News of Thursday, 10th May 2018
નવી દિલ્હી,તા. ૧૦ : સમગ્ર દેશને હચમચાવી મુકનાર મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કરે તોયબાના કમાન્ડર કુખ્યાત જાકીઉર રહેમાન લખવીને ફરી એકવાર જાહેરમાં જોવામાં આવ્યો છે. તે હાલમાં ત્રાસવાદી ગતિવિધીઓને અંજામ આપવા માટે નાણાં એકત્રિત કરતો નજરે પડી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં લાહોર હાઇકોર્ટ પાસેથી જામીન મળ્યા બાદ મળ્યા બાદ ત્રણ વર્ષ પછી તે ફરી એકવાર સક્રિય દેખાયો છે. તે લોકોની વચ્ચે આવતા તેના પર તમામની નજર રહી છે. પાકિસ્તાનમાં કુખ્યાત ત્રાસવાદીઓ ફરી સક્રિય છે અને જાહેરમાં ફરી રહ્યા છે તે બાબત જાહેર થઇ ગઇ છે. જાકીઉર રહેમાન લખવી પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઘઉના ખેડુતો પાસેથી ડોનેશન એકત્રિત કરતો નજરે પડ્યો છે. ભારતીય તપાસ સંસ્થાઓ પાસેથી મળેલી માહિતી મુજબ મોસ્ટ વોન્ટેડ ત્રાસવાદી લખવી એપ્રિલ ૨૦૧૫માં રાવલપિંડીના અડિયાલા જેલમાંથી મુક્ત થઇ ગયો હતો. ભલે લોકોની નજરમાં તે તુટી ગયો છે પરંતુ તે ફરી સક્રિય રહેલો છે. ફેબ્રુઆરી ૨૦૧૮થી તે ફરી સક્રિય છે. તે પંજાબ પ્રાંતમાં ખેડુતો પાસેથી નાણાં એકત્રિત કરી રહ્યો છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે લશ્કરે તોયબા જુદા જુદા કાર્યક્રમ મારફતે નાણાં એકત્રિત કરે છે. ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની તલવાર લટકી રહી હોવા છતાં તેને ડોનેશન આપનાર લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં એફએટીએફ દ્વારા કહેવામાં આવ્યુ હતુ કે ત્રાસવાદી સંગઠનો પર અંકુશ મુકવાની સ્થિતીમાં તે પાકિસ્તાનને ફરી એકવાર જુન મહિનામાં પોતાની વોચ લિસ્ટમાં મુકી દેશે. બીજ બાજુ લશ્કરે તોયબાએ કાશ્મીરને કેન્દ્રમાં રાખીને પોતાના નવા મેગેઝીનની પણ તૈયારી કરી છે. ૨૦ પાનાના આ મેગેઝીનમાં કાશ્મીરી યુવાનોને ત્રાસવાદી સંગઠનમાં સામેલ થવા માટે અપીલ કરવામાં આવી છે.જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા હાલમાં ઓપરેશન ઓલઆઉટ હાથ ધર્યુ છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા આ ઓપરેશનમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. વર્ષ ૨૦૧૭માં ત્રાસવાદીઓની સંખ્યા ૨૦૦ કરતા પણ વધારે હતી. જ્યારે વર્ષ ૨૦૧૮માં પણ મોટી સંખ્યામાં કુખ્યાત ત્રાસવાદીઓ અને તેમના લીડરોને ફુંકી મારવામાં આવ્યા છે. મેગેઝીનમાં કેટલીક ચોંકાવનાર વાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં લખવી ઉપરાંત અન્ય ટોપના ત્રાસવાદીઓ પણ સક્રિય થયેલા છે અને યુવાનોને ભરતી માટે આગળ આવવા કહી રહ્યા છે. જેમાં લશ્કરે તોયબાના લીડર હાફિઝ સઇદનો સમાવેશ થાય છે. તે પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓને સતત ઉશ્કેરી રહ્યો છે. જનસભા કરી રહ્યો છે. તે ચૂંટણીમાં લડવા માટે જમાત ઉદ દાવાના રાજકીય ફ્રન્ટ મિલ્લી મુસ્લિમ લીગની સ્થાપના કરી ચુક્યો છે.
ત્રાસવાદી સંગઠનો જોઇન કરવાની કાશ્મીરીને સુચન
ત્રાસવાદીઓના મેગેઝીનમાં સુચન
નવી દિલ્હી,તા. ૧૦ : દેશના જુદા જુદા ભાગોમાં અનેક ભીષણ હુમલા કરવા માટે સીધી રીતે જવાબદાર રહેલા ત્રાસવાદી સંગઠન લશ્કરે તોયબાએ હવે પોતાનુ ૨૦ પાનાનુ એક મેગેઝિન પણ બહાર પાડ્યુ છે. જેમાં કાશ્મીરીઓને ત્રાસવાદી સંગઠન જોઇન કરવા માટેની ખુલ્લી અપીલ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ ચાલી રહ્યુ હોવા છતાં મોટી સંખ્યામાં ત્રાસવાદી સંગઠન જોઇન કરવા માટે યુવાનો આગળ આવી રહ્યા હોવાની વાત આ મેગેઝિનમાં કરવામાં આવી છે.