Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

મ્યુ.કોર્પોરેશન દ્વારા વિશેષ ૩૫ ધનવંતરી રથનો પ્રારંભઃ શહેરના કન્ટેઇનમેન્ટ ઝોન અને ગીચતા ધરાવતા વિસ્તારોમાં ઉકાળા વિતરણ કરશે

રાજકોટઃહાલ કોરોના વાઇરસ મહામારી ચાલી રહી છે, આ વાઇરસને માત આપવા માટે માનવ શરીરમાં રોગપ્રતિકારક શકિત વધુ પ્રમાણમાં હોવી જરૂરી છે. તે બાબતને ધ્યાને લઇ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન અને નિર્ણય અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૧જુલાઇના રોજ કુલ ૧૫ ધનવંતરી રથ પ્રારંભ કરવામાં આવેલ. આજ તા.૦૮જુલાઇના રોજ વિશેષ ૩૫ ધનવંતરી રથનો પ્રારંભ  મેયર બિનાબેન આચાર્ય, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મ્યુનિ.  કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઇ ઠાકર, વિગેરેના વરદ હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે નાયબ કમિશનર બી. જી. પ્રજાપતિ, એ.કે.સિંઘ, નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ, નાયબ આરોગ્ય અધિકારીશ્રી ડો. ભૂમિબેન પીપળીયા તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહેલ. આજથી શરૂ કરાવેલ ૩૫ ધનવંતરી રથ મળી કુલ ૫૦ ધનવંતરી રથ દ્વારા શહેરના કન્ટેઇનમેન્ટ ઝોન અને ગીચતા ધરાવતા વિસ્તારોમાં રોગપ્રતિકારક શકિત વધારતા ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. તેમજ દરેક રથમાં થર્મલ ગન અને પલ્સ ઓકસીમીટર દ્વારા સ્ક્રીનીંગ કરવાની કામગીરી પણ કરવામાં આવશે. પ્રસ્થાન સમયે તમામ લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ રથ સવારના ૦૯ થી ૧૨ અને સાંજના ૦૪ થી ૦૬ શહેરના વિસ્તારોમાં ફેરવવામાં આવે છે.  આ કાર્યક્રમની સંપૂર્ણ કામગીરી આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અધિકારીશ્રી અને નાયબ આરોગ્ય અધિકારી તેમજ આરોગ્ય શાખાના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

(3:48 pm IST)