Gujarati News

Gujarati News

News of Saturday, 18th May 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ ધામની નજીક ગુફામાં ધ્યાન સાધનામાં મગ્ન

રાત્રિ ગાળા વેળા ધ્યાન કર્યા બાદ આજે બદ્રીનાથમાં દર્શન કરશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પારમ્પિરિક પહાડી વેશભૂષામાં કેદારનાથ ધામ પહોંચ્યા : વિશેષ પૂજા અર્ચના કરાઈ : રુદ્રાભિષેક કરીને પરિક્રમા : ફેર નિર્માણ કામગીરી નિહાળી

દેહરાદૂન, તા. ૧૮ :આશરે દોઢ મહિના સુધી જોરદાર ચૂંટણી ભાગદોડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કેદારનાથ ધામ પહોંચ્યા હતા. કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કર્યા બાદ મોદી આશરે બે કિલોમીટર સુધી ચાલતા જઇને એક ગુફા સુધી પહોંચ્યા હતા. સુત્રોએ કહ્યું છે કે, મોદી ત્યારબાદ આજ ગુફામાં ધ્યાન સાધનામાં લાગી ગયા હતા. મોદીની ધ્યાન સાધનાની પ્રક્રિયા આવતીકાલે રવિવારે સવાર સુધી ચાલું રહેશે. ત્યારબાદ બદ્રીનાથના દર્શન માટે જશે. સુત્રોએ કહ્યું છે કે, ગુફા નજીક ઉપસ્થિત કેટલાક પત્રકારોની રજૂઆત બાદ ત્યાં કેટલાક ફોટાઓ પાડવાની મંજુરી આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ મોદીના ધ્યાન સમય સુધી હવે કોઇપણ પત્રકારોને ગુફા સુધી જવાની મંજુરી મળશે નહીં. રવિવાર સવાર સુધી મોદીની ધ્યાન પ્રક્રિયા ચાલનાર છે. અગાઉ આજે સવારે મોદી પારંપરિક પહાડી વેશભૂષામાં વિશ્વ પ્રસિદ્ધ કેદારનાથ ધામ પહોંચ્યા હતા. તેમના વસ્ત્રો પણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. ઉચ્ચ ગઢવાલ હિમાલય ક્ષેત્ર ૧૧૭૫૫ ફૂટની ઉંચાઈ ઉપર સ્થિત કેદારનાથમાં મોદી કેસરિયા વસ્ત્રમાં નજરે પડ્યા હતા. હેલિપેડથી કેદારનાથ મંદિર સુધીનો રસ્તો મોદીએ પહાડી અંદાજમાં છડી સાથે લઇને પાર કર્યો હતો. પ્રથમ વખત આ પ્રકારના વસ્ત્રોમાં મોદી આધ્યાત્મિક રંગમાં રંગાયેલા નજરે પડ્યા હતા. છેલ્લા બે વર્ષમાં ચોથી વખત ભોલેનાથ ધામ મોદી પહોંચ્યા હતા અને ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. રુદ્રાભિષેક કરીને મંદિરની પરિક્રમા પણ કરી હતી. બરફ સાથે ઢંકાયેલી પહાડી ચોટીઓને પણ નિહાળી હતી. મોદીએ કેદારનાથના દર્શન બાદ એક ખાસ વાહનનો ઉપયોગ કર્યો હતો અને કેદારનાથમાં પુનઃ નિર્માણની કામગીરીની સમીક્ષા કરી હતી. વર્ષ ૨૦૧૩માં આવેલા ભીષણ પુરમાં કેદારનાથમાં અભૂતપૂર્વ નુકસાન થયું હતું. ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઉત્પલ કુમારે પણ મોદીને પુનઃ નિર્માણની કામગીરી અંગે પુરતી માહિતી પુરી પાડી હતી. પ્રદેશના પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) અશોક કુમારે વિગત આપતા કહ્યું હતું કે, મોદીની યાત્રાને ધ્યાનમાં લઇને પહેલાથી જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટે કહ્યું હતું કે, આ પહેલા મોદી પોતાના બે દિવસના ઉત્તરાખંડ પ્રવાસ ઉપર અહીંના જુલીગ્રાન્ડ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ઉત્તરાખંડના રાજ્યપાલ બેબીરાની મોર્ય અને મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે તેમનું સ્વાગત કર્યંુ હતું. મોદી છેલ્લા બે વર્ષમાં કેદારનાથમાં ચાર વખત પહોંચી ચુક્યા છે. કેદારનાથ નજીક ગુફામાં રાત્રિ ગાળા દરમિયાન ધ્યાન સાધના કર્યા બાદ આવતીકાલે સવારે બદ્રીનાથ ધામ જશે જ્યાંથી દર્શન કર્યા બાદ રવિવારના દિવસે જ નવી દિલ્હી માટે રવાના થશે. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે મોદી કેદારનાથ અને બદ્રીનાથના દર્શન એક જ પ્રવાસમાં કરી શક્યા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષનું કહેવું છે કે, વડાપ્રધાનના પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય સંપૂર્ણપણે આધ્યાત્મિક છે. લોકસભાની ચૂંટણી માટે જોરદાર પ્રચારની પ્રક્રિયા છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહી હતી. ૧૦મી માર્ચના દિવસે લોકસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવ્યા બાદ મોદી જુદા જુદા રાજ્યમાં આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા. દરરોજ સરેરાશ ચારથી વધુ સભાઓ કરી રહ્યા હતા. છેલ્લા તબક્કા વેળા પાંચ સુુધીની સભાઓ પણ યોજી હતી. દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રચારાર્થે પહોંચ્યા હતા. શુક્રવારના દિવસે સાતમાં અને અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ રાજકીય પક્ષોના નેતાઓને રાહત થઇ હતી. હવે રાજકીય પક્ષોના નેતાઓ વાતચીતમાં અને ભાવિ રણનીતિમાં લાગેલા છે ત્યારે વડાપ્રધાન મોદી આજે સવારે કેદારનાથ ધામ પહોંચ્યા હતા જ્યાં શ્રદ્ધાળુઓની વચ્ચે રહ્યા હતા. ત્યારબાદ કેદારનાથ ધામમાં ખાસ વસ્ત્રોમાં પહોંચીને વિશેષ પુજા કરી હતી. પરિક્રમા પણ મંદિરની કરી હતી. આવતીકાલે બદ્રીનાથમાં પણતેમનો આવો જ કાર્યક્રમ રહેલો છે.

(7:15 pm IST)