Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

દૂધ સાગર રોડ લાખાજીરાજ સોસાયટીના હમીદાબેન ધંધુકીયા (ઉ.વ.૬૨)ને સોમવારે સિવિલમાં દાખલ કરાયા હતાં: આજે મૃત્યુ થયા પછી પોઝિટિવ રિપોર્ટ જાહેર થયો

અગાઉ ગુંદાવાડી હોસ્પિટલમાં હૃદય, ફેફસા, ડાયાબિટીશની સારવાર લીધી હતી, એ પછી સોમવારે ક્રાઇસ્ટમાં પણ દેખાડ્યું હતું

રાજકોટ તા. ૮: સિવિલ હોસ્પિટલ કોવિડ-૧૯માં આજે સવારે સાડા દસ આસપાસ મૃત્યુ પામનાર દૂધ સાગર રોડ લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી-૩માં રહેતાં હમીદાબેન ઇકબાલભાઇ ધંધુકીયા (સિપાહી) (ઉ.વ.૬૨) નામના વૃધ્ધાને હૃદય પહોળુ થવાની બિમારી ઉપરાંત ડાયાબિટીશ અને ફેફસામાં પાણી ભરાઇ જવા સહિતની બિમારી હોઇ થોડા દિવસો પહેલા ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. ત્યાંથી ગયા રવિવારે રજા અપાયા પછી સોમવારે તેમને ક્રાઇસ્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો રિપોર્ટ કરાવવા મોકલવામાં આવ્યા હતાં. ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રખાયા હતાં. આજે સવારે રિપોર્ટ આવે એ પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રિપોર્ટ આવ્યો હતો જે પોઝિટિવ હોવાનું પરિવારજનોને કહેવાયું હતું. મૃત્યુ પામનાર તેમના પતિ સાથે રહેતાં હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. હમીદાબેનના મૃત્યુથી પરિવારજનોમાં માતમ છવાઇ ગયો છે.

(3:52 pm IST)