Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં વધારોઃ ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે ઘર્ષણના મુદ્દે દિલ્હી પોલીસ દ્વારા પટીયાલા હાઉસ પોર્ટમાં ચાર્જશીટઃ મુખ્યમંત્રી કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સહીત ૧૧ ધારાસભ્યોને આરોપી તરીકે દર્શાવાયા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય સચિવ સાથેની મારપીટ મુદ્દે અરવિંદ કેજરીવાલ સહિત ૧૧ ધારાસભ્યો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. મારા-મારી અને ગેરવર્તણુંકના આ કેસમાં કુલ 13 લોકોને આરોપી બનાવાયા છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા અને અન્ય 11 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ નંબર 16માં 1533 પાનાની ચાર્જશીટ સીલબંધ કવરમાં રજુ કરી હતી. સુત્રો અનુસાર આ કેસમાં અરવિંદ કેજરીવાલનાં તે સમયનાં મુખ્ય સલાહકાર વીકે જૈનને મુખ્ય સાક્ષી બનાવવામાં આવ્યા છે. જો કે જૈનની જુબાની અનુસાર અંશુ પ્રકાશની સાથે મારામારી ચાલુ થઇ તે સમયે તેમના ચશ્મા નીચે પડી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે મુખ્યમંત્રી આવાસ પર મીટિંગ બોલાવવી અને ત્યાર બાદ કથિત મારામારીમાં સીસીટીવીમાં પણ ચેડા થયાનું સામે આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, 19 ફેબ્રુઆરીની ઘટના છે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે મધરાત્રે મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે કથિત રીતે મારામારી અને ગેરવર્તણુંક કરવામાં આવી હતી. આ મુદ્દે બે દિવસ બાદ સિવિલ લાઇન્સ પોલીસે વીકે જૈનની પુછપરછ કરી હતી. શરૂઆતમાં તો તેઓ કંઇ સ્પષ્ટ જવાબ આપી નહોતા રહ્યા પરંતુ બંધ રૂમમાં મેજીસ્ટ્રેટ સમક્ષ થયેલી પુછપરછમાં તેમણે સંપુર્ણ સત્ય કહ્યું હતું. ત્યાર બાદ પોલીસે તેમને સાક્ષી બનાવવાનો નિર્ણય લીધો હતો.

(6:07 pm IST)