Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

સીએએ અને કલમ ૩૭૦ ઉપર પીછેહઠ કોઇ કિંમતે નહીં : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ૧૨૦૦ કરોડની ભેંટ સોગાદો આપી : મહાકાલના આશીર્વાદથી અમે એવા ઘણા નિર્ણય લેવામાં સક્ષમ રહ્યા છીએ જે લાંબા સમયથી અટવાયેલા હતા : ઉગ્ર પ્રદર્શન કરનારાઓને સ્પષ્ટ ચેતવણી

વારાણસી,તા. ૧૬ : નાગરિક સુધારા કાનૂન સીએએ પર મચેલા રાજકીય ઘમસાણ અને શાહીનબાગ સહિત દેશના જુદા જુદા ભાગોમાં જારી વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનૂન અને કલમ ૩૭૦ના નિર્ણય ઉપર સરકાર મક્કમ છે અને હંમેશા રહેશે. આ નિર્ણયો ઉપર પીછેહઠ કરવાનો કોઇ પ્રશ્ન નથી. તેમણે કહ્યું હતું કે, તમામ પ્રકારના દબાણો છતાં તેમની સરકારે આ ખુબ જ સાહસી નિર્ણયો લઇ બતાવ્યા છે. ઉત્તરપ્રદેશના જુદા જુદા કાર્યક્રમોમાં મોદી આજે પહોંચ્યા હતા અને હજારો કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓની ભેંટ રાજ્યના લોકોને આપી હતી. બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીના બીજા પ્રવાસે પહોંચેલા મોદીએ ૧૨૦૦ કરોડ રૂપિયાની ભેંટ આપ્યા બાદ કહ્યું હતું કે, નાગરિક સુધારા કાનૂન અને કલમ ૩૭૦ જરૂરી હતી છતાં પણ તમામ વિવાદ વચ્ચે અમે આ નિર્ણયો લઇ શક્યા હતા. આ પ્રકારના નિર્ણયો આગળ પણ જારી રાખવામાં આવશે. આ નિર્ણય ઉપર સરકાર મક્કમ છે. ચંદોલીમાં દિનદયાળ ઉપાધ્યાયની ૬૩ ફૂટ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સીએએનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, મહાકાલના આશીર્વાદથી અમે એવા સક્ષમ નિર્ણયો લઇ શક્યા છે જે લાંબા સમય સુધી રોકાયેલા હતા. કલમ ૩૭૦ હોય કે સીએએ હોય અમે દબાણ બાદ પણ આવા નિર્ણય લઇ શક્યા છે. મહાકાલના આશીર્વાદથી લેવામાં આવેલા નિર્ણયો પર સરકાર મક્કમ રહેશે. તમામ વિરોધ પ્રદર્શન છતાં ગૃહમંત્રી અમિત શાહ વારંવાર કહી ચુક્યા છે કે, સરકાર આ મુદ્દા પર પીઠેહઠ કરશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, એક પછી એક કઠોર નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

              બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ વારાણસી પહોંચેલા મોદી સેવ સમુદાય સાથે જોડાયેલા જગમવાડી મઠ પહોંચ્યા હતા. ચંદોલીના ક્ષેત્રમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ૧૨૦૦ કરોડ રૂપિયાની યોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા. કાશીથી મહાકાલેશ્વર અને ઓંકારેશ્વરને જોડનાર કાશી મહાકાલ એક્સપ્રેસને લીલીજંડી આપી હતી. તેમણે કહ્યું હતું કે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ કાર્યો માટે તેઓ વારાણસી અને પૂર્વાંચલના લોકોને અભિનંદન આપે છે. છેલ્લા કેટલાક વર્ષમાં વારાણસીમાં ૨૫૦૦૦ કરોડ રૂપિયાની યોજનાઓ પુરી થઇ ચુકી છે અથવા તો કામ જારી છે. આ તમામ મહાદેવની ઇચ્છા છે. બાબા ભોલેના આશીર્વાદ છે. ચોકાઘાટા-લહેરતારા ફ્લાયઓવર બની ગયા બાદ જામની સમસ્યા ખતમ થશે. મોદીએ ૧૨૦૦ કરોડની ભેંટ સોગાદો આજે આપી હતી. જંગમવાડી મઠમાં મોદીએ કર્ણાટક, મહારાષ્ટ્ર અને તમિળનાડુના લોકો અને સંતોને સંબોધતા કહ્યું હતું કે, સંકલ્પ લેવાથી કામ થાય છે. મોદીએ આ પ્રસંગે સેવ સમુદાયના લોકોની ભારે પ્રશંસા કરી હતી. છ વર્ષમાં કાશીમાં ૨૨મી વખત મોદી પહોંચ્યા હતા. મહાકાલના આશીર્વાદથી તમામ નિર્ણયો પર ઝડપી કામ થઇ રહ્યા છે. કાશી વિશ્વનાથ કોરિડોરના અન્ન ક્ષેત્રનું લોકાર્પણ પણ કરાયું હતું.

(7:53 pm IST)