Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

સ્‍થાનકવાસી જૈનો સોમવારે તથા મૂર્તિપૂજક સમાજ મંગળવારે ભગવાન મહાવીર જન્‍મ કલ્‍યાણક ઉજવશે

દેવોને પણ દર્શનીય, મુનિઓને મનનીય અને માનનીય, સર્વને પૂજનીય મહાવીર પ્રભુએ ૨૫૦૦ વર્ષ પહેલા પ્રકાશેલા સિધ્‍ધાંતો આજે પણ એટલા જ ઉપયોગી છે

રાજકોટ,તા. ૧ : પરમ કૃપાળુ પરમાત્‍મા ત્રિલોકીનાથ વીર વર્ધમાન - મહાવીરનો આત્‍મા કર્મના સંયોગે ઋષભદત્ત બ્રાહ્મણના ઘેર માતા દેવાનંદાની કુક્ષિમાં ૮૨ રાત્રિ રહ્યા બાદ દેવો દ્વારા ગર્ભનું સંહરણ થયું. માતા ત્રિશલાને અર્ધ જાગૃત અવસ્‍થામાં હાથી,દેવ વિમાન આદિ ૧૪ મહા સ્‍વપ્‍ન આવ્‍યાં. ત્રિશલા માતાએ ધર્મ જાગરિકા કરતાં રાત વ્‍યતિત કરી અને સુપ્રભાત થતાં જ સિધ્‍ધાર્થ રાજાને સપનાની વાત કરી.રાજાએ કુશળ સ્‍વપ્‍ન પાઠકોને બોલાવી સપનાનું ફળ બતાવવા આજ્ઞા કરી.સ્‍વપ્‍ન પાઠકોએ કહ્યું હે મહારાજા ધિરાજ ! તમારે આંગણે જગતનો નાથ,કરૂણાસાગર,સિંહ જેવો શૂરવીર,ચંદ્ર જેવો નિર્મળ,સૂર્ય જેવો ઓજસ્‍વી અને તેજસ્‍વી મહાપુરુષ અવતરશે. માતા ત્રિશલાની કૂખે ગર્ભ ધારણ થતાં જ સારાયે ક્ષત્રિયકૂંડ નગરમાં ધન - ધાન્‍ય આદિ અપરંપાર વૃદ્ધિ થવા લાગી. ગર્ભકાળ પૂર્ણ થતાં જ ચૈત્ર સુદ તેરસના દેવાધિદેવનો જન્‍મ થયો.

૬૪ ઈન્‍દ્રો,૫૬ દિશા કુમારીકાઓ તથા મનુષ્‍ય લોકના માનવીઓએ જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવ આનંદોલ્લાસ પૂર્વક ઊજવ્‍યો.ત્રણે લોકમાં પ્રકાશ - અજવાળા પથરાઈ ગયાં. માતા - પિતાએ ગુણ નિષ્‍પન એવું ‘વર્ધમાન' નામ રાખ્‍યું. જૈનાગમ સૂયગડાંગ સૂત્ર અધ્‍યયન ૬,અનુસાર ભગવાન મહાવીરના વીર,વર્ધમાન,સન્‍મતિ, વૈશાલિક,જ્ઞાત પુત્ર વગેરે નામોલ્લેખ છે.ᅠ પ્રભુ મહાવીરે કહ્યુ સહિષ્‍ણુતા એ શ્રેષ્ઠ ધર્મ છે.

પ્રભુ મહાવીરે સતત સાડા બાર વર્ષ અને એક પખવાડિયા સુધી આર્ય અને અનાર્ય દેશમાં,કયારેક ઉદ્યાનમાં તો કયારેક જંગલમાં વિચરણ કરી દેવ,મનુષ્‍ય અને તિર્યચકૃત અનેક પરિષહો અને ઉપસર્ગોને હસતાં મુખે સમતા ભાવે સહન કરી જગતને સંદેશો આપ્‍યો કે ‘સહિષ્‍ણુતા એ શ્રેષ્ઠ ધર્મ છે'.  એક જ રાતમાં સંગમ નામના દેવે વીસ - વીસ ઉપસર્ગો આપ્‍યાં છતાં કરૂણાનિધાને સહન કર્યાં.. કહેવાય છે કે પ્રભુની આંખમાંથી કરૂણાના બે બિંદુ ટપકી પડ્‍યાં કે...આ સંગમનું શું થશે ? ચંડ કૌશિક સર્પ કે જેની દ્રષ્ટિમાં હળાહળ ઝેર હતું તેણે જયારે પરમાત્‍માને ડંખ દીધા ત્‍યારે પ્રભુના મુખમાથી શબ્‍દો સરી પડેલ... સંબુજ્જ..કિં..ન બુજ્જહ...અથાત્‌ હે ચંડ કૌશિક ! શાંત થા..શાંત થા.બોધને કેમ પ્રાપ્ત કરતો નથી ? યાદ કર તારા પૂર્વ ભવને ! સાધુ થઈને ક્રોધ કર્યો તો તું સર્પ બન્‍યો... હવે શાંત થઈ જા.

