Gujarati News

Gujarati News

News of Tuesday, 24th August 2021

માંધાતાસિંહજી સામે બેન અંબાલિકા દેવી પુષ્પેન્દ્રસિંહનો પ્રાથમિક વિજય

રાજવી પરિવાર કેસ : માધાપર - સરધારની અબજોની જમીનમાં તકરારી નોંધ દાખલ કરનાર અંબાલીકાદેવીની અરજી માન્ય રાખતા ચરણસિંહ

કલેકટર સમક્ષ અપીલમાં જુ હોય તો ૬૦ દિવસનો સમય અપાયો : માંધાતાસિંહજીએ નામ કમી કરવા અરજી દાખલ કરી હતી : મામલતદારમાંથી કેસ પ્રાંત પાસે આવ્યો : ૩-૬-૨૦૨૧એ પહેલી સુનાવણી અને ૨૩-૮-૨૦૨૧ના રોજ ચુકાદો : માધાપર સર્વે નં.૧૧૧/૩ પૈકી ૧ની હે.૨૩૨૮૪૦૫ ચો.મી. જમીન તો સરધાર સર્વે નં.૧ની હેકટર ૦૪૦૪૭ ચો.મી. જમીનનો જબરો મામલો : મિલકત અંગે માંધાતાસિંહે માલિકી હક નક્કી કર્યો ગણાય : માલિકી હક નક્કી કરવાનું કામ મહેસુલ કોર્ટનું નથી : ખરેખર સિવિલ કોર્ટે રાહે દાદ મેળવી યોગ્ય જણાય

રાજકોટ, તા. ૨૪ : રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા પરિવારમાં હાલ મિલકત મામલે અનેક વિવાદો ચાલી રહ્યા છે, દરમિયાન ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાને એક તકરારી નોંધના કેસમાં પીછેહઠ કરવાનો મામલો બહાર આવ્યો છે, સીટી પ્રાંત ૨, શ્રી ચરણસિંહ ગોહીલે મહત્વનો ચુકાદો ગઈકાલે બપોર બાદ જાહેર કરી. માંધાતાસિંહના બેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહની અરજી માન્ય રાખી તેમની તરફેણમાં ચુકાદો જાહેર કરતાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે વિસ્તૃત વિગતો મુજબ માધાપર સર્વે નં.૧૧૧/૩ પૈકી - ૧ જમીન હેકટર ૨૩૨૮૪૦૫ ચો.મી. એટલે કે ૫૭૫ એકર જમીન અને સરધાર સર્વે નં.૧ જમીન હેકટર ૦૪૦૪૭ - અઢી વિઘા જમીન અંગે જે તે સમયે રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહજીએ આ જમીનના વારસદારોમાંથી પોતાના બેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ (રે.ઝાંસી)નું નામ કમી કરવા મામલતદાર સમક્ષ અરજી દાખલ કરી હતી, આ સામે બેન શ્રી અંબાલિકાદેવીએ વાંધો લઈ નામ કમી કરવા સામે તકરારી નોંધ દાખલ કરવા અરજી કરી હતી અને તે અરજી ગ્રાહ્ય રાખી હતી.

આ પછી ઉપરોકત ચર્ચાસ્પદ કેસ સીટી પ્રાંત ૨ શ્રી ચરણસિંહ ગોહીલની કોર્ટમાં આવ્યો હતો, જેની પ્રથમ સુનાવણી ૩-૬-૨૦૨૧ના રોજ થઈ હતી અને ચુકાદો ગઈકાલે ૨૩-૮-૨૦૨૧ના રોજ જાહેર થયો છે, જેમાં સીટી પ્રાંત - ૨ અને ડે.કલેકટર શ્રી ચરણસિંહ ગોહીલે અબજોની આ જમીનમાં અંબાલિકાદેવીની તકરારી નોંધની અરજી માન્ય રાખી તેમની તરફેણમાં ચુકાદો આપતા સન્નાટો પ્રસરી ગયો છે, અંબાલિકાદેવીનો આ પ્રાથમિક વિજય છે. માંધાતાસિંહજીની અંબાલિકાદેવીનું નામ કમી કરવાની અરજી હાલ ફગાવી દેવાઈ છે, આ ચુકાદામાં ચરણસિંહે કલેકટર સમક્ષ અપીલમાં જવુ હોય તો ૬૦ દિવસનો સમય પણ આપ્યો છે.

આ કેસમાં અંબાલિકાદેવી મનોહરસિંહજી જાડેજા વાઈફ ઓફ પુષ્પેન્દ્રસિંહજી જાડેજા અને સામેવાળામાં માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજા, શાંતિદેવી મનોહરસિંહજી જાડેજા, માનકુમારીદેવી મનોહરસિંહજી જાડેજા, ઉમાકુમારી દેવી મનોહરસિંહજી જાડેજાનો સમાવેશ થાય છે.

બે મહિના ચાલેલ આ સુનાવણીમાં બંને પક્ષ તરફથી તેમના એડવોકેટ મારફત ધારદાર દલીલો થઈ હતી, અંબાલિકાદેવી તરફથી એડવોકેટ શ્રી કેતન સિંધવા રોકાયા છે.

