Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

તાલિબાનનો અસલી ચહેરો : ભારત સાથે આયાત - નિકાસ બંધ કરી

અફઘાનિસ્તાન ઉપર તાલિબાનનો કબ્જો થતા જ હવે તેણે પાડોશી દેશો સાથેના સંબંધોની નીતિ બદલાવી : ૨૦૨૧માં જ આપણા દેશની નિકાસ ૮૩૫ મિલિયન ડોલર તથા આયાત ૫૧૦ મિલિયન ડોલરની છે

કાબુલ તા. ૧૯ : અફઘાનિસ્તાન પર તાલિબાન શાસનની સ્થાપના પછી, ત્યાંની નીતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. ભારત હજુ પણ તાલિબાનને લગતી પોતાની વિદેશ નીતિને લઈને મૂંઝવણમાં છે, પરંતુ તાલિબાનનો દૃષ્ટિકોણ ખૂબ જ સ્પષ્ટ થઈ ગયો છે. તાલિબાને ભારત સાથેની તમામ આયાત અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઇઝેશન (FIEO) ના ડાયરેકટર જનરલ ડો. અજય સહાયે મીડિયાને જણાવ્યું કે તાલિબાનોએ કાર્ગોની અવર જવર બંધ કરી દીધી છે. આ વેપાર પાકિસ્તાનના પરિવહન માર્ગ દ્વારા કરવામાં આવતો હતો.

ટ્રાન્ઝિટ રૂટ મૂવમેન્ટ પર પ્રતિબંધને કારણે, અફઘાનિસ્તાનથી આયાત-નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અજય સહાયે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનથી આયાત પાકિસ્તાનના પરિવહન માર્ગ દ્વારા થતી હતી. અત્યારે તાલિબાનોએ પાકિસ્તાનમાં કાર્ગોની અવર જવર પર પ્રતિબંધ મૂકયો છે. અમે જોઈ રહ્યા છીએ કે તાલિબાન શાસકો કેવા નિર્ણયો લઈ રહ્યા છે.

અફઘાનિસ્તાન ભારતનો ખૂબ નજીકનો મિત્ર રહ્યો છે. બંને દેશો વચ્ચે ઘેરા વેપાર સંબંધો પણ છે. ભારતે ત્યાં હજારો કરોડનું રોકાણ પણ કર્યું છે, પરંતુ તાલિબાનના કબ્જા બાદ પરિસ્થિતિ નાજુક છે. તાજેતરમાં, જયારે નાણામંત્રી નિર્મલા સીતારમણને આ સંદર્ભે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે આ બાબતે કંઈ પણ કહેવું વહેલું છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વેપાર સંબંધોની વાત કરીએ તો, ૨૦૨૧માં અત્યાર સુધી ભારતે અફઘાનિસ્તાનને ૮૩૫ મિલિયન ડોલરની નિકાસ કરી છે. આ સમયગાળા દરમિયાન, ભારતે અફઘાનિસ્તાનથી ૫૧૦ મિલિયન ડોલરની આયાત પણ કરી છે. સહાયે કહ્યું કે વેપાર સિવાય ભારતે ૩ અબજ ડોલર એટલે કે લગભગ ૨૨ હજાર કરોડ રૂપિયાનું વિશાળ રોકાણ કર્યું છે. અફઘાનિસ્તાનમાં આવા લગભગ ૪૦૦ પ્રોજેકટ છે, જયાં ભારતનું રોકાણ કરવામાં આવ્યું છે.

નિકાસની વાત કરીએ તો, ભારત અફઘાનિસ્તાનમાં ખાંડ, દવાઓ, ચા, કોફી, મસાલા અને કપડાંની નિકાસ કરે છે. સૂકા મેવા મુખ્યત્વે અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે. આ સિવાય ગમ અને ડુંગળી પણ અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે.

સહાયે કહ્યું કે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે તાલિબાન શાસકો જલ્દીથી સમજી જશે કે વેપાર વિકાસનો માર્ગ છે. તેનાથી બંને દેશો વચ્ચે ફરી વેપારના દરવાજા ખુલશે. FIEO એ કહ્યું કે આગામી દિવસોમાં દેશમાં ડ્રાય ફ્રુટ્સના દરમાં વધારો થશે. ભારત ૮૫ ટકા ડ્રાયફ્રુટ્સ માત્ર અફઘાનિસ્તાનથી આયાત કરે છે.

(10:58 am IST)