Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

એમ્સ ખાતે દાખલ જેટલીની હાલત હજુ પણ ખુબ ગંભીર

એમ્સમાં જેટલીને મળવા નેતાઓ પહોંચ્યા : નિષ્ણાંત તબીબની ટીમની તેમની સારવાર પર બાજ નજર

નવી દિલ્હી,તા. ૧૭ : એમ્સમાં દાખલ કરવામાં આવેલા પૂર્વ કેન્દ્રિય પ્રધાન અરૂણ જેટલીની હાલત હજુ પણ ગંભીર બનેલી છે. અરૂણ જેટલી લાંબા સમયથી બિમાર ચાલી રહ્યા છે. જેટલીને નવમી ઓગષ્ટના દિવસે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની તબિયત સતત બગડી રહી છે. ૬૬ વર્ષીય જેટલીની હાલત ગંભીર બનેલી છે. આજે કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહ,પિયુષ ગોયલ, હર્ષવર્ધન, બસપના વડા માયાવતી, બિહારના મુખ્યમંત્રી નિતીષ કુમાર, કોંગ્રેસના નેતા સિન્ધિયા, અભિષેક મનુસિધી પણ પહોંચ્યા હતા. હવાઈ દળના વડા ધનોવા પણ પહોંચ્યા હતા. ૧૦મી ઓગસ્ટ બાદથી તેમણે લઈને કોઈ મેડિકલ બુલેટીન જારી થઈ રહ્યા નથી. જેટલી હાલમાં આઇસીયુમાં છે. જેટલીના ફેફસામાં પાણી ભરાયેલુ છે.

         શુક્રવારે મોડી રાત્રે કેન્દ્રિય પ્રધાન શાહ ઉપરાંત કેન્દ્રિય પ્રધાન હર્ષવર્ધન પણ જેટલીની તબિયત અંગે માહિતી મેળવી લેવા માટે પહોંચ્યા હતા. તેમને વેન્ટીલેટર પર હાલમાં રાખવામાં આવ્યા છે. તેમની સ્થિતી ખતરાની બહાર થઇ રહી નથી. સુત્રના કહેવા મુજબ તેમના ફેફસામાં પાણી જમા થવાના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. આ જ કારણસર તેમને વેન્ટીલેટર પર રાખવાની ફરજ પડી રહી છે. તેમના ફેફસામાંથી પાણી બહાર કાઢવાનુ કામ સતત ચાલી રહ્યુ છે. પરંતુ વારવાર પાણી જમા થઇ રહ્યુ છે. જેથી તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો નથી. તેમને સોફ્ટ ટિશ્યુ સરકોમા છે. જે એક પ્રકારના કેન્સર સમાન છે. આના કારણે જ તેમને તકલીફ આવી રહી હોવાનુ તબીબો માની રહ્યા છે. દર્દીના હાલમાં બ્લડ પ્રેશર અને પલ્સ યોગ્ય રીતે કામ કરી રહી છે.

       જો કે શુક્રવાર બાદથી તેમના આરોગ્યને લઇને કોઇ નિવેદન જારી કરવામાં આવી રહ્યા નથી. જેટલી પહેલા જ ડાયાબિટીસના દર્દી છે. સાથે સાથે  કિડની ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરાવી ચુક્યા છે. થોડાક દિવસ પહેલા ટિશ્યુ કેન્સર હોવાના હેવાલ આવ્યા હતા. જેટલીએ સ્થુળતાને ઘટાડી દેવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી.  દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચુકેલા જેટલીએ પોતાની રાજકીય કેરિયરની શરૂઆત કર્યા બાદ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પણ રહ્યા હતા. મોદી સરકારની પ્રથમ અવધિમાં નાણા પ્રધાન તરીકે રહ્યા હતા. આરોગ્યના લીધે મોદી-૨માં તેઓ પ્રધાન તરીકે સામેલ થયા ન હતા. બિમાર જેટલીને મળવા માટે માયાવતી અને સતીષ મિશ્રા પહોંચ્યા હતા. માયાવતીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, જેટલીની તબિયત અંગે માહિતી મેળવવા તેઓ એમ્સ પહોંચ્યા હતા. જેટલીની તબિયતમાં સુધારો થાય તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેમના પરિવારના લોકોને પણ માયાવતી મળ્યા હતા.

(9:06 pm IST)