Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

આંખના પલકારામાં દુશ્‍મનોના ભુક્કા બોલાવી દે તેવી INS કરંજ સબમરીન ભારતીય નેવીમાં સામેલ

સ્કોર્પીન ક્લાસની સબમરીન INS કરંજ આજે ઈન્ડિયન નેવીમાં સામેલ થઈ. કરંજના જંગી બેડામાં સામેલ થવાની સાથે જ ભારતીય નેવીની તાકાત અને ક્ષમતામાં વધારો થઈ જશે. આ સાથે જ પાકિસ્તાન અને ચીન જેવા દેશોની ઊંઘ ઉડી જશે એ વાત પણ ચોક્કસ છે. કારણ કે INS કરંજની ખાસિયત જ કઈંક એવી છે. આવો જાણીએ આ સાઈલેન્ટ કિલર ગણાતી INS કરંજ વિશે કેટલીક વાતો...

દુશ્મન માટે INS કરંજ ઘાતક અદ્રશ્ય હથિયાર છે. દુશ્મન માટે તેને શોધવી મુશ્કેલ જ નહીં અશકક્ય છે અને આ સબમરીન આંખના પલકારામાં દુશ્મનના ભૂક્કા બોલાવી દેશે.

સબમરીન INS કરંજને વર્ષ 2018માં સમુદ્રમાં ટેસ્ટ માટે ઉતારવામાં આવી હતી. કરંજ દરેક ટેસ્ટમાં અવ્વલ રહી છે.

કલવરી ક્લાસની પહેલી બે સબમરીન કલવરી અને ખંડેરી પહેલેથી નેવીમાં સામેલ થઈ ચૂકી છે. કલવરી ક્લાસની કુલ 6 સબમરીન મુંબઈના મઝગાંવ ડોક લિમિટેડમાં બનાવવામાં આવી રહી છે અને હવે INS કરંજ ભારતીય નેવીના કાફલામાં સામેલ થઈને દેશની આન બાન અને શાન વધારવા માટે સજ્જ છે.

ન્યૂક્લિયર સબમરિન ઉપરાંત ભારતીય નેવીની તમામ સબમરીન ડીઝલ-ઈલેક્ટ્રિક છે અને એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન ન હોવાના કારણએ તેમણે દર એક બે દિવસમાં સમુદ્રની સપાટી પર આવવું પડે છે. આ ખામીને INS કરંજમાં દૂર કરી લેવાઈ છે. INS કરંજ સ્ટેલ્થ અને એર ઈન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન સહિત અનેક પ્રકારની ટેક્નોલોજીથી લેસ છે અને INS કરંજ (INS Karanj) સબમરીન સમુદ્રમાં 50 દિવસ સુધી રહી શકે છે.

INS કરંજ એકવારમાં 12000 કિમી સુધીની મુસાફરી કરી શકે છે. જેમાં 8 ઓફિસર અને 35 નેવી સૈનિકો કામ કરે છે. તે સમુદ્રના પેટાળમાં અંદર 350 કિમી સુધી જઈ શકે છે. કલવરી ક્લાસની સબમરીન સમુદ્રની અંતર 37 કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. ખાસ વાત એ છે કે INS કરંજમાં દુશ્મનના જહાજને તબાહ કરવા માટે ટોરપીડો લાગેલા છે. આ ઉપરાંત તે સમુદ્રમાં બારૂદી સુરંગ પણ બીછાવી શકે છે.

INS કરંજમાં સપાટી અને પાણીની અંદરથી ટોરપીડો અને ટ્યૂબ લોન્ચ્ડ એન્ટી શિપ મિસાઈલ છોડવાની ક્ષમતા છે. એવો દાવો છે કે INS કરંજ લક્ષ્ય પર સટીક નિશાન લગાવીને દુશ્મનોને તબાહ કરવા માટે સક્ષમ છે. આ સાથે જ આ સબમરીનમાં એન્ટી સરફેસ વોરફેર, એન્ટી સબમરીન વોરફેર, ગુપ્ત જાણકારી મેળવવા, માઈન્સ બીછાવવા, અને એરિયા સર્વિલાન્સ જેવા સૈન્ય અભિયાનોને અંજામ આપવાની ક્ષમતા છે. સ્કોર્પીન શ્રેણીની સબમરીન INS કરંજમાં એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી દુશ્મન દેશોની નેવી માટે તેની ભાળ મેળવવી કાઠું પડશે. આ એક એવી સબમરીન છે જેને લાંબા અંતરવાળા મિશનમાં ઓક્સિજન મેળવવા માટે સપાટી પર આવવાની જરૂર નથી. આ ટેક્નોલોજીને ડીઆરડીઓની નેવલ મેટેરિયલ્સ રિસર્ચ લેબે વિક્સિત કરી છે.

હાલ ભારતીય નેવી પાસે સિંધુ ક્લાસની 9, શિશુમાર ક્લાસની 3, કલવરી ક્લાસની 2, અને એક ન્યૂક્લિયર સબમરીન INS ચક્ર એટલે કે કુલ 15 સબમરીન છે. અરિહંત ક્લાસની બે સબમરીન એટલે કે INS અરિહંત અને INS અરિઘાત 15 સબમરીન કરતા અલગ છે જે ન્યૂક્લિયર બેલેસ્ટિક સબમરીન છે.

જે ઝડપથી સાઉથ ચાઈના સીમાં ચીનની ચાલબાજી વધી રહી છે તે પ્રમાણે તો ભારતીય નેવીએ સમુદ્રી સુરક્ષા માટે જબરદસ્ત તૈયારી કરવી પડી રહી છે. કારણ કે ચીનનો ખાડી દેશોનો સમુદ્રી રસ્તો મલક્કા સ્ટ્રેટથી થઈને પસાર થાય છે. આવામાં જો સાઉથ ચાઈના સીમાં ચીન હોશિયારી મારશે તો ભારત મલક્કા સ્ટ્રેટમાં તેનો રસ્તો રોકી શકે છે અને તે સમયે દુશ્મન પર નજર રાખવા અને તેના પર એટેક કરવા માટે INS કરંજની ક્ષમતા પર પૂરેપૂરો ભરોસો મૂકી શકાય.

(4:40 pm IST)