News of Monday, 19th August 2019
નવી દિલ્હી, તા. ૧૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભુટાન પ્રવાસના બીજા દિવસે આજે રોયલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધન કરીને તેમનું માર્ગદર્શન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હાલના સમયે ભારતીય યુનિવર્સિટીઓમાં ચાર હજારથી વધારે ભુટાણી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હવે આ સંખ્યા વધવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, દુનિયા ભુટાનને તેના ગ્રોસ નેશનલ હેપ્પીનેસના કોન્સેપ્ટથી જાણે છે. ભુટાનને એકતા અને કરૂણાની ભાવના સાથે જોવામાં આવે છે. વિકાસ અને પર્યાવરણ ભુટાનમાં એક બીજાના રસ્તામાં અડચણરુપ નથી. રોયલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સંબોધન વેળા મોદીએ કહ્યું હતું કે, આજે રવિવાર હોવા છતાં વિદ્યાર્થીઓને લેક્ચર માટે પહોંચવાની ફરજ પડી છે પરંતુ તેમને પોતાને વિદ્યાર્થીઓની વચ્ચે આવીને ખુશી થઇ રહી છે. ભુટાન આવનાર કોઇપણ વ્યક્તિને અહીંની કુદરતી સુંદરતા અને સાદગીપૂર્ણ જીવન આકર્ષિત કરે છે. ભુટાન અને ભારતના લોકો માત્ર ભુગોળની દ્રષ્ટિએ નહીં બલ્કે ઇતિહાસ, સાંસ્કૃતિક પરંપરાની દ્રષ્ટિએ પણ એકબીજા સાથે જોડાયેલા છે. રાજકુમાર સિદ્ધાર્થ ગૌત્તમ બુદ્ધ આજ જમીન ઉપર થયા હતા જ્યાંથી બૌદ્ધ ધર્મનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો. આધ્યાત્મિક ગુરુઓએ ભુટાનને આગળ વધારવામાં ભૂમિકા ભજવી છે. ભારત અને ભુટાનના એક બીજા સાથે ખુબ નજીકના સંબંધો રહેલા છે. મોદીએ કહ્યું હતું કે, ભુટાનના સારા અને સૌથી ઉજ્જવળ યુવાનોની વચ્ચે તેઓ ઉભા છે. ભુટાનના વડાપ્રધાન કહી ચુક્યા છે કે, તેઓ સતત વાતચીત કરતા રહે છે. વિદ્યાર્થીઓમાંથી જ આવતીકાલે કોઇ કલાકાર, કોઇ વૈજ્ઞાનિક અને કોઇ નેતા બનનાર છે. ભુટાનના વડાપ્રધાન લોટે શેરિંગે એક્ઝામ વોરિયરને લઇને હાલમાં ચર્ચા કરી હતી.
તેમના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે જેનાથી કોઇપણ ટેન્શન વગર પરીક્ષાની તૈયારી કરી શકાય છે. દરેક વિદ્યાર્થી કોઇ સ્કુલ કોલેજોમાં પરીક્ષા આપે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષાના ગાળા દરમિયાન ટેન્શનમાં રહે છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ભારત અને ભુટાન વચ્ચે હાઇડ્રો પાવર અને એનર્જીના ક્ષેત્રમાં સહકાર ખુબ મહત્વપૂર્ણ છે પરંતુ આ સંબંધમાં અસલી તાકાત લોકો રહેલા છે. આ સંબંધમાં કેન્દ્રમાં હંમેશા સ્થાનિક લોકો રહેશે. અમે સ્કુલથી સ્પેશ, ડિજિટલ પેમેન્ટ ઉપર ધ્યાન આપી રહ્યા છે. ભારતના ચંદ્રયાન-૨ ચંદ્રના રસ્તા પર છે. ૨૦૨૨માં અમે ભારતીયને સ્પેશક્રાફ્ટથી મોકલવાની તૈયારીમાં છીએ જેથી સ્પેશ પ્રોગ્રામ માત્ર રાષ્ટ્રીય ગૌવરનો વિષય નથી પરંતુ રાષ્ટ્રીય વિકાસ અને વૈશ્વિક સહયોગ માટે પણ છે.
ભારત પાસે સસ્તી ડેટા કનેક્ટીવીટી છે..........
ઇન્ફ્રા પર ૧૫ અબજ ડોલર ખર્ચાશે
નવીદિલ્હી, તા. ૧૮ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભુટાન યાત્રાના બીજા દિવસે રોયલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધતા મોદીએ ભારતમાં વિકાસની વાત કરતા કહ્યું હતું કે, આજે ભારત અનેક ક્ષેત્રોમાં ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારત અતિઝડપથી ગરીબીને ઘટાડી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ છેલ્લા પાંચ વર્ષમાં ગાળામાં બેગણી ગતિથી વધી રહ્યું છે. યોજનાઓની વાત કરતા મોદીએ કહ્યું હતું કે, અમે ૧૫ અબજ ડોલરની રકમ નેક્સ્ટ જનરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા જઈ રહ્યા છે. દુનિયાના સૌથી મોટા હેલ્થકેર પ્રોગ્રામ આયુષ્યમાન ભારતમાં સફળતાપૂર્વક જારી છે. ઉપરાંત ભારતની પાસે સસ્તા પ્રમાણમાં ડેટા કનેક્ટીવીટી છે. દુનિયાના અનેક મોટા સ્ટાર્ટઅપ ભારતમાં છે જેના કારણે યુવાઓના સપના પૂર્ણ થઇ રહ્યા છે. જુદા જુદા વિષયો ઉપર વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, ભારત દુનિયાના મોટા અર્થતંત્રમાં સ્થાન મેળવવા માટે ઇચ્છુક છે. તેમણે ઉમેર્યું હતું કે, ૨૦૨૨માં અમે ભારતને ભારતીય સ્પેશક્રાફ્ટ મોકલીશું. હાઈડ્રો પાવર અને એનર્જી ક્ષેત્રમાં બંને દેશો સાથે મળીને આગળ વધી રહ્યા છે.