Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

૧૭ ટકા શહેરી ભારતીયો કિડનીના રોગથી ગ્રસ્ત છે

૧૦૦ પૈકી ૧૭ લોકો કિડનીના રોગથી ગ્રસ્ત : ભારતમાં કિડનીના રોગ સંદર્ભે સૌથી મોટા અભ્યાસમાં દાવો : ડાયાબિટીસ તેમજ હાઇપરટેન્શનના કેસો વધ્યા

નવી દિલ્હી,તા.૨૩: તાજેતરમાં જ કરવામાં આવેલા એક ચિંતાજનક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે ૧૭ ટકા શહેરી ભારતીયો કિડનીના રોગથી ગ્રસ્ત છે. ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનના કેસો શહેરી ભારતમાં વધી રહ્યા છે. ૧૨ શહેરોને આવરી લઈને કરાયેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરવામાં આવ્યો છે. આમા જણાવવામાં આવ્યું છે કે દરેક ૧૦૦ લોકો પૈકી ૧૭ લોકો કિડનીના રોગથી ગ્રસ્ત થયેલા છે જે પૈકી છ ટકા લોકો તબક્કા ત્રણ કિડની રોગમાં પહોંચે છે જેમાં તબીબી સારવાર અતિ જરૂરી બની જાય છે. કેટલાક કેસોમાં ખૂબ જ ખર્ચાળ સારવાર જેમ કે ડાયાલિસીસ અથવા ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. અભ્યાસમાં ૧૩ હોસ્પિટલ પાસેથી આંકડા લેવામાં આવ્યા છે જેમાં ખાનગી અને સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે. દેશમાં કિડનીના રોગ અંગે સૌથી મોટા અભ્યાસના ભાગરૂપે આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે મોટાભાગના વ્યક્તિગતો ક્લોનીક કિડની ડિસીઝ (સીકેડી)ના જુદા જુદા તબક્કામાં સારવાર માટે પહોંચે છે. તે પહેલા કોઈપણ કિડની કામગીરીની સારવાર કરાવતા નથી. ભારતમાં યુવા લોકો પણ અટકાયતી ચેકઅપમાં વિશ્વાસ રાખતા નથી જે ખૂબ જ ખરાબ બાબત છે. વિલંબથી સારવારના પરિણામ સ્વરૂપે પણ જટિલ સ્થિતિ ઉભી થાય છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સીકેડીથી પિડાતા ૬૪.૫ ટકા દર્દીઓ હાઈપરટેન્શનથી પણ ગ્રસ્ત છે જ્યારે ૪.૭ ટકા લોક એનેનીયાથી ગ્રસ્ત છે. ૩૧.૬ ટકા લોકો ડાયાબિટીશથી ગ્રસ્ત છે. નવી દિલ્હીમાં રામમનોહર લોહીયા હોસ્પિટલમાં નેફ્રોલોજી વિભાગના વડા ડૉ. શામસુંદરનું કહેવું છે કે સીકેડીથી ગ્રસ્ત મોટાભાગના દર્દીઓ એવા સમયે હોસ્પિટલ પહોંચે છે જ્યારે તેમની કિડનીની કામગીરી તેની ક્ષમતાની અડધીમાં આવી જાય છે. જો આ રોગને તબક્કા એક અને તબક્કા બેમાં સારવાર માટે હાથ ધરવામાં આવે તો તેની ખતરનાક અસર ઘટી જાય છે અને દવાથી તેની અસર ઘટી જાય છે. કિડની ફેલિયરના પારિવારિક ઇતિહાસ ધરાવતા લોકોમાં આ અસર પહેલા દેખાય છે. વારણસી, કાનપુર, દિલ્હી, લુધિયાણા, ભોપાલ, નડિયાદ (ગુજરાત), મુંબઈ, મૈસુર, બેંગ્લોર, કોચીન અને વિશાખાપટ્ટનમને આવરી લઈને કરાયેલા અભ્યાસમાં આ મુજબનો દાવો કરાયો છે. સીકેડીના સૌથી વધુ કેસ વિશાખાપટ્ટનમમાં ૪૬.૮ ટકા નોંધાયા છે.

કિડની ફેલિયોર થયા બાદ

ડાયાલિસીસ અને ટ્રાન્સપ્લાન્ટ ખર્ચાળ

નવી દિલ્હી,તા. ૨૩: એક વખત કિડની ફેલિયરથી ગ્રસ્ત થયા બાદ દર્દી પાસે વધારે વિકલ્પ રહેતા નથી. માત્ર સારવારના વિકલ્પ લાંબાગાળે ડાયાલિસીસ અથવા ટ્રાન્સપ્લાન્ટ રહે છે. આ બંને સારવાર ખૂબ જ ખર્ચાળ સાબિત થઈ શકે છે. ભારતમાં માત્ર ૧૦૦૦ કિડની સ્પેશિયાલિસ્ટ અથવા નેફ્રોલોજીસ્ટ તબીબો છે. આનો મતલબ એ થયો કે અટકાયતી પગલા વહેલી તકે લેવાની જરૂર છે. આના લીધે ઘણી કટોકટી ઊભી થઈ શકે છે. કિડની સ્પેશિયાલિસ્ટોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવે તે જરૂરી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે સીકેડીના સીધા સંબંધ મેટાબોલીક જુદી જુદી ખામીઓ અને હાડકાની બિમારીઓ સાથે સંબંધિત છે. હાર્ડ એટેકનો ખતરો પણ રહેલો છે. આ ઉપરાંત સ્ટ્રોકનો ખતરો પણ રહેલો છે. આ તમામના લીધે મોતની દહેશત પણ રહેલી છે. તબીબોનું કહેવું છે કે ટ્રાન્સપ્લાન્ટ માટે કિડની માટેની વધતી જરૂરિયાતને પહોંચી વળવા ડોનેશનને પ્રોત્સાહન આપવામાં આવે તે જરૂરી છે.

હાલમાં ૪૦૦૦ ટ્રાન્સપ્લાન્ટ

ટ્રાન્સપ્લાન્ટટેશન માટે બે લાખ કિડની જરૂરી 

નવી દિલ્હી,તા. ૨૩: દર વર્ષે ભારતમાં ટ્રાન્સપ્લાન્ટટેશન માટે ૧૭૫૦૦૦ કિડનીની જરૂર પડે છે. હાલમાં ભારતમાં માત્ર ૪૦૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટ વાર્ષિક રીતે થાય છે. ૯૦ ટકાથી વધુ ડોનર્સ ફેમીલીના મેમ્બરો હોય છે. આરોગ્ય મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા અને જારી કરવામાં આવેલા આંકડામાં જણાવાયું છે કે સીકેડીમાં જોખમી પરિબળ ધરાવતા ડાયાબિટીસના કેસોની સંખ્યા સતત વધી રહી છે. ૨૦૧૧માં ૫૦.૮ મિલિયન હતી જે વધીને ૨૦૧૨માં ૬૧ મિલિયન થઈ છે.

(3:23 pm IST)