સીટી પ્રાંત ૨ શ્રી ચરણસિંહે ચુકાદામાં  ટાંકેલ મુદ્દામાં શ્રી મનોહરસિંહજી જાડેજા ડીડ બાબતે ઉમેર્યુ છે કે મિલકતમાંથી જેમનું નામ હક્ક કમી કરવા અરજી થઈ છે તે જ વ્યકિત નિયત સમયમાં વાંધા અરજી કરે તો સિવિલ હક સંઘર્ષમાં આવે છે.

શ્રી ચરણસિંહ ગોહીલે આપેલા હુકમ મુજબ હક કમી નોંધ નંબર ૧૦૧૪૫ ના ૨૮-૩-૨૦૨૧ના નામંજૂર કરવા હુકમ કરવામાં આવે છે. જમીન પરત્વે અન્ય કોઈ કોર્ટમાં લીટીગેશન ચાલતા હશે તો પક્ષકારોને બંધનકર્તા રહેશે, હુકમથી નારાજ પક્ષકાર હુકમ નાખ્યાના ૬૦ દિવસમાં કલેકટરને અપીલ કરી શકશે.

મીલકત અંગે માંધાતાસિંહ માલિકી હક્ક નક્કી કર્યો ગણાય. માલિકી હક્ક નક્કી કરવાનું કામ મહેસુલ કોર્ટનું નથી ખરેખર સિવિલ કોર્ટ રાહે દાદ મેળવી યોગ્ય ગણાય.

વારસાઈ ઓફ નિયમની અમલવારી વિગેરે બાબતે નિર્ણયો કરવાના થાય ત્યારે સિવિલ કોર્ટ યર્થાથતા નક્કી કરશે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટના રાજપરિવારમાં વારસાઈ મિલકતને લઈને રેવન્યૂ કોર્ટમાં તકરારી દાખલ થઈ છે જે ફકત માધાપર અને સરધારની જમીન પૂરતી રહી હતી પણ હવે રાજપરિવાર પાસે જે તમામ સંપત્તિનો વિવાદ ઊભો થયો છે.અંબાલિકા દેવી કે જેમણે માધાપરની ૫૭૫ એકર જમીન અને સરધારની ૨ હેકટર જેટલી જમીનમાં વારસાઈ નોંધ સામે તકરારી કરી છે તેમણે છેતરપિંડીના આક્ષેપ સાથે દીવાની કોર્ટમાં માંધાતાસિંહ તેના માતા અને અન્ય બે બહેનો સહિત ચાર સામે દાવો માંડ્યો છે.જેમાં માંધાતાસિંહના વકીલ કોર્ટમાં હાજર રહેતા જવાબ માટે ૪૦ દિવસ મુદત પડી છે.જ્યારે ડે. કલેકટરને લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યા છે.

અંબાલિકા દેવીએ દાવામાં જણાવ્યું છે કે, તેઓ જૂન ૨૦૧૯માં માતાને મળવા માટે રાજકોટ  આવ્યા હતા. આ સમયે માંધાતાસિંહે કહ્યું હતું કે, પેલેસ રોડ પર જે આશાપુરા મંદિર છે તે જગ્યા વડીલોપાર્જિત છે અને તેઓ સારસંભાળ કરે છે. મંદિર સિટી સરવે નં. ૧૧૦૯, વોર્ડ નં. ૫માં છે અને ૧૩૯૬ ચોરસ મીટર જગ્યા છે. મંદિરની સારસંભાળમાં ભવિષ્યમાં સહમાલિક તરીકે સહીની જરૂર ન પડે અને કાયદાકીય અડચણ ઊભી ન થાય તેવું સમજાવીને મંદિરની જગ્યા માટે રિલીઝ ડીડ કરાવા કહ્યું હતું આ માટે ૧.૫ કરોડ રૂપિયા આપ્યા હતા જેમાંથી ૧૦ લાખ આરટીજીસીએ જ્યારે ૧.૪૦ કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ પેલેસ રોડ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકનો આપ્યો હતો. વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો જાળવી રાખશે અને પાંચમા ભાગે આવતી મિલકતો નામે કરાવી આપશે તેવું વચન આપીને રિલીઝ ડીડ અને બે પાવર ઓફ એટર્ની કરાવી હતી. થોડા સમય બાદ જ્યારે ૧૩૫ ડીની નોટિસ શરૂ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે મંદિરની રિલીઝ ડીડના બહાને બધી મિલકતો ગેર રજૂઆતથી લખાવી લીધી છે અને તેથી આ ડીડ 'નલ એન્ડ વોઈડ' છે. તેઓએ એ પણ જણાવ્યું હતું કે, અંધારામાં રાખીને એક ભાઈ-બહેનના સંબંધ ઉપર વિશ્વાસઘાત કરી બહેન પાસેથી ખોટી રીતે સંમતિ મેળવી લીધી છે જે બંધનકર્તા નથી આ દાવામાં માંધાતાસિંહના વકીલ કોર્ટમાં હાજર રહેતા જવાબ માટે ૩૧મી  ઓગષ્ટ સુધીની મુદત પડી છે.જ્યારે ડે. કલેકટરને લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યા છે.

(2:57 pm IST)