Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

નેતાલોગ બેલગામ

મોદી માટે મત માંગનારને સણસણતો લાફો ઝીંકી દો : શિવાલિંગે ગૌડા

બેંગલુરૂ તા. ૨૫ : કર્ણાટકમાં જેડીએસના એક ધારાસભ્યએ ચૂંટણી અગાઉ વિવાદાસ્પદ કોમેન્ટ કરી છે. કર્ણાટકમાં જનતા પાર્ટી સેકયુલરના ધારાસભ્ય કે એમ. શિવાલિંગે ગૌડાએ મતદારોને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મત માગનારા લોકોને લાફો મારી દેવો જોઇએ.

ભાજપે આ નિવેદનની ટીકા કરીને સામો દાવો કર્યો છે કે ધારાભ્યએ પોતાના સમર્થકોને વડાપ્રધાન પર પથ્થર ફેંકવા માટે પણ કહ્યું હતું. શિવાલિંગે ગૌડાએ અરાસિકેરેમાં પોતાના વિવાદિત સંબોધનમાં એમ કહ્યું હોવાનું મનાય છે કે મોદી સ્વિસ બેંકમાં રાખવામાં આવેલા કાળાનાણાને પરત લાવવામાં નિષ્ફળ રહ્યા છે અને તેમણે દેશના દરેક વ્યકિતને ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન પણ પૂરું કર્યું નથી.

ચૂંટણી રેલીને સંબોધન કરતા તેમણે કહ્યું કે તમે (નરેન્દ્ર મોદીએ) કાળુ નાણું પરત લાવીને દરેકને ૧૦થી ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કોઈ મોદીના ગુણગાન ગાઇને તમારી પાસે મત માગવા આવે તો તેને સણસણતો લાફો મારી દેવો.

ભાજપના પ્રવકતા અને ધારાસભ્ય સુરેશ કુમારે આ નિવેદનની ટીકા કરી છે. તેમણે પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે ગૌડા આ મામલે હિંસા ભડકાવી રહ્યા છે. અરાસિકેરેના ધારાસભ્યએ તેમના સમર્થકોને નરેન્દ્ર મોદી પર પથ્થર ફેંકવા કહ્યું હતું. આ અગાઉ પણ ઘણા નેતાઓએ વાંધાજનક નિવેદન આપ્યા હતા. આ બાબત વડાપ્રધાન પ્રત્યેની તેમની ઘૃણા દર્શાવે છે.

(3:44 pm IST)