Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

માત્ર એક વોટથી સર્જિકલ અને એર સ્ટ્રાઇક જેવા પગલા લેવાયા

નિર્ણય લેવા માટે સાહસી સરકાર એકમતના લીધે શક્ય : વડાપ્રધાન નરેન્દ્ર મોદી : છત્તીસગઢમાં ઝંઝાવતી પ્રચારમાં છત્તીસગઢ સરકાર અને કોંગ્રેસ પાર્ટી ઉપર તીવ્ર પ્રહાર કર્યા : કોંગ્રેસ-મહામિલાવટી સાથીઓ ભાજપની લહેરથી પરેશાન

રાયપુર,તા. ૧૬ : ચૂંટણી લાભ ઉઠાવવા માટે સશસ્ત્ર દળોનો દુરુપયોગ કરવાના આક્ષેપો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝંઝાવતી પ્રચાર જારી રાખીને છત્તીસગઢમાં ચૂંટણી સભા કરી હતી. વડાપ્રધાને સાફ શબ્દોમાં કહ્યું હતું કે, પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક અને હવાઈ હુમલા મતદારોના એકમતની શક્તિથી શક્ય બન્યા છે. છત્તીસગઢમાં ચૂંટણી રેલીને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, સરહદી વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આતંકવાદનો ખાત્મો કરવા માટે પાકિસ્તાનની અંદર કરવામાં આવેલા સર્જિકલ હુમલા અને હાલમાં જ કરવામાં આવેલા હવાઈ હુમલા તેમજ અંતરિક્ષમાં સેટેલાઇટને તોડી પાડવા સહિતના વિવિધ પગલા લોકોના એકમતના કારણે શક્ય બન્યા છે. ગયા સપ્તાહમાં જ ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં ચૂંટણી અધિકારીઓ પાસેથી રિપોર્ટની માંગ કરી હતી. લાતુરમાં યોજાયેલી રેલીમાં મોદીએ પ્રથમ વખત આપી રહેલા મતદારોને અપીલ કરતા કહ્યું હતું કે, બાલાકોટ હવાઈ હુમલા કરનાર જવાનોના માનમાં મત આપવા પ્રથમ વખત મતદાન કરી રહેલા લોકોને અપીલ કરી હતી. ચૂંટણી પંચ દ્વારા કેટલીક સ્પષ્ટ સલાહ પણ આપી દેવામાં આવી છે. રાજકીય દ્વેષભાવ રાખીને હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ નરેન્દ્ર મોદી ઉપર કરવામાં આવી રહ્યો છે. આજે રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, વંચિત રહેલા લોકોને કોઇપણ લાભ આપવાના પ્રયાસ કરવામાં આવ્યા નથી. વિતેલા વર્ષોમાં પણ આ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા નથી. મોદીએ ગાંધી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, તમામ મોદી લોકોને ચોર હોવાની વાત રાહુલ ગાંધીએ કરીને સમગ્ર જાતિને ગાળો આપી છે. મોદીએ કોંગ્રેસની અંદર ફેલાયેલી હતાશાનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ અને મહામિલાવટી લોકો ઉપર આક્ષેપ કરતા કહ્યું હતું કે, દેશભરમાં ભાજપની લહેર જોવા મળી રહી છે જેથી કોંગ્રેસ અને સાથી પક્ષોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે જેથી આ પ્રકારના લોકો દરરોજ મર્યાદા ભંગ કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, તેમના કહેવા મુજબ જે લોકો મોદી નામ ધરાવે છે તે તમામ લોકો ચોર છે. આ પ્રકારની રાજનીતિ થઇ રહી છે. સમગ્ર સમુદાયને ચોર તરીકે રજૂ કરવાના પ્રયાસ થઇ રહ્યા છે. ચોકીદારનું અપમાન કરવા માટે તમામ સમુદાયનું અપમાન કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સોમવારના દિવસે ચૂંટણી રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અનેક મોદી એવા આવી રહ્યા છે જે દેશને લુંટી રહ્યા છે. રાહુલ ગાંધીએ નિરવ મોદી, લલિત મોદી અને નરેન્દ્ર મોદીના નામનો ઉલ્લેખ કર્યો હતો. કોંગ્રેસ અને મહામિલાવટના સાથીઓ રાત્રિ દરમિયાન પણ ઉંઘી શકતા નથી. કારણ કે તેમની હતાશા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત ડિલમાં કમિશનની પ્રક્રિયા આગળ ચાલતી હતી. બોફોર્સ કૌભાંડ, હેલિકોપ્ટર કૌભાંડ સહિતના મામલામાં ભૂતકાળમાં જોવા મળી ચુક્યા છે.

આજે છત્તીસગઢમાં રેલી દરમિયાન પણ નરેન્દ્ર મોદીએ આક્રમક પ્રહારો કર્યા હતા. ખાસ કરીને રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર વાત કરી હતી. બીજી બાજુ હાલમાં જ બનેલી કોંગ્રેસ સરકારની પણ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, દિલ્હીના કોંગ્રેસના નેતાઓના ઇશારે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓને છત્તીસગઢમાં બંધ કરી દેવામાં આવી છે. ખેડૂતોના આંકડા આપી રહ્યા નથી. ઉપરાંત આયુષ્યમાન ભારત યોજનાને પણ અમલી કરવામાં આવી નથી.

 

 

 

 

(7:34 pm IST)