પ્રભુની અમૃત વાણી સાંભળી ચંડ કૌશિકના જીવનમાં વળાંક આવ્‍યો,પશ્ચાતાપ થયો ફળ સ્‍વરૂપે આઠમું દેવલોક મળ્‍યું. કોઈકે પ્રભુના કાનમાં ખીલા ઠોક્‍યા તો કોઈકે પ્રભુની પાછળ કુતરાઓ દોડાવ્‍યા.પ્રભુએ હસતાં મુખે આ બધા ઉપસર્ગોને સહન કર્યા. દેવલોકનો ઈન્‍દ્ર પ્રભુને આજીજી અને કાકલુદી કરે કે હે દેવાધિદેવ ! હું સતત આપની સેવા કરવા ઈચ્‍છુ છું ત્‍યારે પ્રભુ કહે ન અઠ્ઠે..ન સમઠ્ઠે.

પ્રભુની નજર સમક્ષ ગોશાલકે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે સાધુઓને બાળીને ભડથુ કરી નાખ્‍યા અને પ્રભુ ઉપર પણ તેજો લેશ્‍યા છોડી જેનાથી પ્રભુને છ માસ સુધી દાહજવર થઈ ગયો.આમ છતાં પરમાત્‍માએ જગતના દરેક જીવોને પોતાના જ આત્‍મા સમાન સમજયા. ગોશાલક હોય કે ગૌતમ ગણધર,ચંડ કૌશિક હોય કે ચંદનબાળા,જમાલિ હોય કે જયંતિ શ્રાવિકા પ્રભુ માટે દરેક આત્‍મા સરખા.ᅠ

પ્રભુ મહાવીર મોક્ષ માર્ગમાં મેરૂ પર્વતની જેમ અડોલ અને અડગ રહી કર્મો ખપાવી પારગામી થયા. પ્રભુ મહાવીરના શાસનમાં ૧૪૦૦૦ શ્રમણો,૩૬૦૦૦ શ્રમણીઓ (સાધ્‍વીજીઓ),૧,૫૯,૦૦૦ શ્રમણોપાસકો,૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ હતાં. જેમાં મગધ અને અંગ દેશના અધિપતિ સમ્રાટ શ્રેણિક મહારાજા, ચંપા નરેશ કોણીક જેવા ભક્‍તો પણ હતાં કે જેઓ પ્રભુના મંગલ પદાર્પણના સમાચાર આપનારનું દારિદ્ર દૂર કરી દેતાં. પ્રભુએ કર્મ સંગ્રામમાં વિજય પ્રાપ્ત કરી ચાર ઘાતિ કર્મોનો ક્ષય કરી વૈશાખ સુદ દશમના ગોદુ આસને ચોથા પ્રહરમાં છઠ્ઠ તપની આરાધના સાથે ધ્‍યાનસ્‍થ અવસ્‍થામાં કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પ્રાપ્ત કર્યુ. અસંખ્‍ય દેવોએ કેવળ મહોત્‍સવ ઊજવ્‍યો.કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી જ પ્રભુએ ઉપદેશ - ધર્મ દેશના આપવાનું શરૂ કર્યું.

