મ.ન.પા.નું વર્ષ ૨૦૨૧-૨૨નું કરબોજ વિનાનું રૂા. ૨૨૭૫ કરોડનું બજેટ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા રજુ કરવામાં આવ્યું હતુ. બજેટ અંગેની વિસ્તૃત માહિતી માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં વિગતો રજુ કરતા ઉદિત અગ્રવાલ સાથે તે વખતની તસ્વીરમાં ડે. કમિશનર શ્રી સીંઘ, શ્રી પ્રજાપતિ, શ્રી નંદાણી તથા ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી વગેરે નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)
રાજકોટ,તા.૧૫: મનપાનું વર્ષ ૨૦૨૧-૨૨નું કરબોજ વગરનું ૨૨૭૫ કરોડનું બજેટ મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે આજે સવારે ૧૦:૩૦ વાગ્યે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલને સુપ્રત કર્યુ હતુ. ૨૦૨૦-૨૧માં કોરોના કાળવાળા વર્ષને કારણે ગત વર્ષના બજેટમાં આવકના અંદાજો પૂર્ણ થઈ શકયા નહિં તેના કારણે બજેટમાં ૬૦૦ કરોડની ખાધ આવી છે . નવા ભેળવાયેલ મુંજકા, ઘંટેશ્વર, મોટા મૌવા, માધાપર સહિતનાં પાંચ ગામમાં રસ્તા, ડ્રેનેજ, પાણી સહિતની સુવિધા માટે ૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મ્યુ. કમિશ્નર શ્રી અગ્રવાલે બજેટની વિસ્તૃત વિગતો પત્રકાર પરિષદમાં રજૂ કરતા જણાવ્યુ હતુ કે, રાજકોટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામ મેળવી રહ્યું છે ત્યારે શહેરમાં મેટ્રો સીટી જેવી સુવિધા આપવી એ તંત્ર માટે પડકાર છે ત્યારે મ.ન.પા. આ પડકારને પહોંચી વળશે તેવી આશાસાથે વર્ષ ૨૦૨૧-૨૨નું આ બજેટ રજુ કર્યું છે.
બજેટમાં નવી ટી.પી. સ્કીમોનું ડેવલપમેન્ટ, માપણી તેમજ કાલાવડ રોડ, (ગૌરવ પથ), અમીન માર્ગ અને ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીનો રોડ વગેરે રસ્તાઓ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ પહોંળા કરવા.
ઉપરાંત પ્રદ્યુમન પાર્ક ઝુમાં નવા પ્રાણીઓ તેમજ શહેરમાં મેટ્રોરેલની શક્યતાના અભ્યાસ માટે રૂા. ૧૦ લાખની જોગવાઇ વગેરે બાબતોનો સમાવેશ કર્યો છે ત્યારે આશા છે કે સ્ટેન્ડીંગ કમિટિ આ બજેટ મંજુર કરશે તેવી આશા છે. આ વર્ષે વેરા વસુલાતનો ટાર્ગેટ ૩૪૦ કરોડ જેટલો રખાયો છે જે ગત વર્ષ કરતા ૧II ગણો છે તે અત્રે નોંધનિય છે.
આ વર્ષે બજેટમાં પાણીવેરામાં કોઇ રાહત આપવામાં આવી નથી. તેમજ નવા વિસ્તારોમાં મિલકત વેરો વધારવામાં આવ્યો છે. આ વર્ષના બજેટમાં શહેરમાં વર્ટીકલ ગાર્ડન બનાવવાની જોગવાઇ કરવામાં આવી છે. શહેરમાં નવા ભળેલા ૫ ગામોમાં ૭૨ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
નવા ભળેલા ગામો જેમાં મોટામવા, મુંજકા, માધાપર, મનહરપરા, ઘંટેશ્વરના વિસ્તારોમાં વેરાની આકારણી શરૂ થઈ છે. ફાયર બ્રિગેડ, ડ્રેનેજ, કન્ઝરવન્સી ટેક્સ યથાવત રાખવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પાણી વેરો યથાવત રાખવામાં આવ્યો છે.
