Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મેલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત વિશ્વના ૧૧ દેશોમાં સિધ્ધી મેળવનાર ભારત એકમાત્ર દેશ

નવી દિલ્હી: ભારતમાં મેલેરિયાના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે. 2016-17 દરમિયાન તેમાં 24 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્લ્ડ મેલેરિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, મેલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત વિશ્વના 11 દેશોમાં આ સિદ્ધિ મેળવનારો ભારત એકમાત્ર દેશ છે.

મેલેરિયાને કારણે થતા મૃત્યુમાં પણ 2017માં મોટો ઘટાડો નોંધાયો છે. 2016માં તેના લીધે કુલ 331 લોકોના મોત થયા હતા. આ આંકડો 2017માં ઘટીને 194 નોંધાયો હતો. જોકે, દુનિયાના ચાર ટકા મેલેરિયાના કેસ આજે પણ ભારતમાં નોંધાય છે, જે આફ્રિકાના સબ-સહારન દેશોને બાદ કરતા વિશ્વમાં સૌથી વધુ છે.

મેલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત ટોપ 10 દેશોમાં આફ્રિકાના નાઈજિરિયા, મડાગાસ્કર, ડોમિનિક રિપબ્લિક ઓફ કોંગોનો સમાવેશ થાય છે. આ દેશોમાં મેલેરિયાના કેસની સંખ્યા વધી છે. 2017માં આ દરેક દેશમાં અંદાજે 5 લાખ જેટલા મેલેરિયાના કેસ નોંધાયા હતા, જ્યારે ભારતમાં આ આંકડો 30 લાખનો હતો, મતલબ કે 2016ની સરખામણીએ 2017માં ભારતમાં મેલેરિયાના કેસોમાં 24 ટકાનો ઘટાડો નોંધાયો છે.

ભારત 2027 સુધીમાં મેલેરિયા મુક્ત દેશ બનવાનું લક્ષ્યાંક ધરાવે છે, જ્યારે વૈશ્વિક સ્તરે આ ટાર્ગેટ 2030 સુધીનો છે. મેલેરિયા વિશે જાગૃત્તિ ફેલાવી, જે વિસ્તારોમાં તેનું પ્રમાણ વધુ છે તેના પર ખાસ વોચ રાખી અને તેનું નિદાન કરવાની કિટ્સના વધુમાં વધુ ઉપયોગ તેમજ તેની સામે વોર્નિંગ સિસ્ટમ વિકસાવી આ લક્ષ્યાંક સિદ્ધ કરવાનો ભારતનો ટાર્ગેટ છે.

ભારત સરકારના આંકડા અનુસાર, આ વર્ષે સપ્ટેમ્બર 2018 સુધીમાં મેલેરિયાના 2,76,488 કેસ નોંધાયા છે. મેલેરિયાને લીધે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 29 લોકોના મોત થયા છે. જ્યારે, વૈશ્વિક સ્તરે 2017માં મેલેરિયાના 2.19 કરોડ કેસ નોંધાયાનો અંદાજ હતો, જેમાં 4.35 લાખ લોકોના મોત આ જ વર્ષે મેલેરિયાના કારણે થયાનું અનુમાન છે.

ભારતમાં ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં મેલેરિયાના સૌથી વધુ કેસ નોંધાય છે. જોકે, આ રાજ્યોમાં પણ હવે તેનું પ્રમાણ ઘટી રહ્યું છે. મહત્વનું છે કે, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગની કોઈ રસી ઉપલબ્ધ નથી. તેનાથી બચવાનો સૌથી કારગત ઉપાય મચ્છરોની ઉત્પત્તિ અટકાવવાનો છે.

(5:02 pm IST)