Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

નરેન્દ્રભાઈની અધ્યક્ષતામાં ભાજપ સંસદીય દળની બેઠક યોજાઈઃ સ્થાનીક ચૂંટણીમાં ભવ્ય જીત બદલ વડાપ્રધાનનું અભિવાદન

કોરોના રસીકરણને લઈને મુખ્ય સચિવ ડો. પી. કે. મિશ્રાએ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

નવી દિલ્હી,તા. ૧૧: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં ભાજપ સસંદીય દળની બેઠક યોજાઈ હતી. બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ ભાજપના સાંસદોને આઝાદીના અમૃત મહોત્સવમાં ઉત્સાહથી જોડાવા માટે જણાવ્યું હતું તેમજ રસીકરણ અભિયાનમાં જોડાવા માટે પણ આહ્વાહન કર્યું હતું. તો સાસંદોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલા અભૂતપૂર્વ વિજય માટે પ્રધાનમંત્રી મોદીનું અભિવાદન કર્યું હતું. દરમિયાન કોરોના રસીકરણને લઈને પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડો. પી. કે. મિશ્રાએ રાજયોઅને કેન્દ્ર શાસિત પ્રદેશોની સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

આ બેઠકમાં દરેક રાજયોના મુખ્ય સચિવ, રસીકરણમાં જોડાયેલા અધિકારીઓ, આરોગ્ય સચિવ ઉપરાંત નીતિ આયોગના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીના મુખ્ય સચિવે દરેક રાજયોને દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનને સફળતા પૂર્વક આગળ વધારવા માટે તેમની સરાહના કરી હતી. તેમણે રાજયોને જણાવ્યુ હતું કે, હજુ આગામી ત્રણ મહિના માટે રોડ મેપ બનાવે. જેથી આટલી મોટી જનસંખ્યાને વધુ ઝડપથી રસી આપી શકાય. મુખ્ય સચિવ અને રાજયોના અધિકારીઓએ રસીકરણ અંગેની કાર્યવાહીની માહિતી આપી હતી અને તેમના સૂચનો પણ રજૂ કર્યા હતા.

(12:50 pm IST)