Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામાંકન વેળા બધા દિગ્ગજ લોકો ઉપસ્થિત હશે

ભાજપ પ્રમુખ અમિત શાહ પણ પહોંચશે : રોડ શો માટે વ્યવસ્થાની જવાબદારી પીયુષ ગોયેલે લીધી

વારાણસી, તા. ૨૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રોડ શો યોજીને પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું હતું. હવે આવતીકાલે વારાણસી સીટ માટે ઉમેદવારીપત્ર દાખલ કરશે. ઉમેદવારીપત્ર દાખલ કરવામાં આવશે ત્યારે જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયેલ, જેપી નડ્ડા, કેન્દ્રીયમંત્રી સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારામન, અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. આ ગાળા દરમિયાન પણ કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ૨૦૧૪માં પણ આવું જ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૦૧૪ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી નરેન્દ્ર મોદીએ જોરદાર જીત મેળવી હતી તેમને ૫૮૧૦૨૨ મત મળ્યા હતા એટલે ૫૬ ટકા મત મળ્યા હતા જ્યારે અરવિંદ કેજરીવાલને એ વખતે ૨૦૯૨૩૮ મત મળ્યા હતા. અજય રાયને ૭૫૬૧૪ મત મળ્યા હતા. અજય રાય કોંગ્રેસ તરફથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. આ બેઠક ઉપર સમાજવાદી પાર્ટી તરફથી કૈલાશ ચોરસિયા અને બસપ તરફથી વિજય પ્રકાશ જયસ્વાલ ચૂંટણી મેદાનમાં હતા. આ વખતે ચૂંટણી વધુ રોચક બનવાના સંકેત દેખાઈ રહ્યા છે.

(7:43 pm IST)