Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

યુનાઇટેડ કિસાન મોરચાએ વડાપ્રધાનને પત્ર લખીને કુલ ૬ માંગણીઓ દર્શાવી: અમને પણ રસ્તા પર બેસી રહેવામાં રસ નથી, સરકાર તાત્કાલિક અમારી સાથે વાત કરે અને મુદ્દાઓનો ઉકેલ લાવે, ત્યાં સુધી આંદોલન આમ જ ચાલુ રહેશે: ૧૧ રાઉન્ડની વાતચીત પછી દ્વિપક્ષીય ઉકેલની જગ્યાએ એક પક્ષીય ઘોષણાનો રસ્તો પસંદ કર્યો છે તે યોગ્ય નથી: પણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાતથી અમને આનંદ છે: આજે મહત્વની બેઠક પછી આંદોલનકારીઓનો વડાપ્રધાનને ખુલ્લો પત્ર

પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રણ નવા કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત બાદ હવે યુનાઇટેડ કિસાન મોરચાએ વધુ ત્રણ માંગણીઓ રજૂ કરી છે.  રવિવારે સિંઘુ બોર્ડર પર ખેડૂત નેતાઓની બેઠક બાદ પીએમ મોદીને લખેલા પત્રમાં આ માંગણીઓ કરવામાં આવી છે.  કિસાન મોરચાએ પત્રમાં લખ્યું છે કે, 'વડાપ્રધાનશ્રી, તમે જાણો છો કે ત્રણ કાળા કાયદાને રદ્દ કરવી એ આ આંદોલનની એકમાત્ર માંગ નથી. અમે શરૂઆતથી જ વધુ ત્રણ માંગણીઓ ઉઠાવી હતી.  આ માંગણીઓ વર્ણવતા કિસાન મોરચાએ કહ્યું કે અમારી માંગ છે કે લઘુત્તમ ટેકાના ભાવની ગેરંટી નક્કી કરવામાં આવે અને આ માટે કાયદો બનાવવો જોઈએ.  આ ઉપરાંત ખેડૂતોએ ઈલેક્ટ્રીસીટી એક્ટ એમેન્ડમેન્ટ બિલનો ડ્રાફ્ટ પાછો ખેંચવાની પણ માંગ કરી છે.

એટલું જ નહીં એનસીઆરમાં પ્રદૂષણને કાબુમાં લેવા માટે ખેડૂતોને પરાળ સળગાવવા માટે સજાની જોગવાઈ દૂર કરવાની પણ માંગ કરવામાં આવી છે.  ખેડૂતોની માંગ છે કે આ કાયદામાં સજાની જોગવાઈઓ દૂર કરવામાં આવે. આ ત્રણ માંગણીઓ સિવાય યુનાઇટેડ કિસાન મોરચાએ અન્ય ત્રણ માંગણીઓ પણ રજૂ કરી છે.  આ અંતર્ગત પહેલી માંગ એ છે કે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને યુપીમાં આંદોલન દરમિયાન ખેડૂતો પર નોંધાયેલા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે.  કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને બરતરફ કરીને ધરપકડ કરવી જોઈએ.  આ પછી ખેડૂતો દ્વારા છઠ્ઠી અને છેલ્લી માંગણી કરવામાં આવી છે કે આંદોલન દરમિયાન મૃત્યુ પામેલા ૭૦૦ ખેડૂતોને શહીદનો દરજ્જો આપીને સિંઘુ બોર્ડર પર સ્મારક બનાવવા માટે જમીન આપવામાં આવે.  એટલું જ નહીં તેમના પરિવાર માટે વળતર અને પુનર્વસનની પણ માગણી કરવામાં આવી છે.
 કિસાન મોરચા વતી પીએમ મોદીને સંબોધતા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'તમે ખેડૂતોને અપીલ કરી છે કે હવે અમે ઘરે પાછા જઈએ.  અમે તમને ખાતરી આપવા માંગીએ છીએ કે અમને પણ રસ્તા પર બેસવામાં કોઈ રસ નથી.  અમે પણ ઇચ્છીએ છીએ કે આ બાકી રહેલા મુદ્દાઓ ઉકેલ્યા પછી અમારે અમારા ઘરે પાછા ફરવું જોઈએ.  જો તમે પણ એવું જ ઈચ્છતા હો તો સરકારે તાત્કાલિક અમારી સાથે વાત કરવી જોઈએ અને આ મુદ્દાઓનો ઉકેલ લાવવો જોઈએ.  યુનાઈટેડ કિસાન મોરચાએ પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન આમ જ ચાલુ રહેશે.
 યુનાઇટેડ કિસાન મોરચાએ પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા નવા કાયદાને પાછો ખેંચવાની એકપક્ષીય જાહેરાત સામે પણ વાંધો ઉઠાવ્યો છે.  પત્રમાં કહેવામાં આવ્યું છે કે ૧૧ રાઉન્ડની વાતચીત બાદ તમે દ્વિપક્ષીય ઉકેલની જગ્યાએ એકપક્ષીય ઘોષણાનો રસ્તો પસંદ કર્યો છે.  પરંતુ અમને આનંદ છે કે તમે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત તો કરી છે.

(12:00 am IST)