Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

પોતાની પરવા કર્યા વગર નર્સ દર્દીનો જીવ બચાવવા તત્પર હોય છેઃ આજે આંતરરાષ્‍ટ્રીય નર્સ દિવસ

નવી દિલ્હી: સમગ્ર દુનિયામાં દર વર્ષે મે મહિનાની 12મી તારીખે એટલે કે આજના દિવસને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક દર્દીને નવું જીવન આપવામાં જેટલું યોગદાન એક ડોક્ટરનું હોય છે એટલું જ એક નર્સનું હોય છે. એક નર્સ દર્દીની સેવા તન-મનથી કરતી હોય છે. નર્સ પોતાની પરવા કર્યા વગર એક દર્દીનો જીવ બચાવે છે. આ દિવસ નર્સના એ અમૂલ્ય યોગદાનને સમર્પિત કરવામાં આવ્યો છે. આ સાથે જ દુનિયામાં નર્સિંગની સંસ્થાપના કરનારા ફ્લોરેન્સ નાઈટિંગલને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે.

'ફ્લોરેન્સ નાઈટિંગલ'ની યાદમાં દર વર્ષે 12મી મેનો દિવસ 'આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. પ્રીમિયા યુદ્ધ દરમિયાન તેમણે લાલટેન લઈને સૈનિકો અને દર્દીઓની સેવા પૂરેપૂરા સમર્પણ સાથે કરી હતી. આ જ કારણે તેમને 'લેડી વિથ ધ લેમ્પ' પણ કહેવાય છે.

નર્સો માટે પરીક્ષણ સ્કૂલની સ્થાપના

ફ્લોરેન્સ નાઈટિંગલ બ્રિટિશ પરિવારમાં 12મી મે 1820ના રોજ જન્મ્યા હતાં. તેમની સેવા ભાવનાને લોકો આજે પણ યાદ કરે છે. 1860માં તેમણે સેન્ટ ટોમસ હોસ્પિટલ અને નર્સો માટે નાઈટિંગલ ટ્રેનિંગ સ્કૂલની સ્થાપના કરી હતી. આ દિવસને પહેલીવાર ઉજવવાનો પ્રસ્તાવ અમેરિકાના સ્વાસ્થ્ય, શિક્ષણ અને કલ્યાણ વિભાગના અધિકારી ડોરોથી સુદરલેન્ડે મૂક્યો હતો. આ પ્રસ્તાવ 1953માં મૂકાયો હતો.

આ દિવસને ઉજવવાની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડેવિટ ડી. આઈઝનહાવરે કરી હતી. 1974ના જાન્યુઆરી મહિનામાં જાહેરાત કરાઈ હતી કે 12મી મેના દિવસને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવશે. 12મી મેના રોજ ફ્લોરેન્સ નાઈટિંગલનો જન્મ થયો હતો. જેઓ આધુનિક નર્સિંગના સંસ્થાપક છે.

લોકોને સ્વસ્થ રાખવામાં નર્સોનું મોટું યોગદાન

દર્દીઓને સ્વસ્થ રાખવામાં નર્સોનું ખુબ મોટું યોગદાન ગણવામાં આવે છે. નર્સોને તાલિમ આપવામાં આવે છે કે તેઓ પોતાના દર્દીઓની મદદ મનોવૈજ્ઞાનિક, સામાજિક અને ચિકિત્સકિય રીતે પૂરેપૂરા સમર્પણ સાથે કરશે. નર્સોના યોગદાનને આ દિવસે રેખાંકિત કરાય છે. નર્સોનું દુનિયામાં શું મહત્વ છે, તે અંગે માહિતગાર કરાય છે. આજના સમાજમાં નર્સોને સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. અનેક નર્સોને દર વર્ષે 12મી મેના રોજ રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઈટિંગલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. ભારત સરકારના પરિવાર અને કલ્યાણ મંત્રાલયે તેની શરૂઆત 1973થી કરી હતી. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 250 નર્સોને આ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

(5:10 pm IST)