ડિજિટલ વેરો ભરનાર રિબેટ અપાશે
વાહન વેરાનો લક્ષ્યાંક ગત વર્ષે ૧૯ કરોડનો હતો. જે ૧૧૨૩ કરોડની જ વસુલાત કરવામાં આવી હતી. વેરાની ચુકવણી ડિજિટલ કરનારને ઓછામાં ઓછું ૫૦ અને વધુમાં વધુ ૨૫૦ રૂપિયાનું રિબેટ આપવામાં આવશે. ગત વર્ષ કરતા રિવાઇઝડ બજેટ ૧૧૫૪ કરોડ હતું જે વધારીને ૧૫૦૦ કરોડ કરવામાં આવ્યું છે.
શહેરને ૧૦૦ ઇલેક્ટ્રિક બસ મળશે
રાજકોટના નવા ભળેલા ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા ગામમાં ભૂગર્ભ ગટર માટે ૯૧૫ લાખની જોગવાઇ કરવામાં આવી છે. મનપા દ્વારા ૧૦૦ ઇલેક્ટ્રિક બસ મૂકવામાં આવશે. શહેરમાં વર્ટીકલ ગાર્ડન અને સર્કલ રિડેવલોપમેન્ટ કરવામાં આવશે. વૃક્ષોનું જિયોનું ટેગિંગ કરવામાં આવશે. આજી ડેમ પાસે ૧૫૦ એમએલડીનો નવો સંપ બનાવવામાં આવશે. શહેરમાં ૨૨ જગ્યા પર માય ઇ-બાઇક કેન્દ્ર ઉભા કરાશે. નાકરાવાડી ખાતે ૪ વોલ્ટનો સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. નવા વિસ્તારમાં ૨ નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. એક પીપીપી ધોરણે ફાયર સ્ટેશન બનશે.
ધ્યાનાકર્ષક યોજનાઓ
* નવા ભળેલા પાંચ ગામો માટે ૭૨ કરોડની ફાળવણી
* ત્રિકોણબાગ, સર્વેશ્વર ચોક, એ ડિવિઝન પાસે મલ્ટીલેવલ પાર્કિંગ
* પુષ્કરધામ મેઇન રોડ પર આધુનિક ફૂડ ઝોન, વૃક્ષોને જિઓ ટેગિંગ કરવાનો પ્રોજેક્ટ
* વધુ ૨૨ સાયકલ શેરિંગ સ્ટેશન શરૂ કરાશે
* સાયકલ ખરીદી પર વ્યક્તિ દિઠ ૧૦૦૦નું વળતર
* ઇ-વાહન ખરીદનારને ૨૦૨૦ની સબસીડી
* વર્ટિકલ ગાર્ડન ડેવલોપમેન્ટને પ્રોત્સાહન
* ત્રણ નવા આરોગ્ય કેન્દ્રો બનશે
* એર ક્વોલિટી સુધારણા માટે ૪૦ કરોડની ફાળવણી
* નાકરાવાડી ખાતે સોલાર પ્લાન્ટ બનશે
* ધર્મેન્દ્ર રોડને પેડેસ્ટ્રીયન ફ્રેન્ડલી રોડ જાહેર
* લાલપરી રાંદરડા ડેવલોપમેન્ટ માટે ૩.૫૦ કરોડ મંજૂર
* ટ્રાફિકની સમસ્યા નિવારવા શહેરમાં ચાર નવા ઓવરબ્રિજ અને એક અંડરબ્રિજ તૈયાર કરાશે
* જામનગર રોડ પર જર્જરિત સાંઢિયા પૂલનું નવિનીકરણ થશે
* નવા ભળેલા વિસ્તારોના સ્મશાન ગૃહનું સંચાલન ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે
* પીવાનું પાણી મળી રહે તે માટે સૌની યોજનાથી આજી નદીમાં પાણીની વ્યવસ્થા
* શહેરમાં મીટર આધારિત પાણી વિતરણ વ્યવસ્થા કરાશે.
આમ આ વર્ષનું બજેટ રાજકોટ વધુને વધુ રહેવા લાયક તથા માણવા લાયક શહેર બની રહે તેવું સર્વાંગી વિકાસલક્ષી બજેટ છે. તેમ શ્રી અગ્રવાલે અંતમાં જણાવ્યું હતું