કોરોના કાળમાં સમગ્ર જગતે મહાવીરના વિચારોને અનુસર્યુ...! ગરમ પાણી વાપરવું, મુખ ઉપર માસ્‍ક - મુહપત્તિ - ઉત્તરાસંગ ધારણ કરવું,એક - બીજા સાથે સાડા ત્રણ હાથનું અંતર રાખવું,જીવદયા,કરુણા, અનુકંપા વગેરે બાબતો લોકો આજે પણ અનુસરી રહ્યાં છે. પ્રભુની દેશના અર્ધ માગ્‍ધી ભાષામાં સૌ પોતપોતાની ભાષામાં સમજી જાય તેવી,ક્રોંચ પક્ષીની જેવી મંજુલ સ્‍વરી,મીઠી મધુરી,માલકોષ રાગમાં,ગંભીર અને વૈરાગ્‍ય સભર ૩૫ ગુણયુક્‍ત જિનવાણી હોય છે.પ્રભુની અણમોલ વાણીનું શ્રવણ કરવા ૧૨ પ્રકારની પરિષદ આવે તેમાં સૂર્યાભદેવ પણ આવે અને સુબાહુકુમાર પણ આવે.જિનવાણીનું અમૃત પાન કરી અર્જુન માળી જેવા ખુનીમાંથી મુનિ બની ગયાં, કંઈક ભાગ્‍યશાળી આત્‍માઓ ભોગીમાંથી યોગી બની ગયાં, કંઈક હળુ કર્મી આત્‍માઓᅠ જીવમાંથી શીવ બની ગયાં. અરે ! પેલા નંદ મણિયારનો આત્‍મા દેવાધિદેવના દર્શન માત્રની ભાવનાથી દેડકો દર્દુર દેવ બની ગયો.

પ્રભુ મહાવીર કહે છે માનવનો ભવ એટલે અનંતા ભવોનો અંત કરવાનો ભવ : પ્રભુના સમવસરણની રચના દેવો કરે છે.પ્રભુના ઈન્‍દ્રભૂતિ આદિ ૧૧ ગણધર ભગવંતો હતાં. કહેવાય છે પ્રભુ આ ગણધર ભગવંતોને ત્રિપદી આપે અને ગણધરો તેમાથી અંગસૂત્રોની રચના કરે,ગ્રંથસ્‍થ કરે.પરમાત્‍મા ૧૦૦૮ ઉત્તમ લક્ષણોના ધારક હોય,૮ પ્રતિહાર્ય હોય ૩૪ અતિશયો તેમજ ૭૨ કલાઓમાં પ્રવિણ હોય. જૈનાગમ શ્રી સુયગડાંગ સૂત્રમા આગમકાર ભગવંતોએ ફરમાવ્‍યુ કે દાનમાં અભયદાન,તપમાં બ્રહ્મચર્ય,ઉપવનોમાં નંદનવન,ધ્‍વનિઓમાં મેઘ ધ્‍વનિ,હાથીઓમાં ઐરાવત,પશુઓમાં સિંહ,પક્ષીઓમાં ગરૂડ,નદીઓમાં ગંગા તેમ મુનિઓમાં,જ્ઞાનીઓમાં, તપસ્‍વીઓમાં ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતાં.

અઢાર દેશના રાજા - મહારાજાઓ અને વિશાળ જન મેદની સમક્ષ પરમ પૂણ્‍યશાળી પાવાપુરીના પ્રાંગણે પ્રભુએ પોતાની અંતિમ ધર્મ દેશના - ઉપદેશ સ્‍વરૂપે શ્રી ઉત્તરાધ્‍યયન સૂત્ર અને શ્રી વિપાક સૂત્રની વાંચના આપી.જીવનરૂપી દીવામાંથી આયુષ્‍યરૂપી તેલ પૂર્ણ થવામાં હતું ત્‍યારે પ્રાર્થના કરે કે હે પ્રભુ ! માત્ર બે ઘડીનું આપનું આયુષ્‍ય વધારી અમારી ઉપર કૃપા કરો.આ સાંભળી ત્રિલોકીનાથ પ્રત્‍યુત્તર આપે કે ન ભૂતો,ભવિષ્‍યતિ,ન અઠ્ઠે,ન સમઠ્ઠે અર્થાત્‌ ભૂતકાળમાં આવું કદી થયું નથી,ભવિષ્‍યમાં કદી થશે નહીં. મૃત્‍યુને પાછુ ઠેલવવામાં કોઈ સમર્થ નથી.આસો વદ અમાસના પ્રભુનો આત્‍મા આઠેય કર્મોથી મુક્‍ત થઈ ૭૨ વર્ષનું આયુષ્‍ય પરીપૂર્ણ કરી અનંતા સિદ્ધ ભગવંતોની સાથે જયોતમાં જયોત મિલાવી નિર્વાણ પામી સિદ્ધ, બુધ્‍ધ અને મુક્‍ત થયા.

:સંકલનઃ

મનોજ ડેલીવાળા મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(4:09 pm IST)