Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

અરવિંદ કેજરીવાલના શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના શાસનમાં યોગદાન આપનાર અલગ-અલગ ક્ષેત્રોના 50 પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સતત ત્રીજીવાર દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહમાં દિલ્હીના શાસનમાં યોગદાન આપનાર અલગઅલગ ક્ષેત્રોના 50 પ્રતિનિધિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ પ્રતિનિધિઓમાં ડોક્ટર, ઓટો ડ્રાઇવર, સામાન્ય લોકો, બસ કન્ડક્ટર, સફાઈ કર્મચારી, આંગણવાડી કાર્યકર્તા અને અન્યનો સમાવેશ થાય છે. 

આ મામલે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ મીડિયાને માહિતી આપી છે કે આ લોકો જ દિલ્હીના નિર્માણના યશના ભાગીદાર છે અને એટલે જ તેઓ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન અરવિંદ કેજરીવાલ સાથે એક મંચ પર બેસશે. મનીષ સિસોદિયાએ નિવેદન આપ્યું છે કે પક્ષને મળેલી ભવ્ય જીત સામાન્ય લોકોની જીત છે અને એટલે જ એવા લોકોને બોલાવવામાં આવ્યા છે જેણે દિલ્હીને બહેતર બનાવવાનું સપનું જોયું છે. 

કેજરીવાલના શપથ માટે રામલીલા મૈદાનમાં ભવ્ય તૈયારી કરવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

શપથ ગ્રહણ માટેની ખાસ તૈયારી

રામલીલા મૈદાનમાં લગભગ 40 હજાર ખુરશીઓ મુકવામાં આવી છે.

લોકો સારી રીતે શપથ ગ્રહણ જોઈ શકે એ માટે સ્થળની અંદર અને બહાર 12 એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે.

સશસ્ત્ર બળ, અગ્નિશમન વિભાગ અને દિલ્હી પોલીસના શહીદ થયેલા જવાનોના પરિવારજનોને પણ શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. 

દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન ટ્વિટર છોટે મફલરમેન નામથી ફેમસ થયેલા નાનકડા બાળક અવ્યાન તોમરને પણ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો છે. 

સુરક્ષા માટે પાંચ હજાર સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવશે. 

રામલીલા મેદાન પર નજર રાખવા માટે 150 કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે. 

(11:38 am IST)