Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

પુલવામા બદલો : માસ્ટરમાઈન્ડ ગાજી અન્ય આતંકવાદી સાથે ઠાર

૪૦ જવાનો શહીદ થયાના પાંચમાં દિવસે ગાજી મોતને ઘાટ : ગાજી-અન્ય એક આતંકવાદીને મોતને ઘાટ ઉતારવામાં ભારતે મેજર સહિતના ચાર જવાન ગુમાવ્યા : હુમલાનો સીલસીલો જારી : આતંકવાદીઓને જવાબ

પુલવામા, તા. ૧૮ : દક્ષિણ કાશ્મીરના પુલવામા  જિલ્લામાં ફરી એકવાર આજે સવારે ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કર્યો હતો. ત્રાસવાદીઓના આ હુમલામાં એક મેજર અને ચાર જવાનો શહીદ થયા હતા પરંતુ આ કુરબાની વ્યર્થ ગઈ ન હતી. આ કાર્યવાહીમાં સેનાએ જૈશના ટોપ કમાન્ડર ગાજી ઉર્ફે કામરાનને ઠાર કરી દીધો હતો. તેની સાથે અન્ય કુખ્યાત આતંકવાદી હિલાલ પણ માર્યો ગયો હતો. અબ્દુલ રશીદ ગાજી ઉર્ફે કામરાન પુલવામા હુમલામાં મુખ્ય ભેજાબાજ તરીકે હતો. ગુરૂવારના દિવસે સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયા હતા. જૈશે મોહંમદના ટોપ કમાન્ડર કામરાને પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકા અને જૈશના લીડર મૌલાના મસૂદ અઝહરના ઈશારે આ આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો. ગાજીએ પુલવામા હુમલા માટે ખતરનાક કાવતરું ઘડી કાઢ્યું હતું. ગાજીને ફુંકી મારવામાં આવાર મસૂદ અઝહરને એક મોટો ફટકો આપી દેવામાં આવ્યો છે. તેની સાથે એક લોકલ ત્રાસવાદીને પણ ઠાર કરાયો છે. પુલવામામાં ૪૦ જવાનો શહીદ થયાના પાંચમાં દિવસે સુરક્ષા દળોએ માસ્ટર માઈન્ડ અબ્દુલ રશીદ ગાજીને ઠાર માર્યો હતો. પુલવામાના પીંગલીના વિસ્તારમાં ૧૧ કલાક સુધી આ અથડામણ ચાલી હતી. અથડામણ સ્થળે મોટા પ્રમાણમાં હથિયારનો જથ્થો જપ્ત કરાયો હતો. ૧૪મી ફેબ્રુઆરના દિવસે પુલવામા હુમલા બાદથી ગાજીની શોધખોળ ચાલી રહી હતી. પુલવામાના પિંગલિના ક્ષેત્રમાં ત્રાસવાદીઓ સામે ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ આ અથડામણ શરૂ થઇ હતી. અહીં અનેક ખતરનાક ત્રાસવાદીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. આજે વહેલી સવારે અથડામણ શરૂ થઇ હતી. ત્રાસવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ભીષણ હુમલાને અંજામ આપ્યા બાદ આજે ફરી એકવાર હુમલો કર્યો હતો. અથડામણમાં અન્ય એક જવાન ઘાયલ પણ છે. તમામ શહીદ થયેલા ચારેય જવાનો રાષ્ટ્રીય રાઇફલના હોવાના હેવાલ મળ્યા છે. ૫૫ રાષ્ટ્રીય રાઇફલના જવાનોએ કાર્યવાહી હાથ ધર્યા બાદ તેમના જવાનો ગોળીબારમાં ફસાયા હતા. ઓપરેશન હાથ ધરવામાં આવ્યા બાદ સુરક્ષા જવાનોએ તમામ વિસ્તારને ચારેબાજુથી ઘેરી લઇને ઓપરેશન હાથ ધર્યુ હતું. મિડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતું કે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાને બંધ કરી દેવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા.  તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ  દેશભરમાં લોકોમાં પહેલાથી  આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે  ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા. ઉરીમાં સપ્ટેમ્બર ૨૦૧૬માં આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળો પર આને સૌથી મોટા હુમલા તરીકે ગણવામાં આવે છે. શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર સ્થિત અવન્તીપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન જૈશે મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી લીધી હતી.  વિસ્ફોટક સાથે ભરેલી એક ગાડીને લઇને જૈશના ત્રાસવાદી આદિલે સીઆરપીએફ જવાનોના કાફલાની બસમાં અથડાવી હતી. હુમલા બાદ જવાનોએ પણ કાર્યવાહીના પ્રયાસ કર્યા હતા પરંતુ અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. કાફલાની જે બસને ત્રાસવાદીઓએ ટાર્ગેટ બનાવી હતી તેમાં ૪૪ જવાનો હતા.  જે કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો તે જમ્મુથી શ્રીનગર જઇ રહ્યો હતો તેમાં ૨૦૦૦ જવાનો હતા. જે કાફલા ઉપર હુમલો કરાયો તેમાં ૭૦ વાહનો હતા. આમાથી એક ગાડીને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. કાશ્મીરમાં આતંકવાદીઓ વર્ષોથી સક્રિય રહ્યા છે અને આતંકવાદીઓ સામે સર્ચ ઓપરેશન અને ઓપરેશન ઓલઆઉટ યુદ્ધના ધોરણે જારી છે ત્યારે આ આતંકવાદી ફરી એકવાર સક્રિય દેખાઇ રહ્યા છે. ત્રાસવાદીઓ સામે કાર્યવાહી જારી રહી છે.

શહીદ થયેલા જવાનો...

પુલવામા, તા. ૧૮ : પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ ગાજીને ઠાર કરતી વેળા દેશે ચાર જવાનો ગુમાવ્યા હતા. આ જવાનોની ઓળખ નીચે મુજબ થઈ હતી.

*    મેજર વિભૂતી શંકર

*    હવલદાર શ્રીરામ

*    સિપાહી અજયકુમાર

*    સિપાહી હરીસિંહ

 

(12:00 am IST)