Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ભારત સાથે સારા સંબંધ સ્થાપિત કરવાની ઇચ્છા છે : ઇમરાન ખાન

પાકિસ્તાનની ચૂંટણીમાં સૌથી વધુ સીટ બાદ ઇમરાનની વિક્ટ્રી સ્પીચ : ભ્રષ્ટાચારને ખતમ કરીને પાકિસ્તાનમાં મૂડીરોકાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે : વડાપ્રધાનના આવાસમાં નહીં રહેવાની જાહેરાત : બોલીવુડની ટીકાઓ

ઇસ્લામાબાદ, તા. ૨૬ : પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી યોજાયાના એક દિવસ બાદ પણ મતગણતરી હજુ પૂર્ણ થઇ નથી. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈ ચૂંટણીમાં સૌથી વધારે આગળ છે અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અને પીટીઆઈના લીડર ઇમરાન ખાન દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે ત્યારે આજે ઇમરાન ખાને રાષ્ટ્રને નામ સંબોધન કર્યું હતું. વિક્ટ્રી સ્પીચમાં ઇમરાન ખાને ભારત સાથે સંબંધોને લઇને પણ વાત કરી હતી. ઇમરાન ખાને ચૂંટણીમાં અનિયમિતતા અને ગોટાળાઓના આક્ષેપને રદિયો આપ્યો હતો. પાકિસ્તાનના નામ પોતાના સંબોધનમાં ઇમરાન ખાને કહ્યું હતું કે, દેશના લોકોએ તેને સેવા કરવાની તક આપી છે તે તેના માટે ગર્વની બાબત છે. આના માટે તે અલ્લાહના શુક્રગુજાર હોવાની પણ વાત કરી હતી. ઇમરાને ઉમેર્યું હતું કે, પાકિસ્તાન એવું દેશ બને જેવું સપનું ઝીણા સાહેબે બનાવવા માટે જોયું હતું. ઇમરાને ઉમેર્યું હતું કે, તેઓ સાદગી સાથે સરકાર ચલાવવા માટે ઇચ્છુક છે. સત્તામાં આવ્યા બાદ તેઓ પોતાના તોર તરીકાઓને બદલવા ઇચ્છુક નથી. જો ભારતનું નેતૃત્વ તેમની સાથે સંબંધ સુધારવા માટે ઇચ્છુક છે તો અમે પણ તૈયાર છીએ. ભારતીય મિડિયા ઉપર આક્ષેપ કરતા ઇમરાને કહ્યું હતું કે, તેમને બોલીવુડના વિલન તરીકે રજૂ કરવાના પ્રયાસ ભારતીય મિડિયા દ્વારા કરવામાં આવ્યા છે. અફગાનિસ્તાનની વાત કરતા ઇમરાને કહ્યું હતું કે, તેમની સાથે સંતુલિત સંબંધો ઇચ્છીએ છીએ. ઇરાન અમારા હમસાયા તરીકે છે. સાઉદી અરબ પણ અમારી ખુબ નજીક છે. ભ્રષ્ટાચાર સામેની લડાઈના મામલામાં ઇમરાન ખાને ચીનનો દાખલો આપતા તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન આવાસમાં નહીં રહેવાની પણ ઇમરાને જાહેરાત કરી હતી. વડાપ્રધાન આવાસનો ઉપયોગ જનતાની ભલાઈ માટે કરવામાં આવશે. ભ્રષ્ટાચારનો અંત લાવીને પાકિસ્તાનમાં મોટાપાયે મૂડીરોકાણ લાવવાના પ્રયાસ કરવામાં આવશે. પાકિસ્તાનને અમે એ પ્રકારથી ચલાવવા માંગીએ છે જે પ્રકારથી અગાઉ ક્યારે પણ ચલાવવામાં આવી નથી. લઘુમતિઓના હક માટે કામ કરવાની પણ ઇમરાને ખાતરી આપી હતી. ઇમરાને જુદી જુદી પ્રતિક્રિયા અને વિષય ઉપર વાત કરી હતી.

ઇમરાને એમ પણ કહ્યું હતું કે, જે પણ વ્યક્તિ પાકિસ્તાનના કાયદાની સામે જશે તેની સામે પગલા લેવામાં આવશે. પોતાના લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા ચીનના માર્ગે ચાલવાની ખાતરી આપી હતી. પાકિસ્તાનમાં નિચલા સ્તરના લોકોને તેમની લાઇફની ગુણવત્તા સુધારવા પ્રયાસ કરવામાં આવશે. પાકિસ્તાનને એવા દેશ તરીકે રજૂ કરવામાં આવશે જ્યાં નબળા વર્ગના લોકોને તક આપવામાં આવશે. ઇમરાને સંબોધનમાં કહ્યું હતું કે, ચૂંટણી દરમિયાન તેમની પાર્ટી અને તેમને પોતાને ઘણી બધી ધમકીઓ મળી રહી હતી. પૂર્વ ક્રિકેટર વસીમ અકરમે પણ ઇમરાન ખાનને મળીને શુભેચ્છા પાઠવી હતી. ઇમરાન ખાને એન-એ ૧૩૧ લાહોર-નવ સીટ ઉપર જીત મેળવી હતી. બીજી બાજુ પીએમએલ-એનના અધ્યક્ષ શાહબાઝ શરીફ આજે અડિયાલા જેલમાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મળ્યા હતા.

(7:29 pm IST)