Gujarati News

Gujarati News

News of Thursday, 26th July 2018

ટ્રકની હડતાળને કારણે ગુજરાતના ઉદ્યોગોને રોજનું ૧૫,૦૦૦ કરોડનું નુકસાન

હડતાળને સમેટવા સરકાર કોઇ નિર્ણય નહીં લે તો ગુજરાતના ઉદ્યોગોની હાલત વધુ કફોડી બની જશેઃ અમદાવાદ, જેતપુર, સુરતના ૧,૩૦૦ પ્રોસેસ હાઉસને તાળા લાગશે અનાજ, પ્રોસેસ હાઉસોને રોજનું ૨,૩૦૦ કરોડનું નુકસાન

અમદાવાદ / સુરત / રાજકોટ તા. ૨૬ : ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાથી લઈને ટોલ ટેકસ નાબૂદ કરવા સુધીની વિવિધ માંગોને લઈને દેશભરના ટ્રાન્સ્પોર્ટર્સ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરી ગયા છે. આજે આ હડતાળનું એક અઠવાડિયું થઈ ગયું છે. જેને કારણે ગુજરાતના ઉદ્યોગોને કમરતોડ માર પડ્યો છે. છેલ્લા ૬ દિવસથી સપ્લાય સંપૂર્ણપણે અટકી ગઈ છે. જો આગામી દિવસોમાં પણ આ હડતાળને સમેટવા સરકાર કોઈ નિર્ણય નહીં લે તો ગુજરાતના ઉદ્યોગોની હાલત વધુ કફોડી બની જશે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI)ના અંદાજ મુજબ દેશ ભરના ટ્રાન્સપોર્ટર્સની હડતાળને પગલે ગુજરાતના ઉદ્યોગોને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું નુકાસન થયું છે. બુધવારે ટ્રેડ બોડીએ રાજય અને કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દો રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટ્રાન્સપોર્ટર્સની હડતાળને કારણે અમદાવાદ સહિતના શહેરોમાં શાકભાજીના ભાવમાં પણ કમરતોડ વધારો જોવા મળ્યો છે, અને આગામી દિવસોમાં ભાવ હજુ વધી શકે તેવી શકયતા છે.

GCCIના પ્રેસિડન્ટ જૈમિન વસાએ કહ્યું કે, 'હડતાળને કારણે ઘરેલુ કે એકસપોર્ટ માર્કેટમાં વચન મુજબ માલ-સામાનની ડિલિવરી નથી કરી શકતા. ફયુઅલ અને રો મટિરિયલ્સની પ્રાપ્તિ સાથે તૈયાર ચીજવસ્તુઓની નિકાસ માર્ગ પરિવહન પર જ આધારિત છે જો કે હડતાળના કારણે કોઈ વસ્તુ મંગાવી પણ નથી શકતા અને તૈયાર પડેલો માલ મોકલી પણ નથી શકતા.' GCCIના જણાવ્યા મુજબ ૮૦ ટકા જેટલા નાના અને મોટા ટ્રક એટલે કે અંદાજીત ૯ લાખ જેટલા વાહનો બંધ પડ્યાં છે.

સિરામિક, ટેકસટાઈલ અને ફાર્મસ્યૂટિકલ સેકટરમાં ગુજરાત સૌથી મોટું નિકાસ કરતું રાજય છે, હડતાળને કારણે સમયસર બંદર સુધી માલસામાન નથી પહોંચાડી શકાતો જેને કારણે લેટર ઓફ ક્રેડિટ (LCs) પણ એકસપાયર થઈ રહ્યા છે. જેને કારણે ગુજરાતને ભારે નુકસાન થઈ રહ્યું છે. ફયુઅલ અને રો મટિરિયલ ઉપલબ્ધ ન હોવાં એ સૌથી મોટી મુસિબત છે. જેને કારણે તૈયાર પ્રોડકટ પણ ગોડાઉનમાં જ પડી રહી છે. તેવામાં પ્રોડકશન ઘટાડવા કે બંધ કરી દેવા માટે ઉદ્યોગો મજબુર થયા છે.

મોરબી સિરામિક એસોસિએશન (MCA) મુજબ રાજયના કુલ ૮૦૦થી વધુ સિરામિક યૂનિટ્સમાંથી મોરબીમાં કુલ ૩૯૦ યૂનિટ આવેલાં છે જે મુખ્ય રૂપે કોલસા પર નિર્ભર છે. જોકે મોટાભાગના યૂનિટમાં કોલસાની અછત સર્જાઈ છે. મોરબીમાં પ્રોડકશ થતા સિરામિકમાંથી ૨૦ ટકાની નિકાસ કરવામાં આવે છે. જો કે હડતાળના કારણે એકસપોર્ટ કમિટમેન્ટ્સ પણ ચિંતાનો વિષય બન્યો છે. સ્ટોક મોકલી ન શકાતો હોવાથી ગોડાઉનમાં જ પડી રહ્યો છે. સિરામિક ઉદ્યોગોમાં દરરોજનું ૩૫ કરોડનું ટર્નઓવર થાય છે. MCAના પ્રેસિડન્ટ નિલેશ જેતપરિયાએ કહ્યું કે 'જો ટૂંક સમયમાં હડતાળ નહીં સમેટાય તો ૮૦ ટકા ફેકટરીએ પ્રોડકશન બંધ કરી દેવું પડશે.' કેમિકલ યૂનિટ અને ટેકસટાઈલ યુનિટની પણ આ જ હાલત છે.(૨૧.૩)

(11:09 am IST)