Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

આ સાત લક્ષણો હોય તો કોરોના ટેસ્ટ જરૂર કરાવજો

સુરતમાં કોરોનાએ બદલ્યું રૂપ

નવી દિલ્હી, તા.૨૪: ગુજરાતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેમાં સુરતમાં કોરોનાના નવા લક્ષણોએ ચર્ચા જગાવી છે. ગત વર્ષે કોરોના થવાના જે લક્ષણો હતો, તેનાથી એકદમ વિપરિત કોરોનાના નવા લક્ષણો હાલ સુરતમાં જોવા મળી રહ્યાં છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ અંગે એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં કોરોનાનો નવો સ્ટ્રેઈન જોવા મળ્યો છે, જેના લક્ષણો પણ સાવ અલગ છે.

સામાન્ય કોરોનામાં તાવ સહિતના લક્ષણો જણાતા હતા, પરંતુ નવા સ્ટ્રેનમાં આ લક્ષણો દેખાતા નથી.ખાસ કરીને હાથની આંગળીઓ અને પગનાં ટેરવાં ફિક્કાં પડી જવાં, ખંજવાળ આવવી સહિતનાં લક્ષણો નવા જોવા મળી રહ્યાં છે. નવા લક્ષણો દેખાતા સુરત મહાનગરપાલિકાએ સુરતીઓને સાવધાન કર્યાં છે. જેમાં પાલિકાએ તંત્રને અપીલ કરી છે કે, આ લક્ષણો દેખાય તો ખાસ ટેસ્ટ કરાવજો. આ વિશે સુરત મહાનગરપાલિકાએ પોતાના ટ્વિટર પેજ પર પણ કહ્યું છે કે, નવા સ્ટ્રેઈનનાં ૭ લક્ષણો જાણો અને આમાંના કોઈ પણ લક્ષણો જણાતા નજીકનાં હેલ્થ સેન્ટરમાં જઈ કોવિડ ટેસ્ટિંગ કરાવો. સુરત મહાગરપાલિકાનું મિશન છે.

શરીરમાં કળતર, દુઃખાવો, આંખ આવવી, લાલ થવી, ગળામાં દુઃખાવો થવો, હાથ-પગની આંગળીઓ ફિક્કી પડવી, ડાયરિયા થવો, પેટમાં દુખવું, માથામાં દુખાવો થવો, ચામડી પર ખંજવાળ આવવી. આ લક્ષણો દેખાવા પર પાલિકાએ તાત્કાલિક ટેસ્ટ કરવવાની સૂચના આપી છે.

બીજી તરફ, સુરતમાં કોરોનાની સ્થિતિ અમદાવાદ કરતા વધુ વિકટ બની રહી છે. આ અંગે સુરત મહાનગરપાલિકા દ્વારા સતત સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ, સુરતમાં સંક્રમણ વધતાં સરકારે એચ આર કેલૈયા અને યોગેન્દ્ર દેસાઈની સુરતમાં નિમણૂંક કરાઈ છે. બંને અધિકારીઓ નાયબ મ્યુ. કમિશનરની ફરજ બજાવશે. બંને અધિકારીઓ વેકસીનેશનની કામગીરી પર ફોકસ કરશે. ૩૦મી એપ્રિલ સુધી બંને અધિકારીઓની સુરતમાં નિમણૂંક કરવામાં આવી છે.

(4:09 pm IST)