News of Thursday, 23rd August 2018
(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ શિકાગો નજીક કરેલસ્ટ્રીમ ટાઉનમાં સીનીયરોના હિતાર્થે ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગો નામની સંસ્થા કાર્યવંત છે અને તેના સભ્યોની એક સભા ઓગષ્ટમાસની ૧૮મી તારીખને શનિવારે આ ટાઉનમાં આવેલ રાણા રેગન સેન્ટરમાં મળી હતી તે વેળા બ્લાઇન્ડ ફાઉન્ડેશન ફોર ઇન્ડીયાના પ્રમુખ ડો મનુવોરાએ હાજરી આપી હતી અને તે વેળાએ ગુજરાતના હાસ્યરસના અગ્રણી અને રમુજી ટૂચકાઓ રજુ કરીને પ્રેક્ષકોને આનંદ આપનારા એવા ડો જગદીશ ત્રિવેદીના હાસ્યરસનો એક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
આ મીટીંગમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીનું અચાનક નિધન થતા હાજર રહેલા સૌ સભ્યોએ સ્વર્ગસ્થના માનમાં બે મીનીટનું મોન પાળીને તેમના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રસંગે બ્લાઇન્ડ ફાઉન્ડેશન ઓફ ઇન્ડીયાના પ્રમુખ ડો.મનુભાઇ વોરાએ પણ હાજરી આપી હતી અને પોતાની સંસ્થા દ્વારા અંધાપો દુર કરવાના માટે જે વિવિધ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે તે અંગે જરૂરી માહિતીઓ તેમણે સર્વે સભ્યોને આપી હતી.
આ વેળા આ સંસ્થાના સભ્યો દ્વારા ગયા વર્ષે જે એક મોબાઇલ વાન અર્પણ કરવામાં આવી હતી તેવાન ગુજરાત રાજયના આણંદ જીલ્લાના ચીખોદ્રા ગામમાં જે આર.એમ આંખની હોસ્પીટલ છે તેને દાનમાં આ સંસ્થા વતી આપેલ છે અને તે ગરીબ લોકોનો અંધાપો દુર કરવાના ઉપયોગમાં લેવામાં આવે છે તેની વિડિયો તમામ સભ્યોને બતાવી હતી અને આ વિડિયો નિહાળીને તમામ સભ્યો પ્રભાવીત થઇ ગયા હતા.
ડો.મનુભાઇ વોરાએ તમામ સીનીયર ભાઇ બહેનોને તમારી સંસ્થા દ્વારા દિવતીય ફરતીવાન ભેટમાં આપવા માટે જરૂરી દાનો ઉદાર દીલે આપવા માટે જણાવતા આ સંસ્થાના પ્રમુખ હરિભાઇ પટેલે સૌથી પહેલા પોતાના પરિવારના સભ્યોવતી એક હજાર ડોલરના દાનની જાહેરાત કરાતા ફકત ૨૦ મીનીટના સમયગાળા દરમ્યાન ૨૦ હજાર ડોલર દાનમાં આપી તેનો ધોધ વહાવ્યો હતો અને હવે આ સંસ્થા દ્વારા આ બીજી મોબાઇલ વાન ગરીબોના હિતાર્થે કાર્યવંત બની જશે. તેમણે ગરીબ માણસોનો અંધાપો દુર થાય તે માટે એક દર્દી દીઠ વીસ ડોલરનું દાન આપવા માટે હિમાયત કરતા તે અંગે પણ સીનીયર સભ્યોએ દાન આપ્યુ હતુ.
ગુજરાતના હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદીએ આ વેળા સુંદર હાસ્યનો કાર્યક્રમ રજુ કર્યા હતો અને રમુજી ટુચકાઓ રજુ કરતા સીનીયરોએ આનંદ માણ્યો હતો.
ભારતીય સીનીયર સીટીઝન ઓફ શિકાગોના સભ્યોએ ગરીબ લોકોનો અંધાપો દુર થાય તે માટે વીસ હજાર ડોલર જેટલી રકમનું દાન અનુદાનમાં આપતા શિકાગોમાં આ સંસ્થાની સરાહના થઇ રહેલ છે. તમામ સીનીયર ભાઇ બહેનોએ જે આ માનવતાનુ કાર્ય કર્યુ તે બદલ તેઓ અભિનંદનને પાત્ર છે.