Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

અયોધ્યામાં ટૂંકમાં જ મંદિર નિર્માણ થશે : ઉદ્ધવનો મત

ઉદ્ધવ ઠાકરે ૨૦ સાંસદો સાથે અયોધ્યામાં : મોદી સરકાર આ વખતે મંદિરનું નિર્માણ કરી દેશેઃ ઉદ્ધવ

અયોધ્યા, તા.૧૬ : શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાના પુત્ર આદિત્ય ઠાકરે અને અન્ય ૨૦ સાંસદોની સાથે આજે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. રામલલાના દર્શન બાદ ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે, કાયદો બનાવીને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કેન્દ્ર સરકાર કરે તે ખુબ જરૂરી છે. ઉદ્ધવ ઠાકરે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, વહેલી તકે રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. શિવસેના અધ્યક્ષે કહ્યું હતું કે, તેમને પૂર્ણ વિશ્વાસ છે કે, મોદી સરકાર આ વખતે રામ મંદિરનું નિર્માણ ચોક્કસ પણે કરાવશે. અયોધ્યામાં પત્રકારો સાથે વાતચીત કરતા ઉદ્ધવે કહ્યું હતું કે, હાલમાં મામલો કોર્ટમાં છે. કેન્દ્રમાં મજબુત સરકાર આવેલી છે. અમે તેમની સાથે છે. મોદી પાસે નિર્ણય લેવાનો સાહસ છે. જો સરકાર રામ મંદિર બનાવવા નિર્ણય કરે છે તો તેને કોઈ રોકી શકશે નહીં. શિવસેના વડાએ કહ્યું હતું કે, રામ મંદિર બનીને રહેશે. અમારા માટે રામ મંદિર ચૂંટણીનો મુદ્દો નથી. તેઓ અયોધ્યામાં આવતા રહેશે અને મંદિર પણ બનશે. અયોધ્યા એવી જગ્યાએ છે જ્યા વારંવાર આવવાની ઈચ્છા થાય છે. હવે ફરી એકવાર આવશે. છેલ્લા અયોધ્યા દર્શનમાં ઉદ્ધવે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી બાદ પોતાના સાંસદોની સાથે રામલાલના દર્શન કરવા માટે આવશે. આ વચનના ભાગરૂપે તેઓ અહીયા આવ્યા છે. હવે રામલલાના દર્શન કર્યા બાદ શિવસેના સાંસદ સંસદમાં આવતીકાલથી શરૂ થઈ રહેલી નવી ઇનિંગ્સની શરૂઆત કરશે. ઉદ્ધવ ઠાકરે કહ્યું હતું કે, બાલાસાહેબ પુછતા હતા કે તમામ હિંદુ લોકો સંગઠિત થઈ જાય અને હિંદુઓની એકતા કાયમ થઈ જાય આ જ કારણસર અમે મહારાષ્ટ્રની બહાર ચૂંટણી લડી રહ્યા નથી. આ પહેલા શિવસેનાના ૨૦ સાંસદોની સાથે ઉદ્ધવ ઠાકરે રામલલાના દર્શન કર્યા હતા. લોકસભામાં ચૂંટણીમાં શિવસેનાના ૧૮ સાંસદ ચૂટાઈને આવ્યા છે. રાજ્યસભામાં પાર્ટીના ૨ સાંસદ છે. ઉદ્ધવની અયોધ્યા યાત્રાને આ વર્ષે યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની સાથે જોડેને પણ જોવામાં આવે છે. શિવસેના પ્રમુખના સ્વાગત માટે શહેરમાં જુદી જુદી જગ્યાઓ પર બેનરો અને ભગવા ધ્વજ લગાવવામાં આવ્યા હતા. પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય રાવતે શનિવારના દિવસે કહ્યું હતું કે, અયોધ્યા વિવાદને ઉકેલવા માટે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સુપ્રીમ કોર્ટને અપીલ કરશે. શિવસેનાના તમામ સાંસદોને ઠાકરેએ શનિવાર સુધી અયોધ્યા પહોંચી જવા કહ્યું હતું. મોદી અને યોગી નેતૃત્વમાં મંદિરનું નિર્માણ થશે તેવી અમને આશા છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાનાર છે. શિવસેનાએ રામ મંદિર ઉપર પોતાના ધ્યાન વિશેષ રીતે કેન્દ્રીત કર્યું છે. શિવસેના ગઠબંધન પાર્ટી તરીકે ભાજપની સાથે છે.

(7:37 pm IST)