Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

કાળીપાટના પાટીયે ઝૂપડામાં સુતેલી ૧૪ વર્ષની અસ્મિતાનું સર્પદંશથી મોત

ચીસ સાંભળી માતા જાગી ગઇઃ રાજકોટ સારવારમાં ખસેડી પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૬: કાળીપાટના પાટીયા પાસે મુરલીધર આયુર્વેદિક હોસ્પિટલ નજીક નવા બાંધકામની સાઇટ પર માતા સહિતના પરિવારજનો સાથે રહેતી મુળ મધ્યપ્રદેશની અસ્મિતા કલસિંગ ભુરીયા (ઉ.વ.૧૪)નું સર્પદંશથી મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

રાત્રીના સવા બારેક વાગ્યે અસ્મિતા ઝૂપડામાં અચાનક ચીસ પાડી જાગી જતાં માતા સહિતના સ્વજનો પણ જાગી ગયા હતાં. ત્યાં એક સાપ બહાર જતો દેખાયો હતો. અસ્મિતાને સાપે હાથમાં દંશ મારી  દીધો હોઇ તાકીદે તેણીને બાંધકામ સાઇટના સંચાલક સહિતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. પરંતુ અહિ તેણીનું મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાબડે આજીડેમ પોલીસને જાણ કરી હતી. અસ્મિતાના પિતા હયાત નથી. તે બે ભાઇ અને બે બહેનમાં નાની હતી.

(11:49 am IST)