Gujarati News

Gujarati News

News of Wednesday, 30th January 2019

અંતે રામ મંદિર માટે વસંત પંચમીથી અયોધ્યા કૂચ શરૂ

૨૧મી ફેબ્રુઆરીના દિવસે શિલાન્યાસ કરાશેઃ કુંભમાં ધર્મસંસદની બેઠકમાં સંતોની ઉપસ્થિતિમાં નિર્ણય

પ્રયાગરાજ,તા.૩૦: પ્રયાગરાજમાં આજે વિશ્વ હિન્દુ પરિષદની ધર્મસંસદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રામ મંદિર માટે વસંત પંચમીથી અયોધ્યા કૂચનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાથે સાથે ૨૧મી ફેબ્રુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર માટે શિલાન્યાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધર્મસંસદના અંતિમ દિવસે જુદા જુદા પાસાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. વસંત પંચમીના દિવસે સાધુ સંતો પ્રયાગરાજથી અયોધ્યા પહોંચશે. આ નિર્ણયથી જોડાયેલા ધર્માદેશ પર શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતી મહારાજે હસ્તાક્ષર કર્યા છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું, મંદિર તોડનારી સરકાર રામ મંદિરનું નિર્માણ ના કરાવી શકે. આ માટે અમે ૨૧ ફેબ્રુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામમંદિરનું શિલાન્યાસ કરશે. વસંત પંચમી (૧૦ ફેબ્રુઆરી) બાદ અમે સંત પ્રયાગરાજથી અયોધ્યા માટે કૂચ કરીશું. આ માટે અમારે ગોળી પણ ખાવી પડે તો અમે પીછેહઠ નહીં કરીએ. જે પ્રકારે શીખોના ગુરૂ ગોવિંદ સિંહે દેશના કરોડો હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતા પોતાનું બલિદાન આપ્યું હતું, એ જ પ્રકારે મહારાજજી જગદગુરૂ સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ ધર્માદેશ જાહેર કર્યો છે. સૌથી આગળ મહારાજશ્રી ચાલશે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, જે પ્રકારે ગલી-ગલી શંકરાચાર્ય થઇ ગયા છે, તે જ પ્રકારે ગલી-ગલીએ ધર્મસંસદ થઇ રહી છે. હવે આ નહીં ચાલે, ધર્મસંસદ કરાવવાનો અધિકાર શંકરાચાર્યનો છે. સનાતન ધર્મી લોકોનું નેતૃત્વ ઇજીજી નહીં કરે. શંકરાચાર્ય અમારાં નેતા છે. અમે સનાતનધર્મી પોતાના ગુરૂઓના ચરણમાં અમારું મસ્તક રાખીએ છીએ. અમે કોઇ કાયદાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા. ચાર શિલાઓને ઉઠાવવા માટે ચાર લોકો જોઇએ. ચાર લોકોના ચાલવાથી કોઇ કાયદાનો ભંગ નથી થતો. જે પ્રકારે અંગ્રેજોના મીઠાંનો કાયદો તોડવા માટે દાંડી માર્ચ કરી હતી, તે જ પ્રકારે શંકરાચાર્યએ રસ્તો દેખાડ્યો છે. તેઓના નેતૃત્વમાં ચાર લોકો રામ મંદિર નિર્માણ માટે ઘરોમાંથી નિકળશે. અમે ભગવાન રામના નામે માર પણ સહન કરીશું, કારણ કે તે ભગવાનનો પ્રસાદ હશે. લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકારે મંગળવારે અયોધ્યા મામલે મોટું પગલું ઉઠાવ્યું હતું.

(10:31 pm IST)