Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

હિન્‍દુ મહાસભાના અધ્‍યક્ષ કમલેશ તિવારીના પરિજનો મુખ્‍યમંત્રીના નિવાસ સ્‍થાને મુખ્‍યમંત્રીને મળ્યા : આરોપીને મૃત્‍યુદંડની માંગણી કરી

લખનઉ: હિન્દુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારી (Kamlesh Tiwari)ના પરિજનો આજે લખનઉ સ્થિત મુખ્યમંત્રી નિવાસસ્થાને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યાં. આ મામલે પોલીસે અત્યાર સધી 6 લોકોને પકડ્યા છે અને પૂછપરછ ચાલુ છે. એવું કહેવાય છે કે સીએમ યોગી આદિત્યનાથે કમલેશ તિવારીના પરિજનોની તમામ માગણીઓ સ્વીકારી લીધી છે. લખનઉમાં સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત બાદ કમલેશ તિવારીના પત્ની કિરણ તિવારીએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અમને આશ્વાસન આપ્યું છે કે ન્યાય થશે. અમે હત્યારાઓ માટે મૃત્યુદંડની માગણી કરી છે. તેમણે આશ્વાસન આપ્યું છે કે તેમને સજા ચોક્કસ મળશે. 

કમલેશ તિવારીના પરિજનો સીએમ યોગી અને ભાજપ સરકારથી ખુબ નારાજ હતાં. તેમનો આરોપ હતો કે પ્રશાસનની બેદરકારીના કારણે કમલેશ તિવારીનો જીવ ગયો. કારણ કે જે દિવસે તેમની હત્યા થઈ તે દિવસે તેમની સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓ મોડા પહોંચ્યા હતાં. કમલેશ તિવારીના પરિજનો સીએમ યોગીને મળવા માટે મક્કમ હતાં જેના કારણે કમિશનર લખનઉ મુકેશ કુમાર મેશ્રામ અને આઈજી જોન એસ કે ભગતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરાવવા સહિત 9 માગણીઓના સહમતિપત્ર પર હસ્તાક્ષર કર્યા હતાં.

કમલેશ તિવારીના પુત્ર સત્યમનું કહેવું હતું કે તેમને યુપી પ્રશાસન પર ભરોસો નથી અને આ મામલાની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA પાસે કરાવવી જોઈએ. નોંધનીય છે કે હિન્દુ સમાજ પાર્ટીના નેતા અને હિન્દુ મહાસભાના પૂર્વ નેતા કમલેશ તિવારીની શુક્રવારે લખનઉમાં ગળુ કાપીને હત્યા કરાઈ. તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો. ભગવા વસ્ત્રો ધારણ કરીને આવેલા હત્યારાઓ મીઠાઈનો ડબ્બો આપવાના બહાને ખુર્શીદ બાગ સ્થિતના તેમના કાર્યાલયમાં ઘૂસ્યા અને હત્યાને અંજામ આપ્યો. 

(3:05 pm IST)