Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

તું કોણ સમાધાન કરાવવા વાળો?...કહી દિપક ખીમસુરીયા પર ગોૈરાંગ અને કરણનો હુમલો

નરસિંહનગરમાં વાહન સામ-સામે આવી જવા બાબતે દિપકના ભાઇ કરણને સંજય ભરવાડ સાથે બોલાચાલી થઇ'તીઃ ખાર રાખી ગાળો દઇ તિક્ષ્ણ હથીયાર ઝીંકયું

રાજકોટ તા. ૩: આરટીઓ પાછળ નરસિંહનગર-૭માં રહેતાં વણકર યુવાનના  પિત્રાઇ ભાઇને ભરવાડ શખ્સ સાથે ટુવ્હીલર સામ-સામે આવી જવા બાબતે બોલાચાલી થઇ હતી. આ બાબતે વણકર યુવાન ભરવાડ શખ્સોને સમજાવવા અને સમાધાન કરી લેવાનું કહેવા જતાં આ બંનેએ તું કોણ સમાધાન કરવાનું કહેવા વાળો? તેમ કહી ગાળો દઇ વાંસામાં તિક્ષ્ણ હથીયારથી ઇજા કરતાં પોલીસે અનુસુચીત જાતી-જનજાતી અત્યાચાર નિવારણ સુધારણા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ નરસિંહ નગરમાં રહેતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો દિપક હિતેષભાઇ ખીમસુરીયા (ઉ.૩૫) નામનો વણકર યુવાન રાત્રે સાડા નવેક વાગ્યે ૮૦ ફુટ રોડ પર સરલ સ્ટવ પાસે હતો ત્યારે ગોૈરાંગ ભરવાડ અને સંજય ભરવાડે ઝઘડો કરી હુમલો કરી ગાળો દેતાં સારવાર માટે દાખલ થયો હતો.   થોરાળા પોલીસે તેની ફરિયાદ પરથી બંને શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

દિપકના ભાઇ કરણ મોહનભાઇ ખીમસુરીયા (ઉ.૨૪)ના કહેવા મુજબ બે દિવસ પહેલા હું એકટીવા લઇને નીકળ્યો ત્યારે સંજય પણ સામે તેનું વાહન લઇને આવતાં અમારી વચ્ચે બોલાચાલી થઇ હતી. આ બાબતે દિપકભાઇએ ગોૈરાંગ અને સંજય ભરવાડને ફોન કરી કરણ સાથે થયેલી બોલાચાલીનું સમાધાન કરી લેવાનું કહેતાં  બંનએ તું કોણ સમાધાન કરાવવા વાળો તેમ કહી ગાળો દઇ વાંસામાં કોઇ હથીયારથી ઇજા કરી હતી. એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરીમાં તપાસ થઇ રહી છે.

(1:18 pm IST)