારો, આગેવાનો, વોર્ડ પ્રમુખો, વિવિધ ફ્રન્‍ટલ-સેલ વિભાગના ચેરમેન-વડાઓ, શહેર કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, અને તમામ શ્રેણીના આગેવાનો કાર્યકર ભાઈઓ-બહેનોએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી પરિવર્તન યાત્રાનું સ્‍વાગત કર્યું હતું.

(3:45 pm IST)