Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેનું સાઉદી અરબ અને યુએઇમાં ભવ્‍ય સ્‍વાગત થતા પાકિસ્‍તાનમાં ચિંતા વધી ગઇઃ ઇમરાન ખાનની કાબેલિયત ઉપર સવાલો ઉઠયા

ઈસ્લામાબાદ: ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુન્દ નરવણેનું સાઉદી અરબ અને યુએઈમાં જે પ્રકારે ભવ્ય સ્વાગત થયું છે તેનાથી પાકિસ્તાનની ચિંતા તો વધી જ ગઈ છે પણ સાથે સાથે ઈમરાન ખાનની કાબેલિયત ઉપર પણ સવાલ ઉઠવા  લાગ્યા છે. જનરલ નરવણે ભારતના પહેલા એવા સેના પ્રમુખ છે જેમણે સાઉદી અરબ અને યુએઈનો પ્રવાસ કર્યો છે. ભારત માટે તેમનો આ પ્રવાસ ખુબ જ મહત્વનો છે જે દર્શાવે છે કે પાકિસ્તાન આરબ દેશો, ખાસ કરીને સાઉદી અરબની ગુડ બુક્સમાંથી બહાર નીકળી ગયું છે.

Guard of Honour મળ્યું

જનરલ મનોજ મુકુન્દ નરવણેએ સંયુક્ત આરબ અમીરાતના લેન્ડ ફોર્સિસ એ્ડ સ્ટાફના કમાન્ડર મેજર જનરલ સાલેહ મોહમ્મદ સાલેહ અલ અમીરી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને અધિકારીઓ વચ્ચે આપસી હિતો અને રક્ષા સહયોગના મુદ્દાઓ પર ચર્ચા થઈ. જનરલ નરવણેને સંયુક્ત આરબ અમીરાતના લેન્ડ ફોર્સિસના મુખ્યાલયમાં ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું. જેને બંને દેશો વચ્ચે વધતી નીકટતા તરીકે જોવામાં આવી રહ્યું છે. બસ આ વાત પાકિસ્તાનને ખટકી છે. તેને ડર છે કે ક્યાંક ભારત યુએઈ અને સાઉદી અરબને ઈસ્લામાબાદથી દૂર ન કરી દે.

આપણા સંબંધો સારા થયા કે ખરાબ?

આરબ દેશો સાથે ભારતના મજબૂત થતા સંબંધોને લઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની કાબેલિયાત ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને વિપક્ષી નેતા શાહિદ ખાકાન અબ્બાસીએ વિદેશ નીતિ અંગે ઈમરાન ખાન પર નિશાન સાધ્યું છે. સ્થાનિક મીડિયા મુજબ અબ્બાસીએ કહ્યું કે આપણે બીજા દેશની વિદેશ નીતિ નક્કી કરી શકતા નથી  પરંતુ આપણી વિદેશ નીતિ અંગે તો વિચારી શકીએ છીએ। આપણે એ જોવું જોઈએ કે શું આપણા સંબંધો બીજા દેશો સાથે સારા થયા કે ખરાબ.

કુરેશી પર સાધ્યું નિશાન

અબ્બાસીએ વધુમાં કહ્યું કે સાઉદી અરબ ભારત સાથે સંબંધ રાખે કે ન રાખે, તે તેનો અંગત મામલો છે. પરંતુ આપણે આપણા ઘરને જોવાનું છે કે આપણા સંબંધ સાઉદી અરબ સાથે સારા થયા કે નહી. પૂર્વ પ્રધાનમંત્રીએ વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી પર નિશાન  સાધતા કહ્યું કે આપણા વિદેશમંત્રીએ સાઉદી અરબ વિશે જે વાત કરી હતી, ત્યારબાદથી સાઉદી સાથે આપણા સંબંધોમાં કડવાહટ આવી ગઈ છે.

ઈમરાન ખાનની ખોટી નીતિઓનો પરિણામ

એકલા અબ્બાસી જ નહીં પરંતુ મોટાભાગના પાકિસ્તાનીઓને એવું લાગે છે કે ઈમરાન ખાનની ખોટી વિદેશ નીતિના કારણે સાઉદી અરબ અને યુએઈ ભારતના મિત્ર બની ગયા છે. અત્રે જણાવવાનું કે કુરેશીના નિવેદન બાદ સાઉદીએ પાકિસ્તાનને આપેલું કરજ પાછું માંગી લીધુ હતું. ત્યારથી પાકિસ્તાન સાઉદીને મનાવવામાં લાગ્યું છે. ઈમરાન ખાનથી લઈને પાકિસ્તાની સેના પ્રમુખ સુધીની હસ્તીઓ સાઉદીના ગુસ્સાને શાંત કરવાની કોશિશ કરી ચૂક્યા છે. પરંતુ તેમને નિષ્ફળતા જ મળી છે.

(5:24 pm IST)